તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા : રામબુતાન એક એવું ફળ જે અનેક બીમારીમાં કારગર

શ્રીલેખા યાજ્ઞિક

ભારતમાં એવાં અનેક ફળો છે જેને વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. કેમ કે આ ફળ બજારમાં સરળતાથી મળવા મુશ્કેલ છે. મોસમી ફળોમાં તેની ગણના થાય છે. આજે આપણે જે ફળ વિશે વાત કરવાના છીએ તેનું નામ છે રામબુતાન'. આ ફળના માવામાં અનેક આરોગ્યવર્ધક ગુણો સમાયેલાં છે. ફળની વિશિષ્ટતા એટલે ખાસ વરસાદી મોસમમાં બજારમાં દેખાય છે. વળી સામાન્ય ફળની તુલનામાં આવા ક્યારેક જોવા મળતાં ફળમાં અનેક સ્વાસ્થ્ય સબંધિત ગુણો સમાયેલાં છે. તેથી જ આવા ફળનો ઉપયોગ ઔષધી બનાવવામાં મોટે ભાગે થતો હોય છે. રામબુતાન..... મલય શબ્દરમ્બૂટ’થી આવ્યો છે. જેનો અર્થ થાય છે વાળ'. કારણકે ફળની બહારની સંરચના વાળ જેવી છે. વાળવાળા ફળ તરીકે ઓળખ ધરાવે છે. તેથી તેનું આ નામ પાડવામાં આવ્યુંરામબુતાન’.

રામબુતાનના વૃક્ષ ઉપર ફૂલ આવવાથી ફળ બનવાની ક્રિયામાં ઓછામાં ઓછો ત્રણ માસનો સમય લાગે છે. ફળ દ્રાક્ષની જેમ ગુચ્છામાં ઊગે છે. તોડ્યા બાદ તેને ઝડપથી ખાઈ લેવાં આવશ્યક છે. કેમ કે લાંબા સમય સુધી રાખવાથી ફળનો રસ સૂકાઈ જાય છે. રામબુતાન ફળ માટે એવું કહેવાય છે કે તેની છાલમાં ફેલોનિક નામક કમ્પાઉન્ડ સમાયેલું છે. જે હાડકાંના સ્વાસ્થ્ય માટે લાભકારક ગણાય છે. હાડકાંને મજબૂતાઈ આપવાની સાથે તેનું ઘનત્વ વધારવામાં મદદ કરે છે. તેથી જ આહાર તજજ્ઞો આવા વિશિષ્ટ ફળ ખાવાની સલાહ આપે છે. રામબુતાન ફળનું વૈજ્ઞાનિક નામ નેફેલિયમ લૈપેસિયમ છે દક્ષિણ-પૂર્વ એશિયાનું ફળ ગણાય છે. સૈપિન્ડાસી પરિવારનું સદસ્ય ગણાતું આવ્યું છે. જેમાં લીચી તથા લોગન જેવા ફળનો સમાવેશ કરવામાં આવે છે. આ ફળને મલેશિયા, થાઈલૅન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સ તથા ઈન્ડોનેશિયામાં સૌથી વધુ ઉગાવવામાં આવે છે. રામબુતાન એક આગવી ઓળખ ધરાવતું ફળ ગણાય છે. કેમ કે આ ફળનો માવો મીઠો તથા રસદાર હોય છે. તેથી જ આ ફળનો ઉપયોગ નાના-મોટા પ્રત્યેક વ્યક્તિ કરે છે. ઉપરથી દેખાવમાં અત્યંત વાળવાળું હોવા છતાં અંદરથી રસદાર-સ્વાદિષ્ટ ફળમાં ગણના થાય છે.

ભારતમાં રામબુતાનની વિવિધ જાતો ઉગાવવામાં આવેલી છે. જેના સ્વાદ-રૂપ તથા રંગમાં વિવિધતા જોવા મળે છે. રામબુતાનની લોકપ્રિય જાતીમાં રોગંડોર, ઓલૌર તથા કર્ણાટકનો સમાવેશ થાય છે. ભારતનાં દક્ષિણી રાજ્યોમાં તેનો પાક વધુ થતો જોવા મળે છે. દેખાવમાં ફળ ગુલાબી, લાલ, પીળું, નારંગી, ચમકદાર લાલ તથા ઘેરા મન રંગનું હોય છે. રામબુટાન, રામબુતાન, રામબાઉટન કે રામબુસ્તાન જેવાં વિવિધ નામોથી લોકો ઓળખે છે. ભારતના અન્ય ભાગમાં તેની ખેતી ઓછી જોવા મળે છે.

ભારતની વિવિધ ભાષામાં તેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે જેમ કે અંગ્રેજીમાં રામબુતાન, હિન્દીમાં રામબુટન, યા પુલાસન, ક્નનડમાં હુજરાના, તમિળમાં રામબુસ્તાન.

રામબુતાન ફળના આરોગ્યવર્ધક ગુણ

અનેક વિટામિનથી ભૂરપૂર : રામબુતાનમાં અનેક વિટામિન સમાયેલાં છે જેમ કે વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, આયર્નની સાથે ખનીજની માત્રા સમાયેલી છે. આમ એક નાના અમથાં ફળમાં શરીરને આવશ્યક પોષક ગુણો મળી રહે છે.

ઍન્ટિ-ઍજિંગ માટે ઍન્ટિ-ઓક્સિડન્ટ: રામબુતાનમાં વિટામિન સીની સાથે કૈરોટીનૉઈડ તથા ફેનોલિક જેવા ઍન્ટિ-ઓક્સિડન્ટ હોય છે. ઍન્ટિ-ઓક્સિડન્ટ શરીરને મુક્ત કણોથી થતી હાનિથી બચાવવામાં મદદ કરે છે. વળી જૂની બીમારીના ખતરાથી બચાવવામાં મદદ કરે છે. વધતી વયને ધીમી કરવામાં મદદ કરે છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી : રામબુતાન ફળમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જેને કારણે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. હૃદયરોગનો ખતરો ઘટાડવામાં મદદ કરી શકે છે. વળી તેમાં સમાયેલું ઍન્ટિ-ઓક્સિડન્ટ ઓક્સિડેટિવ સ્ટે્રસ તથા સોજો ઘટાડવામાં મદદ કરીને હૃદયની તંદુરસ્તી સુધારવામાં મદદ કરી શકે છે.

શરીરને તાજગી બક્ષે છે : રામબુતાન ફળ નાનું હોવા છતાં તેમાં પાણીની માત્રા અધિક છે જેને કારણે તેનું સેવન કરવાથી શરીર તાજગી અનુભવે છે. શરીરમાં પાણીની યોગ્ય માત્રા જળવાઈ રહે તે આવશ્યક છે. જે રામબુતાન ફળના સેવનથી મેળવી શકાય છે.

હાડકાંની મજબૂતાઈ માટે ગુણકારી : રામબુતાનમાં કૅલ્શ્યિમ તથા ફોસ્ફરસ જેવાં મિનરલ્સ સમાયેલાં છે. જે હાંડકાંને મજબૂત બનાવવામાં ઉપયોગી ગણાય છે. વળી તેનું સેવન કરવાથી ઑસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાથી બચાવેે છે.
રામબુતાન ફળની છાલ કાઢીને તેનું સેવન કરવામાં આવે છે. અંદરનો સફેદ માવો રસદાર હોવાની સાથે સ્વાદસભર છે. રામબુતાનનો અન્ય રીતે ઉપયોગ કરવો હોય તો સલાડ, મિલ્કશૅક, જામ, સ્મૂધી કે તેની મીઠાઈ બનાવીને ખાઈ શકાય છે.

ત્વચાને ચમકદાર બનાવવામાં ગુણકારી : ત્વચાને ચમકદાર બનાવવામાં રામબુતાન ફળનો ઉપયોગ ગુણકારી ગણાય છે. તેનો આહારમાં સમાવેશ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક ફાયદા મેળવી શકાય છે. ત્વચા ચમકદાર બનવાની સાથે વાળને મજબૂતાઈ બક્ષવાનું કામ કરે છે. ખરતાં વાળને અટકાવવામાં ગુણકારી ગણાય છે.

પાચનતંત્રને સુધારવામાં ગુણકારી : આપણે ત્યાં કહેવત છે કે જેનું પેટ ખરાબ તેને સો બીમારી. રામબુતાનમાં ફાઈબરની માત્રા અધિક હોય છે. જે કબજિયાતની તકલીફથી બચાવ કરે છે. ફાઈબરયુક્ત આહાર લેતી વ્યક્તિને ક્યારેય પાચનતંત્રની તકલીફની સમસ્યા સતાવતી નથી. ફાઈબર નિયમિત મળ ત્યાગમાં મદદ કરવાની સાથે માઈક્રોબાયોનને સમર્થન કરવામાં મદદ કરે છે. જે સમગ્ર પાચન-સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

રામબુતાન-સ્ટ્રોબેરી શૅક

10 નંગ રામબુતાન, 4 નંગ સ્ટ્રોબેરી, 1 ચમચી ફુદીનાના પાન, 2 નંગ ખજૂર, 500 ગ્રામ દૂધ, 2 મોટી ચમચી મિલ્કમૅડ, સ્વાદાનુસાર દળેલી ખાંડ. સજાવટ માટે રામબુતાન તથા સ્ટ્રોબેરીના ટુકડાં. 10-12 નંગ બરફના ટુકડાં.

બનાવવાની રીત : સૌ પ્રથમ રામબુતાનને સારી રીતે સાફ કરી લેવા. તેને છોલીને ઠળીયા કાઢી લેવાં. હવે એક મિક્સર જારમાં રામબુતાનનો માવો, 4 નંગ સ્ટ્રોબેરી, ફુદીનાના પાન, 2 નંગ ખજૂર ભેળવીને વાટી લેવું. ત્યારબાદ તેમાં દૂધ, મિલ્કમૅડ તથા આવશ્યક્તા મુજબ ખાંડ ભેળવીને એકરસ કરી લેવું. ગ્લાસમાં બરફના ટુકડાં ગોઠવીને સ્વાદિષ્ટ રામબુતાન-સ્ટ્રોબેરી મિલ્કશૅક કાઢી લેવો. રામબુતાન તથા સ્ટ્રોબેરીના ટુકડાંથી સજાવીને તેનો આનંદ માણવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button