ઉત્સવ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈતિહાસ દૃષ્ટિ અને કાર્ય

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ/સરકારના મૂલ્યાંકનનો મૂળ આધાર સામાજિક-આર્થિક ક્ષેત્રે તેના લોક કલ્યાણનાં કાર્યો છે. મોદી સરકારના ૦૯ વર્ષના શાસન દરમિયાન રાજકીય અને આર્થિક પ્રશ્ર્નોની સાથે વૈચારિક પાસાઓ પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. આ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ, યુરોપ અને અમેરિકા જેવી યુનિવર્સિટીઓમાં પણ ભારતનું આ ક્ષેત્રે આવેલ પરિવર્તન ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે.

ભારતની ઓળખની શોધ માટેના સંદર્ભ બિંદુઓ અને સંસાધનો સમયે-સમયે અલગ-અલગ હોય છે. મોદીની પ્રતિબદ્ધતા ભારતીય જ્ઞાન પરંપરા પ્રત્યે છે, જે તેમના કાર્ય, નીતિ, ભાષણોનો આધાર સ્તંભ છે. વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરે જેવા ગ્રંથોમાં પ્રચલિત તત્ત્વજ્ઞાન અને ભારતીય તત્ત્વચિંતકો તેમજ સંતોના વિચારોનાં ઉદાહરણોનો પ્રભાવ લોકોની માનસિકતા પર સ્પષ્ટપણે જોવા મળે છે. આઝાદી પછી યુરોપ-કેન્દ્રીત વિચારસરણી ભારતીય તત્ત્વજ્ઞાન અને સાહિત્યના મૂળભૂત વિકાસમાં સૌથી મોટો અવરોધ હતો. સંસ્થાનવાદનો અંત આવ્યો હોવા છતાં તેનું વૈચારિક પાસું ભારતના નિશ્ર્ચિત નેતૃત્વ પર પ્રભુત્વ હતું.

આઝાદી પછી પણ ભારતનું શિક્ષણ મેકોલે માર્ગ પર ચાલતું રહ્યું. લાંબા સમય સુધી અનુકરણ કરનારાઓની જેમ યુરોપના માર્ગે ચાલીને ભારતના વિદ્વાનો ઈતિહાસ, સમાજશાસ્ત્ર, કલા અને વિચારના ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર પ્રદાન ન કરી શક્યા કે યુરોપ સાથે સ્પર્ધા કરી શક્યા. યુરોપ દ્વારા સર્જિત વિચારો, વ્યાખ્યાઓ અને પદ્ધતિઓમાં જીવવા ટેવાયેલા બની ગયા. આઝાદી પછીની દરેક શિક્ષણ નીતિમાં ભારતીયતા ગાયબ હતી પરંતુ મોદી સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)માં મૂળ તત્વ, ભારતીય જ્ઞાન પરંપરા અને ભારત કેન્દ્રિત બનાવી છે. જેમાં પ્રાચીનતાથી આધુનિકતા, વોકલથી ગ્લોબલ સુધીની તરફની વાત કરી છે.

રાકેશ સિંહા પોતાના એક શોધ લેખમાં જણાવે છે કે, મોદીના સામાજિક-સાંસ્કૃતિક તત્ત્વજ્ઞાનમાં બૌદ્ધિક વાતાવરણ પર સીધો પ્રહાર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ચક્રને તોડવામાં રાજ્યની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવતી હતી. મતલબ કે રાજ્ય વિચારહીન ન હોઈ શકે. આ સંદર્ભમાં ભારતીય તત્ત્વચિંતક પ્રો. કૃષ્ણચંદ્ર ભટ્ટાચાર્યએ ૧૯૩૧માં આપેલું ભાષણ નોંધનીય છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય ગુલામી દેખાય છે પરંતુ સંસ્કૃતિ અને વિચારોની ગુલામી દેખાતી નથી. અને તે આપણા જીવન પ્રત્યેની સંપૂર્ણ દૃષ્ટિને તેની મૌલિકતાથી છીનવી લે છે. આ વૈચારિક ગુલામીમાંથી મુક્તિ એ ‘વિચારોનું સ્વરાજ’ છે.

