ઉત્સવ

હિમાલયન મોનાલની રાજધાની: ચોપતા

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

શિયાળાની શરૂઆતમાં હિમાલયનાં હિમ શિખરો નવા-સવા બરફનાં આવરણો ધારણ કરીને તૈયાર થઈ ગયાં છે. ટ્રેકિંગ માટે હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ જેવાં રાજ્યોમાં ઘણાં સ્થળો પ્રવાસીઓને આવકારવા થનગની રહ્યા છે. વિશ્ર્વનાં કોઈપણ ખૂણે જાઓ પણ હિમાલયમાં જે આધ્યાત્મિક સત્વ અને તત્ત્વ છે તેવો અનુભવ ક્યાંય નહિ કરી શકો. શિયાળાની કડકડતી ઠંડીમાં બરફ પર ચાલીને ચંદ્રશિલાની ટોચ પર પહોંચીને નરી આંખે સ્વર્ગ જોઈએ ત્યારે હૃદય એક ક્ષણ માટે ધબકારો ચૂકી જાય જ. હું પોતે પણ હિમાલયનાં અનુભવોને શબ્દોમાં ઢાળવા બેસું ત્યારે પોતાની જાતને દિગ્મૂઢ થઈ જતો અનુભવી શકું છું. ક્યારેક ભાગતી જિંદગીમાં બ્રેક લેવો હોય, જીવનની દરેક ક્ષણોને બસ જીવી જ લેવી હોય, મોનોટોનસ ટ્રાવેલ પ્લાન્સથી અલગ જ કંઈક કરવું હોય તો ઉત્તરાખંડનું ગઢવાલ આંખ બંધ કરીને ક્યારે પણ પસંદ કરી શકાય. અહીં વાદળો સાથે પકડદાવ રમવાની જગ્યા, લીલોતરીમાં મહાલવાની જગ્યા અને જાત માટે જ જીવી લેવાની જગ્યા જેવી સઘળી જગ્યાઓ હાજર છે. અહીં તન અને મન આધ્યાત્મ સાથે આપોઆપ જોડાઈ જાય છે. ભારતીય પુરાણો અનુસાર અહીંથી જ સ્વર્ગનો રસ્તો શરૂ થાય છે અને દેવોની તપોભૂમિ છે એટલે જ ઉત્તરાખંડને ‘દેવભૂમિ’ તરીકે ઓળખવામાં આવે છે.મારી સહુથી વધારે ગમતી જગ્યામાંની એક જગ્યા અહીં જ ઊંચા દેવદાર અને પાઈનનાં જંગલોની વચ્ચે આવેલું ચોપતા. અહીં કાન્હાની મોરલી, શિવનું તાંડવ, રામની સૌમ્યતા બધું જ અનુભવાય છે. અહીંનું કુદરતી સંગીત એક અલિપ્ત વિશ્ર્વમાં લઇ જાય છે તો અહીંનું કુદરતી દૃશ્ય કોઈ પરીઓના કલ્પના વિશ્વમાં લઇ જાય છે. અહીં અનુભવી શકાય તેવું દરેક દ્રશ્ય શ્રાવ્ય પણ છે. પક્ષીઓનાં સંગીત અને કોઈને પણ મુગ્ધ કરી મૂકે તેવા પક્ષીઓનાં આકર્ષક કરતબો નિહાળવાનું આ મનોરમ્ય સ્થળ છે. ચોપતા વિસ્તાર હિમાલયન મોનાલ નામનાં પક્ષીની રાજધાની કહી શકાય. અવનવા રંગો સાથે બરફમાં અહીં મોનાલ સહ પરિવાર જોવા મળે છે.

