ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : સિંહ વસતિ ગણતરી સ્પેશિયલ એશિયાઈ સિંહ ને તેનું ઘર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન…

-કૌશિક ઘેલાણી

‘‘नाभिषेको न संस्कार ः सिंहस्य क्रियते बने’|
विक्रमार्जितसत्वस्य स्वयमेव मृगेन्द्रता ॥ हितोपदेश

અર્થાત્ – સિંહને રાજા ઘોષિત કરવા માટે કોઈ સંસ્કાર કે અભિષેક કરવામાં નથી આવતો પણ એ એના ગુણ અને પરાક્રમ થકી જ રાજાનું પદ પ્રાપ્ત કરે છે.

સિંહ એ માત્ર જાનવર નહીં આપણા જીવનમાં વણાયેલો એક સભ્ય છે, સિંહ એ આપણી સંસ્કૃતિ છે. આખાયે એશિયાનાં જંગલો ખૂંદીને ગુજરાતનાં ગીરમાં પોતાનું ઘર બનાવનાર સિંહ આપણી સંસ્કૃતિમાં, આપણા સાહિત્યમાં ગજબ રીતે વણાયેલો છે. ક્યારેક ગીરનાં જંગલમાં એની ડણક સાંભળો, હૃદયનાં ધબકારા વધી જશે. ક્યારેક એને જંગલમાં મહાલતો જુઓ, આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ જશે. ચારણક્ધયા, અકૂપાર જેવું સર્જન વગેરે ભેટ આ સિંહે જ આપી છે. આગામી મે મહિનામાં 11 થી 13 તારીખ દરમ્યાન ગુજરાતમાં સત્તાવાર રીતે 10 વર્ષ પછી સિંહ ગણતરી થવા જઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર એશિયાઈ સિંહોની વસ્તીના આંકડા તરફ મંડાયેલી છે. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા સ્વયંસેવકો અને વન કર્મચારીઓ મળીને વનરાજની ગણતરી કરશે. 8મી મે થી 15 મે સુધી સત્તાવાર રીતે ગણતરીના ભાગરૂપે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પર્યટન માટે બંધ રહેશે.

સિંહનું નામ સાંભળતા જ આંખ સમક્ષ રૂઆબદાર રાજા તરવરે અને કાનમાં ગર્જના ગુંજે. વિશ્વભરના જનમાનસ પર આ પ્રભાવક જનાવરની એક અલગ જ છાપ છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર સ્થળે જેનું કુદરતી અસ્તિત્વ હોય એવા દેશનાં જ નહિં પણ આખા એશિયાનાં ગૌરવ સમા એશિયાઈ સિંહો આપણા ગુજરાતમાં ધરાવીએ છીએ. પાંચ વર્ષ પહેલા થયેલી બિનસત્તાવાર ગણતરીમાં 674 જેટલા સિંહો નોંધાયા હતા. હવે આશા રાખીએ કે સિંહોની વસ્તીનો આંકડો નવી સિંહ ગર્જના કરશે.

એક સમયે સમગ્ર એશિયામાં ગર્જના કરતા એશિયાઈ સિંહોની વસતિ ધીરે ધીરે કરતા સમગ્ર વિશ્વમાંથી ખતમ થઇ ગઈ અને છેલ્લે સાસણગીરમાં આંગળીનાં વેઢે ગણી શકાય એટલી જ રહી ગઈ. જે તે સમયે સરકાર અને નવાબનાં સંરક્ષણના પ્રયત્નો અને સિંહ સાથે તાલમેલ મેળવીને જીવતા માલધારીઓનાં કારણે અહીં સિંહની વસતિ ફરી જંગલમાં ગર્જના કરતી થઇ અને છેક પાલિતાણા સુધી તો આ તરફ છેક ઊના સુધી આજે સિંહની ડણક સંભળાય છે. વિશાળ ગિરનાર પહાડને ઘેરીને આવેલું કુદરતનું અદભુત જંગલ સાસણગીર 1412 ચોરસ કિમી વિસ્તારમાં અભ્યારણ્ય તરીકે અને 1153 ચોરસ કિમી રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સંરક્ષિત છે. અહીં આજે 674 કરતાં પણ વધારે સિંહો મુક્તપણે જંગલમાં મહાલતા જોવા મળે છે અને એને કુદરતી વાતાવરણમાં મહાલતા જોવાની તક ક્યારેક ન ચુકી શકાય. વિશ્વભરમાંથી પ્રકૃતિપ્રેમીઓ અહીં વનરાજની એક ઝલક જોવા માટે ઉમટી પડે છે.

ગીરનાં જંગલોમાં ફરવું એટલે કુદરતી સંપદાને નજીકથી નિહાળવી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે સૌપ્રથમ વન વિભાગ દ્વારા સંચાલિત વેબસાઈટ – https://girlion.gujarat.gov.in/ પરથી સફારીનું બુકિંગ થઇ શકે છે. એ કરાવ્યા બાદ સાઈટ પર જ રજીસ્ટર્ડ ડ્રાઈવર્સના નંબર્સ હોય છે જે મેળવીને જંગલનાં સફરે જઈ શકાય. વહેલી સવારે 6-30 વાગ્યે, ત્યાર બાદ નવ વાગે અને ત્યાર બાદ સાંજનાં સમયની સફારીના અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ છે. ખરા અર્થમાં જંગલનો માહોલ માણવો હોય તો સવારની છ વાગ્યાની સફારીમાં મુલાકાત લેવી વધુ યોગ્ય છે. ગીરનાં જંગલમાં પ્રવેશતાં જ વિવિધ પક્ષીઓ એના કલરવથી જ આપણું સ્વાગત કરીને એમની હાજરીનો પરિચય આપશે.

અહીં આવીને આંખો અને કાન ખુલ્લા રાખવા એટલે ક્યાંક ઝાડની ઓથે સાવ ઝાડનાં થડને મળી આવતું ઘુવડ જોવા મળશે તો એવી જ રીતે કુદરતી માહોલમાં પોતાની જાતને ઢાળી દેતું વન દશરથીયું પણ જોવા મળશે. થોડા આગળ વધો કે હિરણની કર્ણપ્રિય ધૂન સંભળાય અને એની આસપાસ વાંદરાઓ કાન સરવા કરીને બેઠા હોય. હરણો એકસાથે ટોળાંમાં ચોતરફ નજર ફેરવીને એકદમ સચેત હોય એવા જોઈ શકાય. અહીં હરણ અને વાંદરાઓ એકમેક સાથે મળીને એકબીજાનું અસ્તિત્વ ન જોખમાય એ રીતે જીવતા હોય છે. હરણાંઓની ઘ્રાણેન્દ્રિય શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે તો વાંદરાંઓની દ્રષ્ટિ ખૂબ જ સચોટ અને તીવ્ર હોય છે અને તેઓ છેક ઝાડની ટોચેથી દૂરથી આવતા ખતરાને પારખી શકે છે.

વાંદરાંઓ જેવા દીપડા કે સિંહને જુએ કે એક અલગ જ પ્રકારના અલાર્મ કોલથી હરણાંઓને ચેતવણી આપે છે અને એ ચેતવણી સૂચક કોલથી હરણાંઓ સાવધ થઇ જાય છે અને બીજા હરણાંઓને પણ આવા જ કોલથી સચેત કરે છે. આ રીતે જ ક્યારેક વાંદરાંઓ જમીન પર બેધ્યાન થઈને ફરતા હોય અને હરણાંઓ સિંહ કે દીપડાને આવતો પારખી લે તો તેઓ પણ ચેતવણી સૂચક કોલ આપીને વાંદરાંઓને સચેત કરે છે અને વાંદરાંઓ સુરક્ષિત સ્થળે જતા રહે છે. કુદરતની રચના કેટલી અદભુત છે કે નાનામાં નાનો જીવ એકબીજાને મદદ કરીને શાંતિપૂર્વક આનંદમય જીવન જીવવાનો પ્રયાસ કરે છે જેમાં પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા સિવાયનો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. જીવનના ખરા પાઠ કુદરત અને વન્યજીવો આ રીતે જ શીખવી જાય છે.

રસ્તામાં સાવ જ સાદું જીવન જીવતા માયાળું લોકોનાં નેસડાં દેખાય, આ એ જ માલધારીઓ છે જેની અમાન્યા સાવજ અને સાવજની અમાન્યા તેઓ જાળવે છે અને એકબીજાનાં સહ-અસ્તિત્વમાં કુદરતી જીવનશૈલીથી જીવન જીવે છે. તેઓની ગાય, ભેંસ કે બકરી જ્યારે સાવજનો શિકાર બને તો તેઓ સાવજને ધુત્કારવાનાં બદલે શાંતિથી એનું ભોજન કરી લેવા દે એટલા દિલેર છે. નેસડાં આસપાસ સિંહ પણ જાણે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતો હોય એમ આરામથી મહાલતો જોવા મળે છે. જરાક આગળ ધપીએ કે આખુંયે જંગલ જેના પર નભે છે એવો વિશાળ કમલેશ્વર ડેમ જોવા મળે. એક સમયે મગરમચ્છનાં અસ્તિત્વ સામે ખતરો હતો પણ વનવિભાગના પ્રયાસથી અહીં ક્રોકોડાઈલ બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને જોતજોતામાં હજારોની સંખ્યામાં મગર થઇ ગયા. આ જ ડેમમાં ઠેરઠેર મગરમચ્છ જોવા મળે છે વળી ક્યારેક અહીં દીપડો કે સિંહ પણ સરળતાથી જોઈ શકાય.

ગીરનો વૈભવ સદીઓ જૂનો છે અને ગુજરાતી લોકસાહિત્યમાં અલગ અલગ લોકબોલી, વિવિધ શૈલીથી કવિઓ- લેખકોની કલમે ખૂબ જ લખાયો છે અને સાવજને આપણી સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ તરીકે સમાવ્યો છે. ક્યાંકને ક્યાંક અહીંનું લોકજીવન અહીંના વન્યજીવો અને વન્યસૃષ્ટિ સાથે જોડાયેલું છે અને એટલે જ એશિયાઈ સિંહો આ વિસ્તારને પોતાનો બનાવીને મોજથી જીવી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ હાવજની ડણકને સાહિત્યમાં ઉતારી છે તો ધ્રુવ ભટ્ટે અહીંનું જંગલ, લોકજીવન અને સંસ્કૃતિને આબેહૂબ રજૂ કરી છે તો વળી કવિ દાદે અહીંના વગડાને સરળ રીતે સમજાવ્યો છે જાણે આપણે ગીરને નિહાળતા હોઈએ. ઝવેરચંદ મેઘાણીની ચારણક્ધયામાં નેસડામાં રહેતી ક્ધયાની બહાદુરી અને સાવજ પ્રત્યેનો એનો અભિગમ દર્શાવ્યો છે તો ધ્રુવ ભટ્ટ સાહેબની અકૂપારમાં એક સરસ મજાનું દૃશ્ય વર્ણવ્યું છે એવું મને આછું પાતળું યાદ છે.

જંગલનાં જનાવરોમાં નાનાં બચ્ચાઓનો ઉછેર કરવો સહુથી ચેલેંજિંગ હોય છે એવું કહો તો ચાલે. જંગલમાં દરેક પ્રજાતિનાં કોઈને કોઈ દુશ્મન હોય છે પણ સિંહના આમ તો કોઈ જ દુશ્મન નથી હોતા એટલે જ એની જ પ્રજાતિથી એને ડર હોય છે. સિંહણને બચ્ચા જન્મે કે સહુથી પહેલો ખતરો નર સિંહથી જ હોય છે જે બીજા સિંહના બચ્ચાનો ખાત્મો બોલાવી દે છે જેથી પોતાનો જ વંશવેલો વિકસે અને પોતાનું વર્ચસ્વ કાયમ રહે, આ સિવાય બચ્ચાઓ દોઢ બે વર્ષના ન થાય ત્યાં સુધી તેઓને શ્રેષ્ઠ શિકારી બનાવવા, શિકાર કરવાથી માંડીને જંગલ પર સંઘર્ષ કરીને વર્ચસ્વ જમાવતા શીખવવું અને છેલ્લે બચ્ચાઓ મોટા થાય એટલે પોતાના વિસ્તારમાંથી કાઢી મૂકવા જેથી કરીને પોતાનો વિસ્તાર જાતે બનાવીને પોતાનું અલાયદું સામ્રાજ્ય બનાવી શકે.

અહીં આવીને સિંહનાં નાનાં બચ્ચાંઓને સિંહણ સાથે વિહરતાં જોવા એટલે જાણે જેકપોટ કહી શકાય. અહીં જ ખૂબસૂરત સિંહણ સાથે નાનકડું બચ્ચું ગમ્મતે ચઢતાં મા સાથે વ્હાલ કરતા કરતા મારા કેમેરામાં ઝડપાઇ ગયું હતું. કુદરત જાણે અજાણે આપણી સમક્ષ તેનો સાક્ષાત્કાર કરતું જ હોય છે, આપણે ભૌતિક આનંદમાં ધ્યાન ન ભટકાવીએ તો. ગીરનો રાજા સઘળી તાકાત ધરાવતો હોવા છતાં સૌમ્ય જ જોવા મળે છે. એની શાલીનતા જ એનો ખરો પરિચય છે. પ્રાણી સામાન્ય રીતે હિંસક વૃત્તિ ધરાવતું હોય છે પણ પ્રાણીઓનાં રાજા સિંહમાં એવું જોવા નથી મળતું અને એટલે જ એ રાજા છે. આ સિંહના શાલીન સ્વભાવને જોઈને એક વસ્તુ દ્રઢપણે સમજાઈ ગઈ, જીવનમાં ગમે તેટલું મેળવી લો પણ સ્વભાવમાં શાલીનતા વિના સઘળું નિરર્થક છે.

આપણ વાંચો : ટ્રાવેલ પ્લસ : ગુજરાતની વિવિધ રામસર સાઈટ પ્રવાસી પંખીઓનું સ્વર્ગ સમાન શિયાળુ નિવાસ સ્થાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button