તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યક્તિના આવેગમાં પ્રાણાયામ ઉપયોગી થઈ શકે તેમ છે…

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
જેમણે અધ્યાત્મસાધનાનો થોડો ઘણો પણ અભ્યાસ કર્યો છે, તેઓ સમજે છે કે વિચારોથી અળગા પડીને મનસાતીત અવસ્થાનો થોડો ઘણો પણ અનુભવ થવો, તે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસ માટે અને સમગ્ર જીવનનાં રૂપાંતર માટે કેટલી મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ ઘટના છે! પ્રાણાયામના અભ્યાસથી આ મનસાતીત અવસ્થાનો અનુભવ સમુચિત રીતે થઈ શકે તેવો ઘણો સંભવ છે.
કામોપભોગથી માંડીને ગાંજાચરસના સેવન સુધીના બધા પ્રયત્નો માણસો આ અવસ્થામાં પ્રવેશવા માટે જ કરે છે; અલબત્ત, આ ગલત દિશાના પ્રયત્નો છે, જ્યારે પ્રાણાયામ આ દિશાનું સાચું અને સક્ષમ સાધન છે.
(I) કામક્રોધાદિ ષડ્રિપુનાં તોફાનો વ્યક્તિના જીવનને વેરણછેરણ અને દુ:ખદ બનાવી મૂકે છે અને સાધકના આધ્યાત્મિક વિકાસમાં બાધારૂપ બને છે. જો કોઈ ઉપાયે ષડ્રિપુનું જોર ઓછું થાય તો બહુ મહત્ત્વનું કામ થાય. આપણે જોઈએ કે પ્રાણાયામ આ માટે કેટલે અંશે અને કઈ રીતે ઉપયોગી થઈ શકે તેમ છે.
એ એક હકીકત છે કે ષડ્રિપુઓનું બીજ ચિત્તમાં છે, પણ એમના ઉછાળા પ્રાણના પ્રવાહોને આધીન છે. પ્રાણના આધાર વિના તેમની ક્રિયાશીલતા શક્ય નથી. પ્રાણનો સંયમ ષડ્રિપુઓના જોરને નાથી શકે છે. આપણે જોઈ ગયા છીએ કે પ્રાણાયામના અભ્યાસ દ્વારા પ્રાણના પ્રવાહોનું સંયમન શક્ય બને છે, તેથી સ્પષ્ટ જ છે કે ષડ્રિપુઓના ઉછાળાઓને મંદ પાડવામાં પ્રાણાયામનો અભ્યાસ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે.
વ્યક્તિના સાંવેગિક જીવનની કેળવણીમાં પ્રાણાયામ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે તે આપણે આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. એ હકીકત શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે કે શરીરસ્થ અંત:સ્રાવી ગ્રંથિઓના સ્રવ સાથે વ્યક્તિના સાંવેગિક જીવનને સંબંધ છે. આ સ્રાવમાં થતા પરિવર્તનની વ્યક્તિના સાંવેગિક જીવન પર અસર પડે છે. કામ, ક્રોધ, વિષાદ, ઉલ્લાસ, વૈફલ્ય, ઉત્સાહ આદિ સાથે સંત:સ્રાવી ગ્રંથિઓના સ્રાવનો ગાઢ સંબંધ છે.
પ્રાણાયામના અભ્યાસ દ્વારા જ્ઞાનતંત્ર અને તેના દ્વારા અંતસ્રાવી તંત્ર સ્વસ્થ, સમતોલ અને કાર્યક્ષમ બને છે. પરિણામે વ્યક્તિના સ્વસ્થ સાંવેગિક જીવનમાં તેનાથી સહાય મળે છે. પ્રાણાયામ દ્વારા જ્ઞાનતંત્ર અને સંત:સ્રાવીતંત્ર સ્વસ્થ, સમતોલ અને કાર્યક્ષમ બને છે; આ સિદ્ધ થયેલી હકીકત છે.