૨૦૧૪ પછી જૂના વિચારો અને સંસ્થાઓનું વર્ચસ્વ હોવા છતાં ભારતના વારસા અને જ્ઞાન પરંપરા પર ચર્ચા પણ બાધ્ય બની ગઈ. છેવટે હજારો વર્ષના ઈતિહાસમાં ભારતની ઓળખ તેની તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિથી રહી છે. આચાર્ય જે.બી. કૃપાલાનીએ ‘ભારતમાં લઘુમતી’ (૧૯૪૮) પુસ્તકમાં લખ્યું છે કે, વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ અને મહાભારતને હટાવ્યા પછી ભારતમાં બીજું કંઈ વધતું નથી. આવા વૈકલ્પિક અવાજોમાં સાતત્ય અને તાકીદના અભાવને કારણે દરેક ક્ષેત્રમાં યુરોસેન્ટ્રિક પ્રવચન પ્રબળ રહ્યું, પરંતુ તેની બીજી બાજુ ભારતીય પણ છે જેના તરફ ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું.

મોદી દેશની ધરોહર અને આધ્યાત્મિક તત્ત્વવજ્ઞાન સાથે જોડાયેલા રહ્યા તેથી આ માનસિકતાએ મોદીને સાંસ્કૃતિક પરિવર્તન માટે જનાદેશ આપ્યો છે. તેમનું નૈતિક પાસું ભારતની ઓળખની મૌલિકતાને પુન:સ્થાપિત કરવાનું છે.

નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વનું એક મહત્ત્વનું પાસું એ છે કે, ભારત કેન્દ્રિત વિચાર અને વર્તનને સમૃદ્ધ બનાવવું. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભારતીય દર્શન અને સંદર્ભને અનુરૂપ રજૂઆત તેમને અગાઉના શાસકોથી અલગ છબી આપે છે. મોદીના વિચારો અને દૃષ્ટિકોણ ભારતીય ઓળખને ઉજાગર કરે છે. ભારતમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક બાબતો તેમજ રાજકીય નેતૃત્વની નિષ્ફળતા મોદીની સફળતાનો પાયો બની હતી.

મૌલિકતામાં સ્થાપિત રીતિ-નિયમો અને બૌદ્ધિક તથા રાજનૈતિક પ્રવાહ અને પરંપરામાં અદમ્ય શક્તિ હોય છે. જે મોદીના સામાજિક – સાંસ્કૃતિક દર્શનમાં જોવા મળે છે.
ઈતિહાસ અને લેખનની દ્રષ્ટિ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લચિત બોરફુકનના જીવન પરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, કમનસીબે આઝાદી પછી પણ આપણને એ જ ઈતિહાસ ભણાવવામાં આવ્યો જે ગુલામીના સમયમાં લખવામાં/ઘડવામાં આવ્યો હતો. આઝાદી પછી ગુલામો બનાવનાર વિદેશીઓનો એજન્ડા બદલવાની જરૂર હતી, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. ભારત માતાના વીર પુત્રો અને પુત્રીઓએ દેશના ખૂણે ખૂણે આક્રમણકારો સામે કેવી રીતે લડત આપી તેનો ઈતિહાસ જાણી જોઈને દબાવી દેવામાં આવ્યો.

મોદીએ કહ્યું કે, ભારતનો ઈતિહાસ માત્ર ગુલામીનો ઈતિહાસ નથી, પરંતુ વિજયનો ઈતિહાસ છે. દેશ હવે ઈતિહાસમાં અગાઉ થયેલી ભૂલોને સુધારી રહ્યો છે. દિલ્હીમાં થઈ રહેલો આ કાર્યક્રમ તેનું પ્રતિબિંબ છે. લચિત બોરફુકનનું જીવન આપણને વ્યક્તિગત સ્વાર્થને નહીં પણ દેશ-હિતને પ્રાધાન્ય આપવાની પ્રેરણા આપે છે. ઈતિહાસના સંદર્ભની કાળજી રાખવાની/લેવાની સૌની જવાબદારી છે.

