
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. 8 મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે.
તારીખ ૯ અને ૧૦ ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ૫(પાંચ) વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.
આપણ વાંચો: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર: ત્રણ દિવસના ટૂંકા સત્રમાં મહત્ત્વના વિધેયકો રજૂ થશે
વધુ વિગતોમાં તેમણે કહ્યું કે, સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરાશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, ૨૦૨૫’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક’, ૨૦૨૫ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.
વિધેયકની વિગતો આપતા પ્રધાને જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો-સુરક્ષાના પગલાંઓ સબંધી કાયદાકીય જોગવાઈઓ કરીને કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલાં લેવા જરૂરી હોઇ વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.
આપણ વાંચો: ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગનો કાચ તૂટીને નીચે પટકાયો, જાનહાનિ નહીં…
વધુમાં, પ્રવક્તા પ્રધાને કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા આ વિધેયક લાવવામાં આવશે.
આ ઉપરાંત ઉદ્યોગોમાં વ્યવસાય પ્રક્રિયાના પુનઃનિર્માણને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર કાનુની નિયમનોને સરળ બનાવવા, ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવા માટે તત્પર છે. જે અંતર્ગત સરકાર સરકાર જીવન અને વ્યવસાયોને સરળ બનાવવા અને કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરશે.
આપણ વાંચો: ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને શિસ્ત જાળવવા અધ્યક્ષની ટકોર…
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યમાં આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરોની પ્રેક્ટિસ-નોંધણીની નિયમનકારી સંસ્થાને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ ફોર આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે.
જેથી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, ૧૯૬૩માં “બોર્ડ” શબ્દને બદલે “કાઉન્સિલ” શબ્દનો ઉપયોગ કરીને યોગ્ય સુધારા લાવવા જરૂરી છે. જેના ભાગરૂપે ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ લાવવામાં આવશે.
તદુપરાંત રાજ્ય સરકારે રાજ્યમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી અને નિયમન માટે ગુજરાત ક્લિનિકલ સ્થાપના (નોંધણી અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ લાગુ કર્યો છે.
રાજ્યભરમાં આ કાયદાનો અસરકારક અમલ થાય તે માટે કાયદા દ્વારા ફરજિયાત નોંધણી માટે ક્લિનિકલ સંસ્થાઓને વધુ વ્યાજબી સમય પૂરો પાડવો જરૂરી માનવામાં આવે છે. જે અંતર્ગત ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે, તેમ પ્રવક્તા પ્રધાને ઉમેર્યું હતું.