સ્વાસ્થ્ય સુધા: શરીરને ઠંડક બક્ષતી વનસ્પતિ ખસ…

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
મોસમમાં બદલાવ થાય તેની અસર આરોગ્ય ઉપર પ્રથમ જોવા મળે છે. બેવડી મોસમનો સમય ચાલી રહ્યો છે. ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદી માહોલ. તેમાં મુંબઈ જેવા શહેરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પરસેવો અતિશય થતો હોય છે. આવા સંજોગોમાં શરીરને સ્વસ્થ રાખવું આવશ્યક બની જાય છે. ભારતની ભૂમિને પાવન ભૂમિ કહેવામાં આવે છે. કેમ કે ભારતની ધરાને કુદરતની ભેટ સ્વરૂપ વિવિધ ફૂલ- ફળ-ફળાદિ, શાકભાજી, મરી-મસાલાની ભેટ મળી છે. તો વિવિધ પ્રકારના ઘાસની ભેટ મળી છે. જેમ કે લીલી ચા, વાળો તથા લૅમનગ્રાસ, જેનો ઉપયોગ ઔષધિ તરીકે આપણે ત્યાં લાંબાગાળાથી મોટા પ્રમાણમાં થતો આવ્યો છે.
આજે આપણે જે વનસ્પતિ વિશે વાત કરીશું તે દેખાવમાં તો સામાન્ય ઘાસ જેવું છે, પરંતુ કુદરતે આ ઘાસને સુગંધની સાથે આરોગ્યવર્ધક ગુણોનો ખજાનો બક્ષ્યો છે. વળી તેના મૂળિયાનો ઉપયોગ આજે બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે. એમ જ કહો ને કે દેશ-વિદેશમાં તેની માગ વધી રહી છે. ખાસ પ્રકારનું ઘાસ જે ‘ખસ-વાળો’ છે. વાનસ્પતિક નામ વેટિવેરિયા જિજનિયોઈડિસ છે. ભારતનાં વિવિધ રાજ્યોની વિવિધ બોલીમાં તેને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. હિન્દીમાં ખસ કે ખસખસ, ગુજરાતીમાં ખસ કે વાળો, અંગ્રેજીમાં વેટિવર ગ્રાસ, ક્ધનડમાં મુડિવાલ, તમિળમાં ઉશીરમ બંગાળમાં વેણર મૂલ તરીકે ઓળખાય છે.
આયુર્વેદની વિવિધ સંહિતામાં ખસનો ઉલ્લેખ જોવા મળે છે. સમજી લો કે ‘ખસ ઘાસ’નો ઉપયોગ 3000 વર્ષથી થતો આવે છે. જેમ કે ચરક સંહિતામાં ખસ ઘાસ માટે કહેવામાં આવ્યું છે કે ‘શીતલ: સ્થિરગન્ધશ્ર્ચ રસાયન: શ્ર્લેશ્મપિત્તનુત્ :’ તેનો અર્થ જોઈએ કફ-પિત્તને શાંત કરી, શરીરને ઠંડક બક્ષનાર, નવજીવનને સ્થિર કરી સુંગંધિત બનાવનાર વનસ્પતિ એટલે જ ખસ.
સુશ્રુત સંહિતામાં ‘ઉશીરં દાહનાશનં તૃષ્ણાશમનં પરમ્’ એટલે કે ‘છાતીમાં થતી બળતરાને ઝડપથી બંધ કરી તરસને તૃપ્ત કરે છે.’ ભારતની સાથે યુરોપ, ઓસ્ટ્રેલિયા તથા ટર્કીમાં ખસની ખેતી થાય છે. ખસ ઘાસનો ઉપયોગ ચટાઈ, પડદાં, ખસની ટટ્ટી બનાવવામાં થાય છે. જે ગરમીમાં પ્રાકૃતિક ઠંડક પ્રદાન કરે છે. ખસનો ઉપયોગ તેલ, અત્તર તથા સૌંદર્ય-પ્રસાધનની વિવિધ બનાવટોમાં કરવામાં આવે છે. પર્યાવરણ માટે તે અત્યંત ઉપયોગી છે. માટીની ગુણવત્તા સુધારવાની સાથે પાણીને શુદ્ધ કરે છે. કુદરતી ધોવાણથી જમીનને રક્ષણ પૂરું પાડે છે.
ભારતમાં મુખ્યરૂપે દક્ષિણ ભારત, રાજસ્થાન, બંગાળ, છોટા નાગપુરમાં ઊગે છે.
ખસમાં અનેક પોષક તત્ત્વો સમાયેલાં છે. જેમ કે કૅલ્શ્યિમ, આયર્ન, મેંગેનિઝ, વિટામિન્સ, ટેરપેનોઈડસ્, ફ્લેવોનોઈડસ્ તથા ફેનોલિક એસિડ વગેરે ગણાવી
શકાય છે.