રૂદ્રપ્રયાગ નજીક ચૌખંભા પર્વત સમૂહની ગોદમાં ચોપતા વેલી છે અને અહીં વિશ્ર્વનું સૌથી અધિક ઊંચાઈ પર સ્થિત શિવમંદિર એટલે તુંગનાથ પણ આવેલ છે જયાં આજે પણ રામાયણ અને મહાભારત કાળના નાદ સંભળાય છે. દેવોના દેવ મહાદેવના આ મંદિરની વિશેષતા એ પણ છે કે આ સ્થળ પર રામચંદ્રએ જીવનની થોડી ક્ષણો એકાંતમાં વિતાવી હતી. પુરાણો મુજબ એવું કહેવાય છે કે વ્યાસ મુનિની સલાહ પર પાંડવો દ્વારા કુરુક્ષેત્રના નરસંહારની ક્ષમા પ્રાપ્તિ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. સમુદ્ર સપાટીથી ૩૬૮૦ મીટરની ઊંચાઈ પર આવેલ આ મંદિરમાં શિવજીના હાથ અને હૃદયની પૂજા કરવામાં આવે છે.
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ તુંગનાથ મહાદેવ એ પંચકેદારમાં ( કેદારનાથ, રુદ્રનાથ, તૂંગનાથ, કલ્પેશ્વર, મધ્યમહેશ્ર્વર) સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. ગઢવાલ હિમાલયનાં સહુથી અનૂઠા અને સુંદર ટ્રેકમાંનાં એક ચંદ્રશિલા ટ્રેકની શરૂઆત ચોપતાથી થાય છે. ચંદ્રશિલા એ ચંદ્રદેવની શિવ તપશ્ર્ચર્યાનાં કારણે જાણીતું છે. હિમાલયની ગોદમાં આવેલ નાનકડું સુંદર ગામ ચોપતાને એની સુંદરતા માટે મિની સ્વિત્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. કેદારનાથ અને બદ્રીનાથ વચ્ચેનો પડાવ ચોપતા ગામમાંથી પસાર થાય છે. ઉત્તરાખંડના પ્રવાસ દરમિયાન મોટા ભાગના લોકોને કેદારનાથ અને બદ્રીનાથનું વધુ આકર્ષણ હોઈ છે જેથી લોકો ઘણીવાર અહીં જવાનું ટાળતા હોઈ છે.ચોપતાથી ૪ કિલોમીટરના ટ્રેક પછી તુંગનાથ મહાદેવનું મંદિર છે. આ પગપાળા માર્ગમાંથી બુગ્યાલ (ઘાસનાં મેદાનો) વચ્ચેથી પસાર થતા લાગે કે પગે ચાલતા ચાલતા સ્વર્ગ મળ્યું, આંખ સામે ગમતું વિશ્ર્વ મળ્યું. હિમાલયના પક્ષીઓના ટહુકાઓના વિશ્ર્વ વચ્ચે એકલા વિહરવું એટલે ઊંચાઈ પર જઈને પોતાની જાતની સૂક્ષ્મતા સુધી પહોંચવું. વિશ્ર્વનાં સહુથી ઊંચાઈ ધરાવતા શિવમંદિર તુંગનાથ જવા માટેનો રસ્તો અનેક સરપ્રાઇઝથી ભરેલો છે. કુદરત અહીં દરરોજ એના કેનવાસ પર અલગ અલગ રંગો ભરે છે. એવો સવાલ થાય જ કે કુદરતનો રંગોનો પટારો કેટલો મોટો હશે. તુંગનાથ ચડતા ચડતા હિમાલયની પર્વતમાળાઓને કેમેરામાં ઝડપતા વિચાર આવ્યો કે કેટલા નસીબદાર છે આ જીવ કે કુદરતના ખોળે મહાલવા મળે છે અને આપણે ઇન્ટરનેટના ઝાળામાં જ અટવાયેલા છીએ.

તુંગનાથ પહોંચ્યા પછીનું દ્રશ્ય શબ્દોમાં વર્ણવવું યોગ્ય નથી એ માત્ર અનુભવની જ બાબત છે. જીવનું શિવ સાથેનું કંઈક અંશે જોડાણ કરાવે છે. આ જગ્યા એવી છે જયાં તમે પોતાને સૌથી વધુ જીવંત અનુભવો અને એક અલગ જ પ્રકારની હકારાત્મકતા મળશે . અંદાજે ૫૦૦૦ વર્ષ પૂર્વેના આ મંદિરના એ ઘંટનો રણકાર શરીરમાં ઊંડે સુધી પહોંચી કંઈક અલગ જ કંપનો આપી જાય જે ખરેખર અવિસ્મરણીય છે, અહીંનો ઘંટારવ દૂર સુધી પહાડોમાં ગુંજતો સંભળાય છે ત્યારે જીવનની તમામ નકરાત્મક ઊર્જા આપોઆપ સકારાત્મકતામાં તબદિલ થઇ જાય છે. બાબા તુંગનાથના નાદમાં જ કંઈક મેગ્નેટ જેવો જાદુ છે જે તમને કપરા ચઢાણમાં પણ હિમ્મત આપે છે. મંદિરનું સ્થાપત્ય ઉત્તર ભારતીય શૈલી મુજબનું છે. મુખ્ય મંદિરની બાજુમાં પાર્વતીજીનું મંદિર છે એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ શિવજીને પામવા માટે અહીં તપસ્યા કરી હતી. એ ઉપરથી જ કહી શકાય કે આ કેટલી પાવન ભૂમિ છે. આ ઉપરાંત શંકરાચાર્યએ બનાવેલ અન્ય પાંચ નાનાં મંદિરો તેમજ ભૈરવ મંદિર પણ છે. આ મંદિરની વાઇબ્સ વિશે એટલું કહી શકીએ કે શબ્દોમાં અને દ્રશ્યોમાં એને જોવા માણવા કરતા એક વાર ચોક્કસથી આ મંદિરના વાઇબ્સને મહેસૂસ કરવા પહોંચી જવું જોઈએ. સામાન્ય રીતે મે મહિનાથી ઓક્ટોબરના મધ્ય ભાગ સુધી મંદિર ખોલવામાં આવે છે અને ચોમાસામાં મકકુમઠમાં બાબા તુંગનાથની પૂજા કરવામાં આવે છે. વૈશાખી પછી તુંગનાથના કપાટ ખોલવામાં આવે છે. જેમ જેમ ઉપર તરફ પ્રયાણ કરતા જઈએ તેમ તેમ આસપાસનાં દ્રશ્યો બદલાતાં જાય છે. શિવજીએ રહેવા માટે હિમાલય જ પસંદ કર્યો એ વાત અહીં આવીને ચોક્કસપણે સમજી શકાય. હિમાલયને પોતાની આગોશમાં સમેટી લેવા મથતાં વાદળાઓ અને એ વાદળોમાં નાના ભૂલકાઓ માફક દોટ મૂકીને ઘૂસી જતા સૂરજના શેરડાઓને જોઈને અભિભૂત થતો હું ક્યાંય ખોવાઈ ગયો કે મારું અસ્તિત્વ આકાશમાં ચમકતા નાનકડા તારા માફક નાનકડું થઇ ગયું હોય એવું અનુભવ્યું.