ભારત વિવિધ વિચારો, માન્યતાઓ અને સંસ્કૃતિઓને એક કરવામાં વિશ્ર્વાસ રાખે છે. આપણા સાંસ્કૃતિક વારસાને કોઈપણ બાહ્ય શક્તિઓથી બચાવવાની વાત આવે છે ત્યારે ભારતનો દરેક યુવા યોદ્ધા છે. ભારત અત્યાચાર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. આસામના લોકોએ આક્રમણકારોનો સામનો કર્યો અને તેમને ઘણી વખત હરાવ્યા. મુઘલોએ ગુવાહાટી પર કબજો કર્યો, પરંતુ લચિત બોરફૂકન જેવા સંતોએ તેને અત્યાચારીઓથી મુક્ત કરાવ્યું.અમૃત મહોત્સવમાં ઈતિહાસ અને સાંસ્કૃતિક દ્રષ્ટિ : આઝાદી કા અમૃત મહોત્સવ’ એ ભારત સરકારની પ્રગતિશીલ ભારતના ૭૫ વર્ષની ઉજવણી અને તેના લોકો સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસને યાદ કરવા અને ઉજવવાની પહેલ છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની સત્તાવાર યાત્રા ૧૨મી માર્ચ ૨૦૨૨ના રોજ આપણી આઝાદીની ૭૫મી વર્ષગાંઠ માટે ૭૫ અઠવાડિયાના કાઉન્ટડાઉન સાથે શરૂ થઈ હતી અને એક વર્ષ પછી ૧૫મી ઑગસ્ટ ૨૦૨૩ના રોજ સમાપ્ત થઇ. આઝાદી કા અમૃત મહોત્સવ’ એ દરેક વસ્તુનું મૂર્ત સ્વરૂપ છે જે ભારતની સામાજિક-સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખમાં પ્રગતિ તરફ દોરી જાય છે.

આઝાદી કા અમૃત મહોત્સવ’ એટલે સ્વતંત્રતાની ઊર્જાનું અમૃત, મહોત્સવ એટલે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરણાનું અમૃત. અમૃત મહોત્સવ એટલે નવા વિચારોનું અમૃત. નવા સંકલ્પોનું અમૃત. અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનું અમૃત. અને તેથી જ આ તહેવાર રાષ્ટ્ર જાગૃતિનો તહેવાર છે. આ તહેવાર સુરાજ્યના સ્વપ્નને સાકાર કરવાનો તહેવાર છે. આ તહેવાર વૈશ્ર્વિક શાંતિ અને વિકાસનો તહેવાર છે.
ઈતિહાસના સીમાચિહ્નો, ગુમનામ નાયકો વગેરેને યાદ રાખવા અને કરવા એ થીમ પર ગુમનામ નાયકોની સંઘર્ષને જીવંત કરવામાં મદદ કરે છે જેમનાં બલિદાનોએ આપણા માટે આઝાદીને વાસ્તવિક બનાવી છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની ઐતિહાસિક સફરમાંના સીમાચિહ્નો, સ્વતંત્રતા ચળવળો વગેરેની પુન:વિચારણા પણ કરી છે. આ થીમ હેઠળના કાર્યક્રમોમાં બિરસા મુંડા જયંતિ (આદિવાસી ગૌરવ દિવસ), નેતાજી દ્વારા સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકારની જાહેરાત, શહીદ દિવસ વગેરેનો સમાવેશ થાય છે. આ થીમ હેઠળ સાંસ્કૃતિક મંત્રાલયની વિશેષ પહેલોમાં નીચેનાનો સમાવેશ થાય છે: વડા પ્રધાનના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને અનુરૂપ વિવિધ સ્થળે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરી સંસ્કૃતિ, પરંપરાઓ અને ઈતિહાસની ઉજવણી કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર દેશમાં આદિવાસી સંગ્રહાલયોની સ્થાપના પર પ્રકાશ પાડતા મોદીએ કહ્યું હતું કે, તેઓ દેશના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિની ઉજવણી કરવા માટે અગ્રણી કેન્દ્રો અને સંગ્રહાલયો સ્થાપવા પાછળની પ્રાથમિક પ્રેરણા સ્વદેશી સમુદાયોની પરંપરાઓ, કલા અને જીવનશૈલીની ઝલક રજૂ કરવાની છે.

આ સંગ્રહાલયો દેશના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. દિલ્હીમાં વડા પ્રધાનનું સંગ્રહાલય એ આપણા લોકશાહી વારસાને દર્શાવતી એક અનોખી સુવિધા છે. ‘યુગે યુગેન ભારત રાષ્ટ્રીય મ્યુઝિયમ’ પણ બનું રહ્યું છે જે વિશ્ર્વનું સૌથી મોટું સંગ્રહાલય બનશે. આ સંગ્રહાલયમાં ભારતના ૫૦૦૦ વર્ષના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરશે.

સંસ્કૃતિમાં લોકોને એક કરવાની અનન્ય ક્ષમતા છે, વિવિધ પૃષ્ઠભૂમિ અને પરિપ્રેક્ષ્યોની સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહન આપે છે. ભારત તેની શાશ્ર્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ અને લોકોને સાથે લાવવાની સહજ ક્ષમતા ધરાવે છે. કાલાતીત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર અમને ગર્વ છે. સાથે જ સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ મહત્ત્વ આપીએ છીએ.

સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રણેતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની શાશ્ર્વત સંસ્કૃતિનું નવજાગરણ થઈ રહ્યું છે. દેશના ઈતિહાસમાં કદાચ પહેલીવાર વડા પ્રધાન પોતે કાશી વિશ્ર્વનાથ કોરિડોર, કેદારનાથ, બદ્રીનાથ અને મહાકાલ જેવાં તમામ તીર્થસ્થળોના વિકાસમાં રસ લઈ રહ્યા છે. ઉજ્જૈનમાં ભવ્ય શ્રી મહાકાલ મહાલોકનું ઉદ્ઘાટન, કેદારનાથ અને બદ્રીનાથમાં હજારો કરોડની યોજનાઓ સાથે સંબંધિત પહેલ, અયોધ્યામાં લાખો દીવાઓ સાથે ભગવાન શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય તેનો પુરાવો છે. રામ મંદિર પરિસરમાં માતા શબરી અને નિષાદરાજના મંદિરો પણ પ્રસ્તાવિત છે જેના વિના ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અધૂરી છે. આ રીતે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહતત્ત્વના આ તમામ મહાન પ્રતીકો સાથે સંબંધિત મંદિરો અને ભક્તોને વડા પ્રધાને જે અનન્ય ભક્તિભાવ રજૂ કર્યો છે તેના સાક્ષી બનવું ખૂબ જ ગર્વની વાત છે. મોદીજીએ દેશને એક કરતી સનાતન સંસ્કૃતિના પ્રતીકો પ્રત્યે નવી વિચારસરણી, ઉત્સાહ અને પ્રેરણા આપવાનું કામ કર્યું છે.

સમાનતાનો સેતુ બાંધ્યો છે. આ મંદિરોના પુનરુત્થાનથી વધેલી સુવિધાઓને કારણે કરોડો ભક્તો આવશે, જેનાથી સ્થાનિક લોકોની આવકમાં વધારો થશે અને રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત ભવિષ્યમાં કોણાર્ક અને મીનાક્ષી મંદિરો વગેરેના સ્થાપત્યનો જીણોદ્ધાર થશે. વાસ્તવમાં અનેક મંદિરો ભારતના સ્થાપત્યના મહાન ઉદાહરણો છે જે યુવા પેઢી માટે જાણવું મહત્ત્વપૂર્ણ છે.

હજારો વર્ષોથી આ મંદિરોએ ભારતની અપાર વિવિધતા, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાના અનન્ય ઉદાહરણ તરીકે સેવા આપી છે. આ સાથે આપણે વડા પ્રધાનની એક બીજી વાત સમજવાની છે જે તેમણે નવનિર્મિત કાશી વિશ્ર્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે ‘સનાતનનો અર્થ એ નથી કે આપણે નબળા અને અસુરક્ષિત રહીએ. જ્યારે પણ ઔરંગઝેબ આ દેશમાં આવે છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ પણ તેની સામે લડવા માટે ઊભા થઈ જાય છે. આ સનાતનનું સત્ય, મૂલ્ય અને શક્તિ છે.

ઐતિહાસિક સ્થળોનું નામકરણ: આપણે હંમેશાં કહીએ છીએ કે નામમાં શું રાખ્યું છે, પરંતુ નામમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે. જે દેશના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. મોદી સરકારમાં ૭ છઈછનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ, ઔરંગઝેબ રોડનું ડો. એપીજે અબ્દુલ કલામ રોડ, નેશનલ વોર મ્યુઝિયમનું જવાન જ્યોત, દિલ્હી રાજપથનું કર્તવ્ય પથ, મુઘલ ગાર્ડનનું અમૃત ઉદ્યાન, ગુડગાંવનું ગુરુગ્રામ, ડેલહાઉસી રોડનું દારા શિકોહ રોડ, મુઘલસરાય જંકશનનું પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંકશન, ઇલાહાબાદમાંથી પ્રયાગરાજ, ગુલબર્ગાનું કાળબુર્ગી, શિમોગાનું શિવમોગા, બીજાપુરનું વિજયપુરા, રાજમુંદ્રરીનું રાજમહેન્દ્રવરમ, નયા રાયપુરનું અટલ નગર, હોશંગાબાદનું નર્મદાનગર, ઔરંગાબાદનું છત્રપતિ સંભાજીનગર, ઉસ્માનાબાદનું ધારાશિવના આ નામકરણ સિવાય લિસ્ટ બહુ લાંબું છે.

ૠ૨૦, ઈતિહાસ અને સંસ્કૃતિ : ૠ૨૦ના ઈતિહાસમાં કદાચ ભારતની અધ્યક્ષતામાં જે બન્યું તેનો ઈતિહાસ અને લેખન નોંધપાત્ર રહેશે. ભારતે ૠ૨૦માં ભારતનો ભવ્ય ઈતિહાસ અને સંસ્કૃતિ’ને ઉજાગર કરી છે. ૠ૨૦ના અધ્યક્ષતાનો વિષય ‘વસુધૈવ કુટુંબકમ’ અથવા ‘એક પૃથ્વી, એક કુંટુંબ, એક ભવિષ્ય’ જે ઉપનિષદના સંસ્કૃત પાઠમાંથી લેવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે, ‘ભારતીય સંસ્કૃતિના આ બે શબ્દો – વસુધૈવ કુટુંબકમ’માં એક ઊંડો દાર્શનિક વિચાર સમાયેલો છે. મતલબ કે આખું વિશ્ર્વ એક કુટુંબ છે. આ સાર્વત્રિક દ્રષ્ટિ જ આપણને એક સાર્વત્રિક કુટુંબ તરીકે પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. એક એવું કુટુંબ જેમાં કોઈ સીમા, ભાષા અને વિચારધારા નથી.

આ પરિવર્તન સાંસ્કૃતિક છે. ૠ-૨૦ના સમાપન સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનના કાયાકલ્પની યોજના બનાવી હતી. આ સંકુલની ઓળખ ભારત મંડપમ છે. તે ખૂબ જ પ્રભાવશાળી છે. જે તેની ભવ્યતાને નવો વિચાર અને નવું પ્રતીક આપી રહી છે તે છે નટરાજની મૂર્તિ. અષ્ટધાતુથી બનેલી નટરાજની તે મૂર્તિ થોડા દિવસો પહેલા જ ભારત મંડપની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. તે વિશ્ર્વની સૌથી ઊંચી નટરાજ પ્રતિમા છે. જે આકાશ જેવું છે. આ પ્રતિમાના નિર્માણની વાર્તાના દરેક પગલામાં કલ્પના, પરિશ્રમ અને સમન્વયના તત્ત્વો છુપાયેલા છે.

રામ બહાદુર રાય પોતાના એક લેખમાં લખે છે કે, આ ૠ-૨૦માં ત્રણ મહત્ત્વની બાબતો છે. એક, વસુધૈવ કુટુંબકમ. બે, ભારત મંડપમ. ત્રણ, નટરાજ. અહી જે પણ આવ્યા તેમણે ભારત મંડપમમાં પ્રવેશતા પહેલા નટરાજના વ્યક્તિગત દર્શન કરશે. વાસ્તવમાં વસુધૈવ કુટુંબકમ અને નટરાજની અવધારણામાં સૃષ્ટિની રચના દર્શનમાં સમાયેલી છે. નટરાજના શિલ્પમાં સૃષ્ટિની ભારતીય અવધારણા પ્રતિબિંબિત થાય છે. સૃષ્ટિ ઈશ્ર્વરથી અલગ નથી સૃષ્ટિએ તેનું વિસ્તરણ છે. તેનો અર્થ એ છે કે, સૃષ્ટિ છે તેમાં પરમાત્મા છે તે તેનાથી અલગ નથી. માનવતા શબ્દમાં આ જ દ્રષ્ટિ છે. નટરાજની મૂર્તિ જણાવે છે કે, ભગવાન નર્તકની જેમ છે. તે નૃત્ય છે અને નૃત્યકાર પણ છે. આ બે સ્વરૂપો અલગ નથી. નૃત્યકાર જતો રહેશે તો નૃત્ય ટકી શકશે નહીં, તે પણ તેની સાથે જતું રહેશે. ભારતે ભગવાન નટરાજની મૂર્તિ બનાવી છે. ભગવાનના શિવ સ્વરૂપને નટરાજ કહેવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે.

નટરાજની મૂર્તિમાં એવી દિવ્યતા છે. નટરાજ એટલે શિવનું સ્વરૂપ. શિવ એટલે કલ્યાણ. તેથી આ નટરાજની મૂર્તિની વિશેષતાઓ શું છે તે જણાવવું પડશે. તે અષ્ટધાતુની છે. ૨૭ ફૂટ ઊંચી છે. આ પ્રકારની નટરાજની મૂર્તિ બનાવવાની પરંપરા જૂની છે. તે ઓછામાં ઓછા ૧૫ સો વર્ષ જૂનું છે. તેમાં એક શિલ્પશાસ્ત્ર છે. આ પ્રતિમા ભારતના દક્ષિણ છેડે બનાવવામાં આવી છે. જેને બનાવવામાં લગભગ ૬ મહિનાનો સમય લાગ્યો હતો. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્ની ટીમે રાત-દિવસ કામ કરીને તેને બનાવ્યું છે. ૧૦૦ કારીગરોએ તેમના લોહી અને પરસેવાથી પ્રતિમાનું કોતરકામ કર્યું હતું.

નટરાજની મૂર્તિ ભારતીય સાહિત્યમાં સર્વત્ર જોવા મળે છે. આ તત્ત્વજ્ઞાનમાં જીવનના વિવિધ સ્વરૂપો છે. આનંદ કુમાર સ્વામીએ તેમના પુસ્તક ‘ડાન્સ ઓફ શિવ’માં તેનું વર્ણન આ રીતે કર્યું છે કે જે પણ તેને વાંચશે તે વિચારોની નવી દુનિયામાં પ્રવેશ કરી શકશે. તે સમજી શકશે કે ભારતનું જીવન દર્શન અનંત છે. જેમાં વિશ્ર્વ સમાયેલું છે. તેથી તે અનંત છે. નટરાજની મૂર્તિ એ અનંત બ્રહ્માંડનું પ્રતીક છે. આવા પ્રતીક સાથે ૠ-૨૦ સમિટને નવો અર્થ મળ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો