કાઉન્ટડાઉનઃ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે નિર્મલા સીતારમણે કહી આ વાત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે ટૂંક સમયમાં જ ભારત સહિત કેટલાક દેશો સાથે ટ્રેડ ડીલ થવાની શક્યતા હોવાનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે નવમી જુલાઈની ટ્રેડ ડીલની ડેડલાઈનને વધારવાની જરૂર નથી.
આ ડેડલાઈન જે દેશો અમેરિકા સાથે નવી ટ્રેડ ડીલ કરવા ઇચ્છે છે તે દેશો માટે નક્કી કરાઈ હતી. ટ્રમ્પના નિવેદન બાદ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત, અમેરિકા સાથે સમજૂતી-કરાર જરૂર કરશે પણ એના માટે કેટલીક શરતો હશે.
આ પણ વાંચો: India US Trade: ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર 500 અબજ ડોલર સુધી પહોચાડવાનો લક્ષ્યાંક
ટ્રેડ ડીલમાં આવતી તમામ અડચણો દૂર થઈ શકે
નાણા પ્રધાન સીતારમણે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈ સવાલ કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં તેમણે કહ્યું, હા કેમ નહીં? ચોક્કસ ડીલ કરવી જોઈએ. ટ્રમ્પ મુજબ, ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં આવતી તમામ અડચણો દૂર થઈ શકે છે. આઈટી, મેન્યુફેક્ચરિંગ સાથે ઓટોમોબાઈલ સેક્ટર પણ સામેલ થઈ શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડ્રીલને લઈ અત્યાર સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી પરંતુ આ સપ્તાહમાં અપડેટ આવી શકે છે.
અમેરિકા સાથે ટ્રેડ ડીલ જરૂરી છે
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારત માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ ખૂબ જરૂરી છે. આપણે જ્યાં છીએ ત્યાંથી મજબૂત અર્થતંત્રો સાથે સમજૂતી કરીશું તે આપણા માટે સારું રહેશે.