તુંગનાથથી આગળ જતાં અંદાજે એક કિલોમીટર દૂર આશરે બાર હજાર ફીટની ઊંચાઈ પર ગઢવાલ હિમાલયમાં સ્થિત ચંદ્રશીલા. જીવતા જો સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો એકવાર ચંદ્રાશીલા સુધી પહોંચી જ જવું જોઈએ. તુંગનાથ પહોંચતા સુધી તો ઘણા લોકો તુંગનાથથી જ પરત ફર્યા હશે પણ ચંદ્રશીલાના કપરા ચઢાણ પછી હિમાલયના નરી આંખે દર્શન કરનાર વ્યક્તિ કદાચ એ ક્ષણને જિંદગીભર ન ભૂલી શકે એવો નજારો જોવા મળે. ચંદ્રશીલા જનાર વ્યક્તિ પણ દિવસ આથમે એ પહેલા તો નીચે ઊતરી જ જાય કેમ કે ઠંડોગાર પવન, ચોતરફ બરફ અને ક્યાંય રસ્તો પણ ન દેખાય. ચઢાણ કરતા ઉતારવાનું વધારે, જ્યાં પગ મૂકો ત્યાંથી લપસીને સીધા નીચે આવો. કોઈક કોઈક જગ્યાએ પાકો બરફ જાણે કુદરતી લસરપટ્ટીની રચના થઇ હોય એવું જ કંઈક પણ ચંદ્રશિલા ચઢતા સાથે જ મેં સુમેરું અને નંદાદેવીને જોતા જ અહીંયાના સૂર્યાસ્ત પછીની લાલિમાની કલ્પના કરી અને નક્કી કર્યું કે સૂર્યાસ્ત પહેલા અહીંયાથી હટવું નથી. કપરા ચઢાણ પછી ચંદ્રશીલા પહોંચે કે કુદરત પોતાની પાસે ખેંચીને તમને વહાલ કરે એવો સાક્ષાત્કાર અહીં થાય છે એટલે જ અહીંયા આવનાર
વ્યક્તિ સમયનું ભાન ભૂલીને હિમાલયમાં લીન થઇ જાય છે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રએ દક્ષ પ્રજાપતિના ક્ષય રોગના શ્રાપમાંથી મુક્તિ માટે મહાદેવની આરાધના કરી હતી અને ભગવાન શ્રીરામે રાવણવધ પછી બ્રહ્મહત્યા નિવારણ માટે શિવ આરાધના કરી હતી.ગમે તેવો નાસ્તિક અહીંયા આવીને જ સાચો આસ્તિક બની જાય અને શિવમય થઇ જાય. પૂનમ પહેલાંની ઢળતી સાંજ હતી, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો, સૂરજ ડૂબું ડૂબું થઇ રહ્યો હતો અને ચંદ્રશીલા પરના એક પથ્થરને અઢેલીને વાદળોને પહાડની સોડમાં લપેટાયેલા જોતો હું લગભગ કલાક જેટલો સમય અવાચક બનીને કુદરતની આ પરમ મનોહર લીલાને આંખોથી મારામાં ભરી રહ્યો હતો. આ બધી ક્ષણો એ હતી જે સંપૂર્ણપણે ખાલી મારા માટે જ હતી, મારી જાત માટે જ હતી. સાંજ ઢળતાં સૂરજને ગંગોત્રી રેન્જમાં લપાઈ જતા જોઈને જાતને ઢંઢોળી ત્યાં સુધીમાં એકલદોકલ ટ્રેકર પણ નીકળી ચુક્યા હતા અને હું સાવ એકલો અનિમેષ નજરે હાથી પર્વત પર ચંદ્રને જોઈ રહ્યો અને સૂરજની છેલ્લી લાલાશ બરફાચ્છાદિત પર્વતોને તમસની ચાદર ઓઢાડતી ગઈ. ઢળતી સાંજ રંગોથી પહાડો સાથે રમે ત્યારે વિચારોમાં વહેતા તરંગો પણ આવા જ ગુલાબી હોય છે, તસવીરો માફક વિચારોને પણ આપણે જોઈ શકતા હોત તો કદાચ વિશ્ર્વમાં ઘણાંયે શ્રેષ્ઠ સર્જન થયાં હોત. ચંદ્રશીલા પર બેસીને કુદરત સાથે સાધેલા સંવાદોને મેં લખ્યા છે અને કુદરત જાણે એમાં સાથ પુરાવતી હોય એવો અનુભવ પણ થયો છે. એક તરફ સૂર્યનો સોનેરી ઢોળ નંદાદેવી અને ત્રિશૂળ પર્વત પર દેખાઈ રહ્યો છે તો એક તરફ ચંદ્રની ગુલાબી ઝાંય આખી ગઢવાલની સુંદરતાને સજાવી રહી છે. ઢળતી સાંજે મારા મનમાં ઉગતો દિવસ છે આ.

અહીં પહોંચવા માટે ઋષિકેશથી ચોપતા સુધી ટેક્ષી સરળતાથી મળી રહે છે. ચોપતામાં રહેવા માટે સરળ હોમસ્ટે ઉપલબ્ધ છે અને અહીં સાદું ભોજન પણ મળી રહે છે. ઓછામાં ઓછા ૪ થી ૫ દિવસ હાથમાં હોય તો આ સ્થળને મન ભરીને માણી શકાય.

સમયને પેલે પાર જવા માટે વહેતી નદી માફક વહી જવું પડે દોસ્ત, હિમાલયમાં દૂર ક્યાંક બરફ પર પડતી સૂરજની સોનેરી રોશની જોવા કપરાં ચઢાણ ચડવા પડે, હજારો મીટર ઊંચે ઉડતાં પંખીઓનાં કરતબને જોવા એટલી ઊંચાઈએ જઈને બે ઘડી બેસવું પડે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?