(I) પ્રાણમય ક્ષેત્રે:
પ્રાણાયામની સૌથી વિશેષ અસર પ્રાણ ઉપર થાય છે, કારણ કે પ્રાણાયામ મુખ્યત: અને પ્રત્યક્ષ રીતે પ્રાણ પર અસર કરે છે. પ્રાણાયામ મુલત: પ્રાણના સંયમનની જ સાધના છે. પ્રાણાયામ દ્વારા પ્રાણમય ક્ષેત્રે ચાર કાર્યો સિદ્ધ થાય છે-
(I)) પ્રાણ-પુષ્ટિ-
પ્રાણ-પુષ્ટિનો અર્થ છે, પ્રાણ બળવાન બને.
(II) પ્રાણ-શુદ્ધિ-
પ્રાણ-શુદ્ધિનો અર્થ છે, પ્રાણ વિશુદ્ધ બને એટલે કે પ્રાણ ભોગાભિમુખ નહિ, પરંતુ યોગાભિમુખ બને; પ્રાણ વાસનાઓની મલિનતાથી મુક્ત બને.
((III)) પ્રાણસંયમ-
પ્રાણ ઉચ્છુંખલ નહિ, પરંતુ સંયમિત હોય અર્થાત્ પ્રાણના પ્રવાહોની ગતિ સુસંવાદી બને.
((IV) પ્રાણ-જાગરણ-
સુષુપ્ત પ્રાણ જાગ્રત બને અને ઊર્ધ્વગામી બને.
પ્રાણમય શરીરમાં ઘટતી આ ચારે ઘટનાઓ આધ્યાત્મિક વિકાસ માટે અને શરીર-મનના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી જ નહિ, પરંતુ અનિવાર્ય છે.
ઉપરોક્ત ચારે હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામનો અભ્યાસ ખૂબ મૂલ્યવાન છે. વસ્તુત: પ્રાણાયામના અભ્યાસનો હેતુ જ આ છે.
આ હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ કઈ રીતે ઉપયોગી બને છે, તે આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં મૂકવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. પ્રાણમય શરીર અને તેની ગતિવિધિ વિશે વૈજ્ઞાનિક ગણાય તેવો ખાસ અભ્યાસ થયો પણ નથી. પરંતુ શાસ્ત્ર અને હજારો વર્ષનો, અસંખ્ય યોગીઓનો અનુભવ સાક્ષી પૂરે છે કે ઉપરોક્ત હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ અજોડ સાધન છે.
(જ) બ્રહ્મચર્ય માટે:
બ્રહ્મચર્યના પાલનથી યોગસાધનામાં ઘણી સહાયતા મળે છે. તે સાથે એ જાણવું આવશ્યક અને રસપ્રદ છે કે યૌગિક ક્રિયાઓના અભ્યાસથી બ્રહ્મચર્યના પાલનમાં સહાય મળે છે.
પ્રાણાયામ, શીર્ષાસન, સર્વાંગાસન, વિપરીતકરણી, વજ્રાસન, ઉડ્ડિયાન, નૌલિ અને અશ્ર્વિનીમુદ્રા બ્રહ્મચર્યપાલનમાં ઉપયોગી થાય તેવી ક્રિયાઓ છે. બીજી અનેક બાબતોની જેમ આ બાબતમાં પણ આ બધી ક્રિયાઓમાં પ્રાણાયામ શિરમોર સાધન છે, એમ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે.
પ્રાણના નિમ્નગામી પ્રવાહો વ્યક્તિને ભોગ તરફ ખેંચી જાય છે, એ જ પ્રાણના પ્રવાહો જ્યારે ઊર્ધ્વગામી બને ત્યારે સાધક ભોગમાંથી છૂટીને યોગ તરફ અગ્રેસર થાય છે. પ્રાણના આ પ્રવાહોને ઉલટાવવા માટે પ્રાણાયામ ચાવીરૂપ સાધના બની શકે તેમ છે.
આ ચાવીનો ઉપયોગ કુશળ અને અનુભવી શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે જ કરવાનો
હોય છે.
