તરોતાઝા

ભાવ ચંચળતાના ભયને ઓળખો…

ગૌરવ મશરૂવાળા

‘બજાર આવતા મહિને વધશે કે ઘટશે એવું હું ક્યારેય કોઈને પૂછતો નથી. મને ખબર છે કે એનો જવાબ મને કોઈ આપી શકે એમ નથી.’ – સર જોન ટેમ્પલ્ટન

ધારો કે એક રોકાણ સલાહકારે બે કંપનીના શૅરની ભલામણ કરી છે. સ્ક્રિપ ‘એ’ અને સ્ક્રિપ ‘બી’. સ્ક્રિપ ‘એ’નો ભાવ ગત પાંચ વર્ષમાં 100થી વધીને 225 રૂપિયા થઈ ગયો છે અને ‘બી’નો ભાવ 100થી વધીને 250 થયો છે. બન્ને કંપનીઓ સમાન ક્ષેત્રની છે અને મજબૂત છે. આ માહિતીના આધારે તમે કઈ સ્ક્રિપમાં રોકાણ કરવાનું પસંદ કરશો?

તમારો જવાબ હશે સ્ક્રિપ ‘બી’…પણ થોભો. 100 રૂપિયા બાદની બન્ને કંપનીઓના શૅરના ભાવની હિલચાલ પર એક નજર નાખીએ. સ્ક્રિપ ‘એ’નો ભાવ 100 પછી 150, 175, 225, 235, 240 અને 225 થયો છે. સ્ક્રિપ ‘બી’નો ભાવ 100 પછી 175, 150, 215, 205, 285 અને 250 એ પ્રમાણે વધ્યો-ઘટ્યો છે.

ઉપરોક્ત આંકડાઓ પરથી જોઈ શકાય છે કે ‘બી’ લિમિટેડનો શૅર વધારે ચંચળ છે. આંકડાકીય દૃષ્ટિએ ચંચળતાનું માપ સ્ટાન્ડર્ડ ડેવિયેશન દ્વારા કાઢવામાં આવે છે. કોઈ પણ રોકાણમાં રહેલું જોખમ સ્ટાન્ડર્ડ ડેવિયેશનથી મપાય છે. ચંચળતા વધારે હોય તો જોખમ પણ વધારે હોય છે.

રોકાણકાર તરીકે આપણી નજર મોટાભાગે વળતર પર જ હોય છે. આપણને એ સારી પેઠે ખબર છે કે જોખમ અને વળતર એક જ સિક્કાની બે બાજુઓ છે. આમ છતાં, આપણું અર્ધજાગૃત મન જોખમ તરફ આંખ આડા કાન કરે છે.

‘વધુ જોખમ, વધુ વળતર’ વિશે આપણે અનેક વાર સાંભળ્યું છે. હવે આ બે વાક્યનો વિચાર કરો:

1) વધારે જોખમ, વધારે વળતર,
2) વધારે વળતર, વધારે જોખમ…

આમાંથી કયું વાક્ય વધુ યોગ્ય છે? લોકો આ સવાલના જવાબમાં પહેલું વાક્ય બરોબર હોવાનું કહી દેતા હોય છે, પણ થોડો વધુ વિચાર કરવાથી બીજું વિધાન વધુ યોગ્ય દેખાવા લાગે છે. અર્ધજાગૃત મનમાંથી જવાબ મેળવવા માટે વધારે વિચાર કરવો પડે છે.

મારાં લેકચર્સ દરમિયાન હું ઘણી વાર શ્રોતાઓને પૂછું છું, ‘તમારામાંથી કેટલા લોકો ઘણું બધું જોખમ લઈ શકે છે?’ સવાલ પૂછાયા બાદ મોટી સંખ્યામાં હાથ ઊંચા થાય છે. પછી હું કહેતો હોઉં છું, ‘જેમને નાણાં ગુમાવવામાં વાંધો નથી એવા લોકો હાથ નીચા કરી દે.’

હવે જેમના હાથ ઊંચા છે એ કહેતા હોય છે, ‘અમે જોખમ લઈ શકીએ છીએ, પણ પૈસા ગુમાવવાનું અમને ગમે નહીં.’ એ વખતે આ હાથ ઊંચા રાખનારાઓને મારે પૂછવું પડે છે કે, ‘જો તમે જોખમ લેવા તૈયાર છો, પણ નાણાં ગુમાવવાનું તમને ગમતું નથી, તો પછી તમારી જોખમની વ્યાખ્યા શું છે? ’

આ વાત પરથી કહી શકાય કે કોઈ પણ વ્યક્તિને જોખમની સામે વાંધો હોતો નથી, પણ ખરેખર થતા નુકસાનથી અણગમો હોય છે. નફો કરવાથી મળતો આનંદ નાણાં ગુમાવવાથી થતા દુ:ખ કરતાં ઓછો હોય છે.

સ્ટાન્ડર્ડ ડેવિયેશનની ગણતરી કરવાથી તમામ જોખમો મપાઈ જાય છે. ભાવમાં વિવિધ પરિબળોને લીધે ઉતાર-ચડાવ આવતા હોય છે. આ પરિબળો કોઈ પણ સંસ્થાની આંતરિક કે બાહ્ય ઘટનાઓ હોઈ શકે છે. ભાવચંચળતા જેટલી વધારે હોય તેટલું નાણાં ગુમાવવાનું જોખમ પણ વધારે હોય છે. સટ્ટાખોરોને ભાવચંચળતા ગમતી હોય છે, જ્યારે ખરા અર્થમાં રોકાણકાર હોય તેમને સ્થિરતા પસંદ હોય છે. વાસ્તવમાં એવું જોવામાં આવ્યું છે કે રોકાણકાર લાંબા સમય સુધી રોકાણ રાખી મૂકે તો તેને ભાવચંચળતાની અસર ઓછી થાય છે. શિસ્તબદ્ધ રોકાણકારોને સમય જતાં વધારે લાભ થતો હોય છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) મારફતે રોકાણ કરતા લોકોને લાભ થાય છે, કારણકે એ લાંબા ગાળા સુધી અને નિયમિતપણે રોકાણ કરીને ભાવચંચળતાનો લાભ ઉઠાવી શકે છે.

આપણ વાંચો:  ફોકસ : ગરમી હાય તોબા! આંખો પર હિટ વેવની અસર વિશે જાણો

હવેથી રોકાણ કરતી વખતે ફક્ત વળતરનો જ વિચાર કરતા નહીં. વળતર અને જોખમ એ બન્નેને ધ્યાનમાં લીધા બાદ જ આગળ વધવું. શૅર હોય, સોનું હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ હોય, રોકાણના સંબંધિત સાધનમાં ભૂતકાળમાં કેટલું વળતર મળ્યું એટલી વિગત જોવાને બદલે તેની ભાવની હિલચાલ પર પણ નજર નાખવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button