સર્જકના સથવારે: કલાપીએ 19 વર્ષની વયે શરૂ કરેલી કાવ્યયાત્રા 26મે વરસે સમાપ્ત થઈ ગઈ
કલાપી (જન્મ: 26-1-1874 મૃત્યુ: 9-6-1900)

- રમેશ પુરોહિત
એટલે આપણે એમની કવિતાનું મૂલ્યાંકન કર્યું, પણ કવિ તરીકેના એમના પ્રદાન વિશે શું?
કવિતામાં વ્યક્ત થતી ભાવનામાં સંવેદનનો આવેગ ધોધમાર વહેતો હોય ત્યારે પ્રસાદ ઓછો અને વિષાદ વધારે ઘૂંટાયેલો હોય છે. અત્યારની કવિતામાં અને ખાસ કરીને પ્રણયકવિતામાં પ્રણયભાવની વિડંબનાનો સૂર સંભળાય છે ત્યારે આ કવિતાની સામે પંડિતયુગના કવિ કલાપીની કવિતામાં તો આ લાગણી વધારે ઉત્કટતાથી નિરૂપાયેલી જોવા મળે છે. સૌન્દર્યલક્ષી વલણ દાખવતી ન્હાનાલાલ કે ઠાકોરની પ્રણયકવિતામાં પ્રણયતત્ત્વનું ઠરેલું અને મસ્ત નિરૂપણ દેખાય છે. જ્યારે કલાપીની કલમે લખાયેલાં પ્રેમકાવ્યોમાં પ્રેમનો રોમૅન્ટિક અભિગમ વધુ વાસ્તવદર્શી હતો.
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠીના ઠાકોર હતા. રાજા હોવાના નાતે રાજવીપણું હતું પણ એમની કવિતાનું રાજ્યારોહણ ખૂબ જ લોકપ્રિય નીવડવાને કારણે આ કવિએ વાસ્તવમાં પોતાના દિલમાં કવિતાનો રાજ્યાભિષેક કર્યો હતો. હરીન્દ્ર દવેએ નોંધ્યું છે કે, ‘કલાપીની લોકપ્રિયતા અપૂર્વ છે. આટલી હદે લોકોના હૃદયમાં સ્થાન પામેલા બીજા કોઈ આધુનિક કવિનું નામ યાદ કરતાં તકલીફ પડે.’
કલાપીએ 19 વર્ષની વયે શરૂ કરેલી કાવ્યયાત્રા 26મે વરસે સમાપ્ત થઈ ગઈ એટલે આપણે એમની કવિતાનું મૂલ્યાંકન કર્યું, પણ કવિ તરીકેના એમના પ્રદાન વિશે ખૂબ જ ઓછી વિચારણા થઈ છે.
કલાપી એટલે પ્રેમકાવ્યોનો જ કવિ નહીં. પ્રેમકાવ્યોમાં ઊછળતી લાગણીઓનો પ્રવાહ એમના અંગત જીવન, એ વખતની રાજકીય પરિસ્થિતિ અને દંભ વગરની ઉત્કટ પ્રેમની અભિવ્યક્તિને લીધે ઉપરછલ્લા અભ્યાસથી સમજી શકાય નહીં. કલાપીએ ઉત્તમ પ્રકૃતિકાવ્યો પણ આપ્યાં છે. એમના મિત્ર કાન્તની જેમ એમણે ખંડકાવ્યો પણ લખ્યાં છે.
પંડિતયુગના કવિની જેમ સંસ્કૃત વૃત્તોમાં કાવ્યો લખ્યાં, ભરપૂર. ફારસી-અરબી શબ્દો વાપરીને ગઝલમાં પોતાની ઊર્મિઓને અવતારવાનો પ્રયત્ન કર્યો. તત્કાલિન કવિઓની સરખામણીમાં સરળ ભાષા અને સામાન્ય પાત્રો લઈને રચનાઓ કરી. ‘હમીરજી ગોહેલ’ મહાકાવ્ય લખવાની નેમ સાથે લખ્યું પણ એ મહાકાવ્ય બની શક્યું નહીં.
કલાપી આમ વિવિધ સ્વરૂપોમાં સ્વૈરવિહાર કરે છે અને વિવેચકો કહે છે તેમ એમણે આપેલા આ બધા કાવ્યપ્રકારોમાં ક્યાંક વધારે પડતાં વર્ણનો, બિનજરૂરી વિગતો, અકલાત્મકતા ક્યારેક કાવ્યતત્ત્વને હાનિ પહોંચાડે છે. પણ આપણે કલાપીની વય, પ્રણયવિભાવના, સંઘર્ષ અને માનસિક અને આંતરિક ખેંચતાણને ધ્યાનમાં રાખીએ તો સમજી શકીએ કે એમની પર્વતમાંથી ફૂટતાં ઊછળતાં-કૂદતાં ઝરણાં જેવી કવિતાને ઠરીઠામ થઈને નદીની જેમ ધીરગંભીર પ્રવાહે વહેવાનો વખત જ ક્યાં મળ્યો હતો.
કલાપીનું જીવન એમના સર્જનમાં શ્ર્વાસ લે છે. પ્રેમને લોકો સમજી શકે એ રીતે નિરૂપનાર કવિ લોકોમાં સ્થાન પામે જ અને સાથે સાથે અંગત જીવનના બનાવો પણ રોચક અને રોમાંચક હોય તો લોકોના મનમાં એમની રચનાઓ કરતાં કવિનું નામ જલદીથી વસી જતું હોય છે.
કલાપીને વાસ્તવિકતાની ભૂમિ પર રમા સાથે સંસાર હતો અને શોભના સાથે પ્યાર હતો. પ્રણયત્રિકોણની વ્યથાઓ કદાચ ત્રણેય પાત્રોએ અને વધારે કલાપીએ અનુભવી અને પ્રણયગાનની રસલ્હાણ લોકોને મળી. પ્રણય દૈહિક નહીં પણ વધારે આધિદૈહિક સ્વરૂપે નીતરે છે અને સૂફીરંગની ગઝલોમાં આ કવિ પ્રિયતમ અને પરમ પ્રિયતમ બંનેને હૃદયમાં વસાવીને કાવ્યની સરવાણીઓ વહેતી કરે છે. જેમ કે:
હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?
‘પ્રણયરસ’ શબ્દ સાથે કલાપી ‘દૈવી’ વિશેષણ વાપરીને મૂર્ત અને અમૂર્ત બંનેને મુખરિત કરે છે:
હતું તેનું હૈયું કમલસરખું કોમલ અને,
હતો તેમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો.
કલાપી એમના મિત્ર કાન્ત પરના પાત્રોમાં પોતાના જીવનની રૂપરેખા આપે છે. શોભનાની સ્વીકૃતિ પહેલાંની અને પછીની મનોવ્યથાને બળબળતા હૈયે અભિવ્યક્ત કરે છે, પરંતુ ક્યાંય કોઈ દયાયાચના નથી દેખાતી. માફામાફીની વાત નથી અને કારણોમાં પડ્યા વગર હૃદય કારણની વાત કરે છે. પ્રેમ એટલે શું? પ્રેમ ક્યારે અને કેમ થાય? ફલાણા સાથે પ્રેમ કેમ થયો હશે? આવા પ્રશ્ર્નો આપણે વારંવાર સાંભળીએ છીએ ત્યારે કલાપીની બે પંક્તિઓનું સ્મરણ અવશ્ય થાય છે:
પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈએ નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ! પ્રેમની લક્ષ્મી તે બધી.
‘પ્રેમનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ’ એ વાતનો કલાપીને સતત ખ્યાલ છે. એમના પ્રેમગાનનાં રોદણાં નથી પણ પ્રેમના પંથે નીકળેલા હમસફર કોણ છે અને કોણ કોણ હોઈ શકે એનો પણ એમને પૂરતો અંદાજ છે. જેમ કે:
મલે ઘેલો કહીં લોકો! હજારો નામ આપો છો!
હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા!
તમારા કૃષ્ણ ને મોહમદ, તમારા માઘ, કાલિદાસ,
બિરાદર એ બધા મારા! હમારા રાહ છે ન્યારા.
હતાં મ્હેતો અને મીરાં, ખરાં ઈલ્મી, ખરાં શૂરાં,
હમારા કાફલામાં એ મુસાફર બે હતાં પૂરાં!
ભક્તિનો ઈલ્મ, પ્રેમલક્ષણા ભક્તિનો મંત્ર જીવનમાં ઉતારનારનો માર્ગ ગુલાબોથી લથબથ નથી હોતો પણ કંટકોથી છવાયેલો હોય છે અને મંજિલ પર પહોંચનાર કાફલામાં આવા હમસફરોની સંખ્યા હજારોમાં નથી હોતી. નરસિંહ હોય કે મીરાં તેઓના જેવાં એકાદ બે હોય તો એ મુસાફર પૂરતાં છે. કવિની બિરાદરી કોની સાથે છે તો કૃષ્ણથી લઈને કાલિદાસ સાથેની. કલાપીમાં પ્રેમલક્ષણા ભક્તિના, સૂફીરંગના તાણાવાણા શ્ર્વાસની જેમ વણાયેલા એટલે જ એમની કવિતા કે ગઝલ માત્ર પ્રેમના ઉદ્ગારો કે પ્રેમની વિફળતાનાં રોદણાં નહીં રહેતાં લોકહૃદયમાં સ્થાન પામે છે.
કલાપી બાલાશંકર અને મણિલાલના પગલે પગલે ગઝલને પોતાના ભાવોને ઉત્કટતાથી વ્યક્ત કરવાનું માધ્યમ બનાવે છે ખરા પણ ગઝલના છંદશાસ્ત્રની મર્યાદામાં રહી શકતા નથી. કાફિયા-રદીફનાં બંધનો કે અરૂજની માપબંધી નિબંધ વહેતી લાગણીઓને ફાવી નથી. પોતાના આવેગને કે આવેશને માધ્યમ ફાવી જાય છે પણ ગઝલના બંધારણમાં રહીને એમણે ગઝલપ્રકારને ખેડયો નથી એમ કહી શકાય. વિચાર છે અને વિચારતત્ત્વને વ્યક્ત કરવા માટે અનુરૂપ ભાષા છે પણ આટલું જ પૂરતું નથી. ગઝલના આંતરસ્વરૂપની ઓળખ એમને થઈ હોય એમ લાગે છે પણ બાહ્યતત્ત્વની ઉપેક્ષા એ ઓળખને ઓળખાણ બનવા દેતી નથી. કલાપી મુગ્ધ પ્રેમના કવિ છે પણ એમને ખુમારીનો એહસાસ છે અને ખુવારીનો ખ્યાલ છે:
અજાયબ સ્નેહના રસ્તા! અજાયબ ગાંઠ પ્રેમની,
ખુમારી ને ખુવારી છે: અજાયબ પ્રેમની મસ્તી.
કલાપીની પ્રેમની મસ્તી છે એવી જ એમની પ્રકૃતિપ્રેમની મસ્તી છે. શંકર-પાર્વતીના જેવું સાયુજ્ય હોય તો હિમાલયની શાંતિ હૈયામાં પણ વાસ કરતી હોય છે. આ વાતને કલાપી આ રીતે મૂકે છે:
બગીચા, મ્હેલોમાં, ઘટ વન અને જંગલ વિશે, રહે શાન્તિ હૈયે, પ્રિયતમ પ્રિયા એક જ રહે.
પ્રણયભાવના ગાયક કલાપીના પ્રકૃતિના વર્ણનમાં પણ આ સ્થાયી ભાવરૂપે પ્રકટે છે. ‘કમલિની’ કાવ્ય હરિગીત છંદમાં લખે છે. વાત છે કમલિનીની પણ ‘પ્રેમધબકારા’ સંભળાયા કરે છે:
લાડથી હું શ્ર્વેતવરણી ઝૂલતી રહું જલ પરે,
મકરન્દ છાંટું ભૃંગ પર તે ગૂંજતો મુજ પર રહે;
તેને સુવાડું રાત્રિએ મમ હૂંફવાળા હૃદયમાં,
ત્યાં પ્રેમધબકારા ઝીલે બંને દિલો આનંદમાં.
ભમરો કમળના મોહપાશમાં એવો તો ચકચૂર બને છે કે સૂરજ આથમે ત્યારે કમળમાં બિડાઈ જાય છે. આ વાતને કવિએ ત્રીજી પંક્તિમાં કેટલી ઋજુતાથી નિરૂપી છે કે આ ભિડાવું આનંદમાં પરિણમે છે. જોકે આવા પ્રેમની નિયતી શું હોઈ શકે એનો ખ્યાલ તો આપણને ખૂબ જ પ્રસિદ્ધ સંસ્કૃત સુભાષિત પરથી આવી શકે છે કે, ‘રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ્… હા! હન્ત હન્ત નલિની ગજ ઉજ્જહાર.’
કવિને મૃત્યુના અધિપતિપણાંની ખબર છે. એ મૃત્યુને, ‘રે ભાઈ મૃત્યુ’ અમે કહીને લાડ લડાવે છે. સંસાર અસારની વાત આ કવિ કરતો નથી પણ દાર્શનિક અદાથી સંસારના માયાવીપણાંની વાત સરળ શબ્દોમાં કરી શકે છે:
તે માર્ગનાં પથિક તોય બધાં દિસે છે,
છે મૃત્યુ, જન્મ, જીવવું, સહુ ભાસ માત્ર,
તો મૃત્યુથી રુદન, જન્મથી હાસ્ય શાને?
વૈરાગ્યમગ્ન રહી આયુ ન ગાળ શાને?
વિપુલ સર્જન કરનાર સર્જક પાસેથી દરેક રચના સર્વાંગસંપૂર્ણ કે સર્વગુણસંપન્ન ન મળે તો પણ એકાદ પંક્તિ હંમેશને માટે જીવતી રહે તેવી મળે તો એ સર્જન સાર્થક થાય છે. જેમ કે: ‘દુ:ખો સંસારીના પરમ સુખના સાધન નકી.’ ‘તમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા.’ ‘જીવવું જીવ લેઈને આહી એવી દિસે રીતિ.’ ‘હતી જ્યાં વસ્લની ખ્વાહિશ મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું!’ ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ.’
અને
હર્ષ શું ઝિન્દગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં,
પ્રેમના રંગથી જો ના રંગાયું વિશ્ર્વ હોત આ!
કલાપી વ્યક્તિલક્ષી કાવ્યો લખે છે ત્યારે વિગતોનો વિસ્તાર સપાટી પરથી સરકતો રહે છે. જેમ કે, ‘વૃદ્ધ ટેલિયો,’ ‘વૃદ્ધ માતા’, ‘મૂળદાસ’, ‘ભરત’ વગેરે કાવ્યો આ પ્રકારમાં આવે છે.
‘ગ્રામ્ય માતા’માં સામાજિક સ્થિતિનો ખેદ છે તેમ ‘એક ઘા’ કાવ્યમાં જીવદયા અને વન્યસૃષ્ટિની જાળવણીની અને આધુનિક ઈકૉલૉજીની વાતનો પડઘો પડે છે. ‘તે પંખીની ઉપર પથરો ફેંકતો ફેંકી દીધો’ એમ કહેતી વખતે કવિના કાળજે ઘા પડે છે.’
કવિને પંખીઓ પોતાનાથી ડરીને ઊડી જાય છે એ ગમતું નથી એટલે કહે છે કે:
રે પંખીડાં, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
કવિની સૂક્ષ્મ દૃષ્ટિ પ્રકૃતિને માણે છે, જાણે છે અને શબ્દ દ્વારા પોતાના અનુભવનું કાવ્યમાં રૂપાંતર કરે છે. આગિયાની વાત કરતાં કરતાં માનવી જીવનની દાસ્તાનને ભૂલતા નથી. સંસારીઓનો પ્રેમ અને સંસાર કોયડાની કલાપીએ કરેલી વાત પોતાની આગવી છે.
આપણ વાંચો: આકાશ મારી પાંખમાં : મેરા દર્દ ના જાને કોઈ
આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી?
અમ એ જ જીવિત, એ જ મૃત્યુ, એ જ અશ્રુ ને અમી;
જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી?
કવિએ પૂછેલો પ્રશ્ન શાશ્વત છે અને એ જેટલો સાચો છે એટલી જ સાચકલી કવિની પોતાની વાણી છે. એક જ વાક્યમાં કહી શકાય કે નાસ્તિ યેષાં યશ: કાયે જરામરણંજ ભયમ્.