(ઇ) શારીરિક ક્ષેત્રે:
I) એક એવી ભ્રામક માન્યતા પ્રવર્તે છે કે પ્રાણાયામ દરમિયાન શરીરને વધુ ઑક્સિજન મળે છે. ભસ્રિકા પ્રાણાયામના પ્રથમ ભાગ સિવાય કોઈ પ્રાણાયામમાં આમ બનતું નથી. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે પ્રાણાયામ દરમિયાન અભ્યાસી સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસ કરતાં પણ ઓછો ઑક્સિજન લે છે, કારણ કે દર મિનિટે સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસના આવર્તનો કરતાં પ્રાણાયામનાં આવર્તનો ઘણાં ઓછાં થાય છે.
પ્રાણાયામ દ્વારા શ્ર્વસનતંત્રને અને સમગ્ર શરીરને જે ફાયદો થાય છે, તે બીજી રીતે થાય છે. પ્રાણાયામ અભ્યાસીના શ્ર્વસનતંત્રને એવી રીતે તૈયાર કરે છે કે પ્રાણાયામના અભ્યાસ કાળ પછી આખા દિવસ દરમિયાન અભ્યાસી સામાન્ય કરતાં વધુ ઑક્સિજન લઈ શકે છે. શ્ર્વસનતંત્રની કાર્યક્ષમતા કાયમી ધોરણે વધી જાય છે. આ બહુ મહત્ત્વપૂર્ણ ઘટના છે.
પ્રાણાયામ દ્વારા શ્ર્વસનતંત્રની આ કેળવણી કેવી રીતે થાય છે?
રેચક અને પૂરક દરમિયાન ફેફસાંને સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસ કરતાં વધુ સારો મસાજ મળે છે, તેથી તેમની કાર્યક્ષમતા વધે છે. વળી શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવનાર ઉદરપટલ અને છાતીનાં સ્નાયુઓ પણ લાંબા અને ઊંડા રેચકપૂરકના અભ્યાસથી વધુ કાર્યક્ષમ બને છે. આમ બનવાથી શ્ર્વસનતંત્રની કાર્યક્ષમતામાં કાયમી ધોરણે વધારો થાય છે.
પ્રાણાયામના અભ્યાસથી અભ્યાસીને ઊંડા શ્ર્વાસોચ્છ્વાસની કાયમી ટેવ પડે છે. આ ટેવ અભ્યાસકાળ સિવાય પણ આખા દિવસ દરમિયાન ચાલુ રહે છે.
ઊંડા પૂરક અને રેચક કુંભકના અભ્યાસથી ફેફસાંમાં રહેલા બંધ વાયુકોશો ખૂલે છે અને એકવાર ખૂલા થયેલા આ વાયુકોશો અભ્યાસના સાતત્યથી કાયમી ધોરણે ખૂલા જ રહે છે. પરિણામે ફેફસાંની વાયુધારણ કરવાની શક્તિ વધે છે.
પ્રાણાયામ દરમિયાન ઊંડા રેચકથી ફેફસાં સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસ કરતાં વધુ ખાલી થાય છે. આમ બનવાથી કાર્બન ડાયોક્સાઈડથી દૂષિત થયેલો વાયુ વધુ પ્રમાણમાં બહાર કાઢી શકાય છે અને ઊંડા પૂરકને પરિણામે વધુ પ્રમાણમાં ઑક્સિજન અંદર લઈ શકાય છે. પ્રાણાયામના અભ્યાસ પછી પણ શ્ર્વસનતંત્રની આ ટેવ ચાલુ રહે છે. આ રીતે પ્રાણાયામ દ્વારા સમગ્ર શરીરતંત્રનું શોધન થાય છે.
(II) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન હૃદયને સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસ કરતાં વધુ સારી રીતે મસાજ મળે છે. પરિણામે હૃદયની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
ભસ્રિકા જેવા પ્રાણાયામના અભ્યાસથી શરીરના છેક દૂર દૂરના કોશો સુધી પર્યાપ્ત પ્રમાણમાં લોહી પહોંચે છે. વળી ધમનીઓ અને રક્તવાહિનીઓને પર્યાપ્ત શોધન, મસાજ અને વ્યાયામ મળી રહેતાં તેમની કાર્યક્ષમતા વધે છે.