ખસ ઘાસનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જાણી લઈએ. બાહ્ય ઉપયોગ કરવા માટે ખસના મૂળનો પાઉડર 1-2 ચમચી જેટલો કરવો. ખસના તેલનો ઉપયોગ 2થી 5 ટીપાં જેટલો કરી શકાય. આંતરિક ઉપયોગ એટલે કે તેનો આહારમાં ઉપયોગ કરવો હોય તો ખસનું શરબત દિવસ-રાત્રિના ગમે ત્યારે પાણીમાં કે દૂધમાં પી શકાય છે. ખસના ઘાસને યોગ્ય રીતે સાફ કરીને એક સ્વચ્છ કપડાંમાં કે રૂમાલમાં બાંધીને માટલામાં રાખવાથી સુગંધિત પાણી પીવા મળશે. આ પાણી સુંગધિત હોવાની સાથે ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે મોસમમાં થતાં બદલાવથી શરીરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
ખસનું શરબત
સામગ્રી : ખસના મૂળ 70-80 ગ્રામ, 1 કિલો ખાંડ, 500 ગ્રામ પાણી, ખાવાના ઉપયોગમાં લઈ શકાય તેવા 2 ટીપાં લીલા રંગના.
બનાવવાની રીત : સૌ પ્રથમ 100 ગ્રામ ખસના મૂળને વહેતાં પાણીમાં સાફ કરી લેવાં. ત્યારબાદ તેને નાના કાપી લેવાં. હવે એક મોટા તપેલામાં ઘાસને 6-7 કલાક માટે પલાળી દેવાં. ત્યારબાદ પાણીને ગાળી લેવું. તેમાં ખાંડ ભેળવીને ગેસ ઉપર ગરમ કરવાં મૂકવું. ખાંડ ઓગળે ત્યારબાદ એક અડધા તારની ચાસણી બનાવી લેવી. થોડું ઠંડુ થાય ત્યારબાદ 2 -3 ટીપાં લીલા રંગના ભેળવવા. ખસનું સિરપ પીવા માટે તૈયાર છે. એક ગ્લાસમાં 3 ચમચી ખસનું સિરપ લેવું. તેમાં પાણી ઉમેરી 2 બરફના ટુકડા ગોઠવવા. સ્વાદિષ્ટ શરબત બદલાતા મોસમમાં આપનો મૂડ સુધારી દેશે.
ખસના સ્વાસ્થ્યવર્ધક લાભ મનને તણાવ મુક્ત કરે છે
આજના આધુનિક તથા સ્પર્ધાત્મક યુગમાં પ્રત્યેક વ્યક્તિ નાના-મોટા તણાવમાં રહેતી જોવા મળે છે. મનને શાંત બનાવવા માટે વાળો કે ખસનો ઉપયોગ કરવા જેવો છે. પાણીમાં રાખીને પીવાથી તન-મન ઠંડક અનુભવે છે. ખસમાંથી તેલ બનાવ્યા બાદ તેનો ઉપયોગ શરીર તથા વાળમાં કરવાથી મન શાંત બને છે. જેને કારણે વ્યક્તિ તણાવ મુક્ત બને છે. ખસમાં એથોનોલિક નામક ખાસ રસાયણ છૂટે છે. જે વ્યક્તિને શાંત મનથી કામ કરવા પ્રેરે છે.
ઊલટી-ઉબકામાં અસરકારક
મોસમના બદલાવની અસર પાચનક્રિયા ઉપર સૌ પ્રથમ થતી જોવા મળે છે. વરસાદી માહોલમાં તળેલું -તીખું
ખાવાની ઈચ્છા વધી જતી હોય છે. તો ક્યારેક બહારની ચટાકેદાર વાનગીમાં વપરાયેલી વસ્તુ વાસી હોવાને કારણે ઊલટી-ઊબકાની સમસ્યા ઊભી થતી હોય છે. આવા સંજોગોમાં ખસનું શરબત પીવાથી પાચનક્રિયા શાંત બને છે. ઊલટી ઊબકાથી રાહત મેળવી શકાય છે.
ત્વચા માટે ઉપયોગી
ખસના મૂળિયામાં ખાસ પ્રકારના
ગુણો સમાયેલાં છે. જે વાત પિત્તને દૂર કરવામાં મદદ કરે છે. ખસનું તેલ
ત્વચા ઉપર લગાવવાથી ત્વચા નીખરે છે. ત્વચા ઉપર ઘાવ હોય, ખંજવાળ આવ્યા કરતી હોય કે સોજા આવ્યા હોય
તેવા સંજોગોમાં તેલનો ઉપયોગ અકસીર ગણાય છે.
લોહીમાં શર્કરાની માત્રા નિયંત્રણમાં રાખે છે
ખસ માટે એવું સાંભળવા મળ્યું છે કે ખસનો પાઉડર નિયમિત 1 ચમચી
લેવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ મળે છે. કેમ કે ખસના પાઉડરમાં ઍન્ટિ-ડાયાબિટીક ગુણો સમાયેલાં છે. શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા વધારવામાં મદદ કરે છે. પાચનક્રિયા સુધરે છે. શરીરમાં વાયુ બનતાં રોકે છે.
તાવને ઘટાડવામાં મદદરૂપ
વારંવાર તાવ આવતો હોય કે તાવ આવ્યો હોય ત્યારે ખસનો કવાથ કે કાઢો બનાવીને પીવાથી તાવ કે જવર ઊતરવા લાગે છે. ખસના મૂળ શરીરનું તાપમાન સામાન્ય કરવામાં મદદ કરે છે.
આપણ વાંચો : સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…