વિશેષ પ્લસ : વરસાદ એટલે…. પ્રકૃતિમાં વરસાદ, પહાડ, આકાશ, તારા, ફૂલો…

ખુશ્બુ મુલાણી ઠક્કર
વરસાદ આવે એટલે કવિ જગદીપ વિરાણીની આ પંક્તિ યાદ ન આવે એવું બને જ નહીં. જગદીપ વિરાણી એટલે પ્રકૃતિના કવિ. પ્રકૃતિમાં વરસાદ, પહાડ, આકાશ, તારા, ફૂલો. તેઓ એની આજુબાજુ જ કવિતા રચતા હતા. જેમકે…
‘ડુંગર માથે ઝળુંબિયો પેલો મેહુલિયો વણઝારો રે,
ધીરે ધીરે આવ્યો રે આકાશે કામણગારો રે’
વરસાદ કોને ન ગમે?
વરસાદ સાથે આપણી કોઈ ને કોઈ યાદ જોડાયેલી હોય છે. એ પછી ભૂતકાળની હોય કે પછી વર્તમાનની…ઘણા લોકો વરસાદની રાહ જોતા હોય કે વરસાદ આવે તો ક્યાંક ફરવા જઈએ. સ્થાન પણ નક્કી જ હોય છે. માત્ર એક ફોન કોલ અને ગાડી સાથે તૈયાર. કોઈકને વરસાદમાં ભીંજાવા જવું છે તો કોઈકને ચા અને ભજીયા ખાવા જવું છે. કોઈક એક ચોક્કસ વ્યક્તિ સાથે, અથવા તેની યાદો સાથે, કે પોતાની સાથે , કે મિત્રોના ટોળા સાથે. બસ જવું છે. વરસાદમાં ભીંજાવા.
જેમ સિક્કાની બે બાજુ હોય તેમ દરેક પરિસ્થિતિની બે બાજુ હોય. વરસાદની બીજી સાઈડ જોઈએ તો મુંબઈ તરબતોળ, ટ્રાફિક જામ, ટ્રેનો બંધ, સ્કૂલ કોલેજ બંધ, રોગચાળો, કાર પાણીમાં ફસાઈ જાય એવી મુશ્કેલીઓ. મુંબઈ સમાચારે અમુક ગુજરાતી નાટક અને ફિલ્મ જગતના કલાકારો સાથે વાત કરી કે તેમને વરસાદનો અનુભવ કેવો થાય છે. જે પડદા પર ગ્લેમરસ રોલ કરે છે તે એક સામાન્ય વ્યક્તિ જ છે. તેમને પણ આપણી જેમ જ રોજ બરોજની લાઈફમાં જે નાના મોટા પ્રોબ્લેમ્સ આવે છે તે તેમને પણ ફેસ કરવા જ પડે છે. ચાલો જાણીએ તેમના અનુભવો વિશે.
‘મેરી આશીકીની’ વૈશાલી ચાચી, ‘કે કુસુમની’ અરુન્ધતી ચાચી એટલે કે, મનિષા કનોજિયાને વરસાદ ખૂબ જ ગમે છે.
વરસાદ એટલે, ગરમા ગરમ મસાલેદાર ખાવાનું
વરસાદ એટલે, જૂનાં હિન્દી ગીતો
વરસાદ એટલે, ઓવરઓલ બ્રાઇટ લુક
મનિષા વરસાદને વાગોળતા કહે છે કે, મને 2019 પહેલાનો વરસાદ ખૂબ જ ગમે છે કે જયારે કોઈ મેટ્રો માટે ક્ધસ્ટ્રક્શન નહોતું ચાલતું, કે જયારે ઘરમાંથી નીકળતી વખતે વિચારવું નહોતું પડતું કે કેવી રીતે ટ્રાવેલ કરશું. બસ નીકળી પડવાનું વરસાદમાં ભીંજાવા. પહેલો વરસાદ આવે એટલે અમે વરલી સી ફેસ પર છત્રી અને રેઇનકોટ લઈને જતાં પણ છત્રી અને રેઇનકોટ પહેરવાના નહિં. વડા પાંઉ અને ભુટ્ટો ખાતા ખાતા માત્ર વરસાદ માણવાનો.
વરસાદમાં શું ખાવું ગમે તે જણાવતા મનિષા કહે છે કે, મને ખાવાનાનો ખૂબ જ શોખ છે અને સાથે સાથે નવી રેસિપીઝ ઇન્વેન્ટ કરવાનો પણ એટલોજ શોખ છે. મારા વ્યવસાયને કારણે મારે ડાએટ ફોલો કરવું જ પડે છે. તેથી હું ઘરમાં જ કંઈક બનાવું કે જે જન્ક ફૂડનું હેલ્થી વર્ઝન હોય. જેમકે, હું બેક્ડ વડા પાંઉ બનાવું છું. વરસાદમાં જો કાંદા ભજિયા ખાવાનું મન થાય તો, અપ્પે પેનમાં બનાવું કે જેમાં તેલ માત્ર નામનું જ હોય. સૌથી મજાની વાત તો એ છે કે, મનિષાને વરસાદમાં ચા કે કોફી પીવી નથી ગમતી, પરંતુ મસાલા હોટ ચોકલેટ પીવાનું પ્રિફર કરે છે. મનિષા ભાર મુકતા કહે છે કે, જો વરસાદમાં મારા ઘરે કોઈ મિત્ર આવે તો ખાસ તેમને હું આ મસાલા હોટ ચોકલેટ પીવડાવું છું કે જેમાં સ્વીટનર તરીકે હું ‘નોલેનગુર’ એટલે કે ખજૂરનો ગોળ નાખું છું જે હું ખાસ કલકત્તાથી મંગાવું છું અને તેની સાથે કોકો પાવડર, જાયફળ, તજ, લવિંગ, ખમણેલું આદુ વગેરે. વરસાદને કારણે જો શરદી ઉધરસ થયા હશે ને તો મસાલા હોટ ચોકલેટ પીવાથી સારું લાગશે.
વરસાદમાં ક્યાં ફરવા જવું ગમે તે જણાવતા મનિષા કહે છે કે, ‘કામની વ્યસ્તતાને કારણે હું માત્ર વરસાદ માણવા નથી જઈ શકતી. અમારી જે નાટકની ટુર થાય તેમાં જ હું વરસાદને માણી લેતી હતી, પરંતુ આજે જો કોઈ મને પૂછે કે વરસાદ માણવા ક્યાં જવું છે તો મારો જવાબ હશે કે ઘરની બાલ્કનીમાં બેસીને જૂનાં હિન્દી ગીતો સાંભળતા સાંભળતા મારે વરસાદને માણવો છે. હવે એટલી સેફ જગ્યા રહી નથી કે જ્યાં મન મૂકીને વરસાદ એન્જોય કરી શકાય. આટલું અસહ્ય પ્રદૂષણ, ક્ધસ્ટ્રક્શન, ટ્રાફિક એમાં કોણ ઘરમાંથી બહાર નીકળે.
મનિષા તેમની વાત પૂરી કરતા કહે છે કે, વરસાદનું સ્વરૂપ તો ઘણું બદલાઈ ગયું છે, પરંતુ જે એક વસ્તુ નથી બદલાણી તે મારું મોન્સૂન શોપિંગ. મને દર વર્ષે વરસાદમાં કલરફુલ ચપ્પલ અને છત્રી લેવી ખૂબ જ ગમે છે. અને જો મારી હાઉઝ હેલ્પર મને કહે કે મેડમ આ તો બહુ સરસ છે તો હું ઓનલાઇન તેમની માટે મંગાવી તેમને ગિફ્ટ કરું. મારા આખા સ્ટાફ પાસે વરસાદની એક્સેસરીઝમાં લેટેસ્ટ કલેક્શન હોય.
પાર્લા વેસ્ટમાં રહેતા ફ્રીડમ એટ મિડનાઇટમાં ગાંધીનું પાત્ર ભજવનાર ફિલ્મ અને નાટકના કલાકાર ચિરાગ વોરાને વરસાદ ખૂબ જ
ગમે છે.
વરસાદ એટલે, ભીંજાવું
વરસાદ એટલે, માટીની સુગંધ
વરસાદ એટલે, ચા અને ભજિયા
તેઓ જણાવે છે કે, વરસાદમાં ભીંજાવું તો પડે જ. હું મારી વાઈફ અને મારો દીકરો અમે બધા જ વરસાદમાં એક કે બે વખત તો ભીંજાઇ એ જ. અમે પાર્લા રહીએ છીએ એટલે વરસાદમાં ભીંજાતા ભીંજાતા મીઠીબાઇ કોલેજના વડા પાંઉ અને ચા પીવાની મજા જ કૈંક અલગ છે. નિયમિત રીતે મિત્રો સાથે મરિન લાઇન્સની ડ્રાઇવ પર જવું અને ઘરમાં કે બહાર કાંદાના ભજિયા તો
ખાવાના જ.
વરસાદને વાગોળતા ચિરાગ જણાવે છે કે, ‘મારો દીકરો 4 વર્ષનો છે. હું વરસાદમાં મારું બાળપણ પાછું જીવું છું જેમકે, કાગળની હોડી બનાવવી કે વરસાદમાં ભીના થતાં થતાં ગિલ્લી ડંડો કે ફૂટબોલ રમવું કે પછી ભીની માટીમાં માત્ર સળિયા ન ખુંપાવાના હોય. પરંતુ હવેનો વરસાદ જેનું કઈ ઠેકાણું જ નથી હોતું કે આપણે ઘરની બહાર કેટલા સેફ છીએ એટલે અમે ઘરમાં રહીને ઇન્ડોર ગેમ્સનો આનંદ માણીએ છીએ.’
વરસાદ સાથેના બે પ્રસંગો વાગોળતા ચિરાગ જણાવે છે કે, ‘જયારે હું મલાડમાં રહેતો હતો ત્યારે અમારા ઘરની બાજુમાં બેડમિન્ટનનો કોર્ટ હતો. એ કોર્ટમાં પાણી ભરાતું અને અમે બધા એ પાણીમાં રમતા. વધારે પાણી ભરાય તો તેમાં લીલ પણ થઇ જાય. અને તે લીલમાં હું ચત્તોપાટ પડ્યો અને મને ભમ્મર પર વાગ્યું કે જેની નિશાની હજી પણ છે.’
અને બીજો અનુભવ 26 જુલાઈ 2005નો કે એમાં તો એમ જ થઇ ગયું કે અમે ઘરે પહોંચશું કે નહિ. વિસ્તારમાં વાત કરતા ચિરાગ જણાવે છે કે, ‘અમે દેવના દીધેલ નાટક કરવા કલકત્તાથી મુંબઈ આવી રહ્યા હતા. ટ્રેનમાં સમાચાર આવી ગયા હતા કે મુંબઇમાં ખૂબ જ વરસાદ છે અને કલ્યાણમાં તો બ્રિજની ઉપર પાણી આવી ગયા છે. અમારી ટ્રેનને કસારા ઘાટ પર 24 કલાક ઊભી કરવામાં આવી. લો પાવર સપ્લાયના કારણે 3 ટાયર એસીના દરવાજા ખોલવા પડ્યા, મોબાઈલની બેટરી ડાઉન, ફોરચ્યુનેટલી અમારી ટ્રેન પ્લેટફોર્મ પર જ હતી એટલે ખાવાનું અમને મળી રહ્યું. બધાં જ ફોન બંધ થઇ ગયા હતા, માત્ર મારો જ ફોન ચાલુ હતો.
મુંબઈમાં પણ બધાંના ફોન બંધ થઇ ગયા હતા. મેં મારા મિત્રને ફોને કર્યો અને તેણે મારા ઘરે જઈને મારા ફેમિલીને જણાવ્યું કે હું સલામત છું. ત્યાર બાદ એવા સમાચાર આવ્યા કે આ ટ્રેન ભારે વરસાદને કારણે મુંબઈ નહીં જાય, પરંતુ પાછી કલકત્તા જશે. તે પછી ઈગતપુરી સ્ટેશન પર 12 કલાક ટ્રેનમાં કાઢ્યા. ત્યાર બાદ અમારી આખી ટીમ નાસિક ઊતરી ગઈ અને નાસિકથી 5 ટેક્સી કરી અમે વિરાર પહોંચ્યા. વિરારથી અમારા મિત્રના મમ્મીએ બસની વ્યવસ્થા કરી હતી તેમાં બેસી અમે સહુ ઘરે પહોંચ્યા. કલકત્તાથી મુંબઈ આવતા જે 36 કલાક થયા તેના બદલે અમે 80 કલાકે ઘરે પહોંચ્યા.
આવી તો કેટલી સારી નરસી યાદો છે વરસાદની, પરંતુ જયારે પણ વરસાદ આવે ને એટલે એમ થાય કે, ચાલ ફરી ભીંજાઈ જઈએ, ચાલ ફરી શૈશવને માણી લઈએ. ચાલ ફરી જીવી લઈએ તે ક્ષણને…
આપણ વાંચો : વિશેષ : શું છે આ બીજની બેંક?