
રાજકોટઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલ રાજ્યના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહ્યા છે, જે અંતર્ગત તેઓ આજે રાજકોટની મુલાકાત લેશે. શહેરના રેસકોર્સ મેદાનમાં તેમની જનસભા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં શહેર-જિલ્લાના કાર્યકરો, નેતાઓ ઉપસ્થિત રહેશે.
શહેરમાં તેમને આવકારવા ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. બહુમાળી ચોક નજીક એક બેનરમાં પીએમ મોદીના ફોટો પર કોઈ અજાણ્યા શખસે શાહી ફેંકી હતી. આ બાબત ધ્યાનમાં આવતાં મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક બેનર દૂર કરી દેવામાં આવ્યું હતું.
આપણ વાંચો: વડોદરામાં જગદીશ પંચાલે કરી બાઈક સવારી, કહ્યું – હું પણ તમારી જેમ એક કાર્યકર્તા હતો અને આજે…
પોલીસે જણાવ્યું હતું હાલમાં તત્કાલ અસરથી આ બોર્ડ જે-તે જવાબદાર વ્યક્તિ દ્વારા હટાવડાવી દેવામાં આવ્યું છે. કોઈ ફરિયાદ મળી નથી. જો આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જગદીશ પંચાલ પ્રમુખ બનતાં જ ભાજપમાં ફરી જૂના જોગીઓ સક્રિય થયા છે. આવતીકાલે તેઓ ખાસ વિમાન મારફતે હિરાસર એરપોર્ટ પહોંચશે, જ્યાંથી ગ્રીનલેન્ડ ચોક સુધી રાજકોટ-મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ કાર-રેલીથી પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ કરશે.
આપણ વાંચો: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ આવતીકાલે રાજકોટમાં: જૂના જોગીઓ પર કેમ રહેશે ખાસ નજર?
આ રેલી ગ્રીનલેન્ડ ચોક પહોંચ્યા બાદ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા 1000 જેટલા બાઈક સાથે પ્રદેશ પ્રમુખને આવકારી તેઓને બાઈક રેલીના આગેવાનીમાં રેસકોર્ષ સુધી લઈ આવશે. જ્યાંથી સીધા સભા સ્થળે પહોંચશે.
પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો યોજાવાની છે ત્યારે રાજકોટ કાર્યકર્તાઓ, નેતાઓનો આંતરિક જૂથવાદ અને આમ આદમી પાર્ટીની દિવસે દિવસે વધતી જતી લોકચાહના એ સૌરાષ્ટ્રમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર છે. આ સ્થિતિમાં પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં કોણ કોણ જૂના જોગીઓ હાજર રહેશે તેના પર પણ નજર રહેશે