સુરતની સરકારી શાળાઓની આસપાસ ગેરકાયદે દબાણ દૂર કરવા શિક્ષણ સમિતિએ કોને પત્ર લખ્યો? જાણો વિગત

સુરતઃ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓની આસપાસના ગેરકાયદે દબાણ સતત વધતા જતા શિક્ષણ સમિતિએ શાળાની આસપાસના દબાણ કાયમી ધોરણે દૂર કરવા પાલિકાને પત્ર લખ્યો હતો. શાળાની આસપાસ દબાણના કારણે ગંદકી થતા વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે અને શિક્ષણ પર પણ માઠી અસર પડી રહી છે. શિક્ષણ સમિતિએ સગરામ પુરાની એક શાળા બહારના દબાણ માટે પત્ર લખ્યો છે પરંતુ સગરામપુરામાં જ અન્ય સ્કૂલ બહાર પણ ગેરકાયદે દબાણનો રાફડોછે અને અન્ય કેટલીક શાળા પણ આ રીતે ગેરકાયદે દબાણની ઝપેટમાં છે. તેથી એ સ્કૂલની આસપાસથી કાયમી ધોરણે દબાણ દૂર કરવા માટેની માંગણી થઈ રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સગરામપુરા, કોપચીવાડ, અને સગરામપુરા હાફેસજી સ્ટ્રીટ ખાતે આવેલી પાલિકાની શાળાની આસપાસ ગેરકાયદે દબાણનો ભરડો છે. આ દબાણના કારણે વિદ્યાર્થી-વાલીઓ અને શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે. આ અહેવાલ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ સેન્ટ્રલ ઝોનને એકપત્ર લખ્યોછે. તેમાં જણાવ્યું છે કે, કોપચીવાડ ખાતે આવેલ શાળા ક્રમાંક-25 ની બહાર મેઇન ગેટ આગળ આજુ બાજુના રહીશો દ્વારા ખૂબ જ દબાણ કરવામાં આવ્યું છે. આથી શાળાના વિદ્યાર્થીઓને શાળાએ આવતા-જતા ખુબ જ તકલીફ પડે છે. શાળામાં સાયકલ લઇને આવતા વિદ્યાર્થીઓને સાયકલ મુકવાની તકલીફ પડેછે. તેમજ શાળાના સ્ટાફની ગાડીઓ મુકાતી નથી. આજુબાજુના રહીશો દ્વારા બધી વસ્તુઓ ગાડી લારી વગેરે મુકી દેવામાં આવે છે. શાળાના મેઇન ગેટ આગળ પણ વસ્તુ પડેલી રહેવાથી ગંદકી થાય છે.
પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની આસપાસ જ દબાણની સમસ્યા છે તે દૂર કરવા માટે પત્ર લખવો પડી રહ્યો છે તે ગંભીર બાબત છે. આ પત્ર બાદ પાલિકા કામગીરી કરે છે કે માથા ભારે દબાણ કરનારાઓ સામે ઝુકી જાય છે તે તો સમય જ બતાવશે.