(III)) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શ્ર્વાસોચ્છ્વાસની ગતિ મંદ પડે છે, પરંતુ તેથી ઊલટું મગજના રુધિરાભિસરણની ગતિ વધે છે, કારણ કે એમ નોંધાયું છે કે કાર્બન ડાયોક્સાઈડના સંચયથી મગજના રુધિરાભિસરણમાં વધારો થાય છે. આમ થતાં પ્રાણાયામના અભ્યાસથી મગજની અને પરિણામે જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
(IV) શ્ર્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધતાં, તે ત્રણેની અસરથી અંત:સ્રાવીતંત્રની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં પણ અચૂક સુધારો થાય છે.
(V) પ્રાણાયામના અભ્યાસથી હોજરી, આંતરડાં, કાળજું, પેનક્રિયાસ વગેરેને સારો મસાજ મળે છે અને પેટના સ્નાયુઓને વ્યાયામ મળે છે. પરિણામે ઉત્સર્ગતંત્ર અને પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
આમ, પ્રાણાયામના અભ્યાસથી શ્ર્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, જ્ઞાનતંત્ર, અંત:સ્રાવીતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્ગતંત્ર અને કાંઈક અંશે સ્નાયુતંત્રની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં વધુ ઊંડો અને વધુ સ્થાયી સુધારો થાય છે. આનો અર્થ એમ થયો કે પ્રાણાયામના અભ્યાસથી સમગ્ર શરીરના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં અપ્રતિમ સુધારો થાય છે.
સ્વામી કુવલયાનંદજીએ ઉચિત રીતે જ
કહ્યું છે-
No Physical exercise can have even one hundredth of efficacy of Pranayam.
“(શરીર સ્વાસ્થ્યની બાબતમાં પણ) શારીરિક શિક્ષણની કોઈ પણ પદ્ધતિ પ્રાણાયામના સોમા ભાગની પણ ક્ષમતા ધરાવતી નથી.”
આ બધું છતાં આપણે અહીં ફરીથી એ હકીકતનું સ્મરણ કરીએ કે પ્રાણાયામનો ઉદ્દેશ શારીરિક સ્વાસ્થ્ય નહિ, પરંતુ આધ્યાત્મિક વિકાસ છે. શારીરિક સ્વાસ્થ્ય તો પ્રાણાયામના અભ્યાસની આડપેદાશ છે.
- પ્રાણાયામ વિષયક વૈજ્ઞાનિક સંશોધન:
પ્રાણાયામ દ્વારા થતાં આંતરિક ફેરફારોને આધુનિક વૈજ્ઞાનિક સાધનો દ્વારા ચકાસવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. વળી આ વિષય અંગે બહુ વૈજ્ઞાનિક સંશોધન થયું પણ નથી. એટલું જ નહિ, એ પણ સમજી લેવું જોઈએ કે આધ્યાત્મિક ક્ષેત્રની ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક સંશોધનનું કાર્ય ખૂબ જ મર્યાદિત કક્ષાનું જ રહેવાનું. આમ છતાં પ્રાણાયામ વિશે જે કાંઈ વૈજ્ઞાનિક સંશોધન થયું છે, તે અહીં પ્રસ્તુત છે.
(1) રેચક-પૂરકમાં શ્ર્વાસોચ્છ્વાસની ગતિ ધીમી પડે છે અને કુંભકમાં શ્ર્વાસ બંધ રહે છે. પરિણામે દેખીતું જ છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ જમા થવાનું પ્રમાણ વધે છે. હવે એ એક હકીકત છે કે કાર્બન ડાયોક્સાઈડ મગજના રક્તાભિસરણ માટે ઉત્તમ ઉત્તેજક છે. મગજના રક્તાભિસરણમાં સુધારો થવાથી મગજના સ્વસ્થ્યમાં ખૂબ સુધારો થાય છે. શરીરની ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓને નિયંત્રિત કરતાં મગજના કેન્દ્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે.
પરિણામે સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર તેની અનુકૂળ અસર થાય છે. (ક્રમશ:)
આપણ વાંચો : તંદુરસ્તી-મનદુરસ્તી : મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે