ઉત્સવ

અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે વાર્યા ના વળે તે હાર્યા વળે!

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

ગુજરાતીમાં એક સુંદર કહેવત છે : વાર્યા ના વળે તે હાર્યા વળે’ અર્થાત જેને સમજાવીએ છતાં ન સમજે તે અનુભવે આપમેળે ઠેકાણે આવી જાય.

શીખવાના બે રસ્તા હોય છે : કાં તો તમે બીજાઓના અનુભવો પરથી શીખો અથવા ખુદના અનુભવ પરથી. પહેલું ઇચ્છનીય પણ અઘરૂં છે, બીજું અનિચ્છનીય પણ સહેલું છે.

બીજા લોકો સાથે કશું ઘટે ત્યારે આપણે તેમાંથી ધડો એટલા માટે નથી લેતા કારણ કે આપણને એવો આત્મવિશ્ર્વાસ હોય છે કે એવું મારી સાથે થવાનું નથી.

કેમ?
કારણ કે બીજાની સરખામણીમાં આપણે આપણને વધુ હોશિયાર સમજતા હોઈએ છીએ. શેરબજારમાં પ્રત્યેક સટોડિયો બીજા સટોડિયાને મૂરખ સમજતો હોય છે, પરંતુ એ જ્યારે પછડાય છે ત્યારે મૂરખ સટોડિયાથી જુદી રીતે નથી પછડાતો.

રોય રોજર્સ નામના એક અમેરિકન ગીતકારે વ્યંગમાં કહ્યું હતું;
દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે.

એક વાંચીને શીખે છે.

અમુક જોઇને શીખે છે.

ત્રીજો ઇલેક્ટ્રિક તાર પર પેશાબ કરીને શીખે છે..!

તાજેતરમાં, હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ કંઇક આવો જ એકરાર કર્યો છે. એ અંડાશયના કૅન્સરમાંથી બેઠી થઇ છે અને ઈશ્ર્વરનો પાડ માને છે કે એ મરતાં મરતાં બચી છે. મોતને જોઇને પાછા ફરેલા લોકોનો જીવન પ્રત્યેનો અભિગમ ધરમૂળથી બદલાઈ જતો હોય છે. મનિષા એવા લોકોમાંથી છે.

સંજય લીલા ભણસાલીની ‘નેટફ્લિક્સ’ સિરીઝ ‘હીરામંડી’ની રિલીઝ પ્રસંગે, મનીષાએ ‘ઇન્સ્ટાગ્રામ’ પર પોતાના પુનરાગમનની ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું;

‘ભગવાનની કૃપાથી મને કૅન્સર પછી બીજું જીવન મળ્યું છે. મેં જીવનમાં ઘણું જોયું છે અને ઘણા ખોટા રસ્તા પણ અપનાવ્યા છે. જીવનના ઉતાર-ચઢાવથી મને ઘણું શીખવા મળ્યું છે અને હું સમયનું મહત્ત્વ સમજું છું. ગઈકાલ મુશ્કેલ હતી, પરંતુ આજે તે શાંતિ છે.’

‘સોદાગર,’ ‘લવ સ્ટોરી.’ ‘ખામોશી’ અને ‘અકેલે હમ અકેલે તુમ’ જેવી સફળ ફિલ્મો આપનાર મનીષાનું જીવન અહીમ દર્શાવેલી તે વાતનું ગવાહ છે કે માણસો પોતાની ભૂલો, નિષ્ફળતાઓ અને અકસ્માતોમાંથી જેટલું શીખે છે તેટલું બીજામાંથી નથી શીખતા.

સતત સફળતા પછી, કારકિર્દીમાં એક સમય એવો આવ્યો જ્યારે મનીષા કોઈરાલાની ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી. એ આ તનાવનો સામનો કરી શકી નહોતી અને બીજી તરફ ગ્લેમરની દુનિયાની ચકાચોંધથી અંજાઈ ગઈ હતી, જેની અસર એની કારકિર્દી પર પડી હતી. મનીષા ધીમે ધીમે દારૂની વ્યસની બની ગઈ હતી. વ્યસનને કારણે, એને ધીમે ધીમે ફિલ્મો મળતી બંધ થઇ ગઈ હતી. એટલું જ નહીં, ૨ વર્ષની અંદર, એના પતિથી ઝઘડા અને છૂટાછેડાએ મનીષાને સંપૂર્ણપણે તોડી નાખી. દારૂના સેવનથી એના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી. જીવનનો સૌથી ખરાબ તબક્કો એ હતો જ્યારે એને ખબર પડી કે એને અંડાશયનું કૅન્સર છે. આ ક્ટોકટીએ એની આંખો ઉઘાડી નાખી. ઘણીવાર તમે એક સ્વપ્નમાં એવા ડૂબેલા હો કે તમને ખબર જ ન પડે કે તે સ્વપ્ન છે, અને અચનાક તમે એમાંથી જાગી જાવ (અને ફરી પાછા ઊંઘી ના જાવ) તો તમને તમારી વાસ્તવિકતાનું ભાન થાય. કૅન્સર છે એવી ખરાબ પડી ત્યારે મનીષાને એની વાસ્તવિકતાની, તે રીતનું જીવન જીવતી હતી તેનું ભાન થયું હતું. એને કૅન્સરથી લડવું હતું એટલું જ નહીં, નવેસરથી જીવવાનું શરૂ કરવું હતું. કૅન્સરની સારવાર પાછળ ચાર વર્ષ ગયાં. આ એ જ સમય હતો જયારે એણે એના રૂટિનને અને જીવન પ્રત્યેના અભિગમને સમગ્રપણે બદલી નાખ્યો. એ દારૂના વ્યસનમાંથી બહાર આવી ગઈ, પ્રેમ સંબંધોમાં જીવનનો હેતુ શોધવામાંથી બહાર આવી ગઈ અને કૅન્સરમાંથી બહાર આવી ગઈ. એ એક નવી મનીષાનો જન્મ હતો.

એણે પોતાની આ યાત્રા પર હીલ્ડ: હાઉ કૅન્સર ગેવ મી અ ન્યૂ લાઈફ’ નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકની શરૂઆતમાં જ મનીષાએ લખ્યું હતું : ‘હું મરવા નથી માગતી.’ મનીષા કહે છે કે એને જયારે બીમારીની ખબર પડી ત્યારે, એણે એવા લોકો વિશે જાણવાનું શરૂ કર્યું હતું, જે આ બીમારી સાથે લડીને આગળ નીકળ્યા હતા. તેમાં જ એને ક્રિકેટર યુવરાજ સિંહ અને મોડેલ-અભિનેત્રી લીઝા રેની કૅન્સર સાથેની લડાઈની વાત જાણવા મળી હતી. એ પછી મનીષાએ પાછું વળીને જોયું અને બીમારી સામે જીતવાનું નક્કી કરી લીધું.

‘જયપુર લિટરેચર ફેસ્ટિવલ’માં, આ પુસ્તકના વિમોચન પ્રસંગે મનીષાએ કહ્યું હતું, ‘ખરાબ સમય તમારી સફળતાને રોકી શકતો નથી, પરંતુ તે શીખવવા અને શીખવવાનો સમય છે. જીવન ફૂલોથી બનેલું નથી, ઉતાર-ચઢાવ એ જીવનનું વાસ્તવિક પાસું છે માત્ર એટલી સમજ હોવી જોઈએ કે ખરાબ સમય પછી પણ સારો સમય પણ આવે છે. કૅન્સરે મને એક માણસ તરીકે બદલી નાખી છે અને હું વધુ દયાળુ અને સૌમ્ય બની ગઈ છું અને પ્રકૃતિના દરેક પાસાનો આનંદ માણું છું’

એક ખેડૂતને ચાર દીકરા હતા. ચારેય આળસુના પીર. કોઈ કામ ન કરે અને ખાઈ-પીને
રખડ્યા કરે. ખેડૂત એમને ટકોરી ટકોરીને થાકી ગયો હતો. અંતે એમને પાઠ ભણાવાનું નક્કી કર્યું. ચારે દીકરાઓને ભેગા કરીને કહ્યું કે ‘રાતે દાદા સપનામાં આવ્યા હતા અને કહ્યું કે ખેતરમાં ખજાનો દટાયેલો છે.’ ચારે દીકરા દોડ્યા અને આખું ખેતર ખોદી નાખ્યું. કશું હાથ ન આવ્યું. ખેડૂતે કહ્યું, ‘દાદા ફરીવાર સપનામાં આવ્યા હતા અને કહ્યું છે કે વરસાદ પડે તો ખોદવાનું અટકાવી દેજો અને ત્રણ મહિના પછી ફરી પ્રયાસ કરજો.’ દીકરાઓએ તો ખેતરની જમીન ઉપર-તળે કરી નાખી હતી એટલે ખેડૂતે સલાહ આપી કે વરસાદ આવવાની તૈયારીમાં જ છે તો ભેગા ભેગી મકાઈ રોપી દો એટલે જમીન પાછી બહુ કડક ના થઇ જાય.

દીકરા સંમત થયા અને ત્રણ મહિના પૂરા થાય તેની લ્હાયમાં મકાઈ રોપવા માટે મંડી પડ્યા. એ સિઝનમાં મકાઇ ભરપૂર થઇ. ખેડૂતે તેને ઊંચા દામે બજારમાં વેચી. ઘરમાં ઢગલો રૂપિયા આવ્યા. ખેડૂતે ચારે દીકરાને ભેગાં કરીને રૂપિયા તરફ આંગળી ચીંધીને કહ્યું, દાદાજી ફરી પાછા સપનામાં આવ્યા હતા અને કહેતાં હતા કે ‘એમણે આ જ ખજાનાની વાત કરી હતી.’

દીકરાઓ પરિશ્રમનું મહત્ત્વ સમજી ગયા. એ અનુભવ એમનો શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયો હતો.

મનીષા કોઈરાલાને નવા જીવનનો ખજાનો મળ્યો તેમાં એની અસ્તવ્યસ્ત જીવનશૈલી અને બીમારીનો અનુભવ શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…