તંદુરસ્તી-મનદુરસ્તી : મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે

-ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- એમ પ્રાણાયામના ત્રણ પ્રકારો છે.”
(5) પ્રાણાયામના પ્રકારો મૂકવાની એક સર્વગ્રાહી પદ્ધતિ પણ છે:
1-5 : અનુલોમવિલોમ પ્રાણાયામના પાંચ પ્રકારો
6-9 : ભસ્રિકા પ્રાણાયામના ચાર પ્રકારો
10 : સૂર્યભેદન
11 : ચંદ્રભેદન
12 : દીર્ઘ પ્રાણાયામ
13 : સરલ ઉજ્જાયી
14-17 : ઉજ્જાયીના ચાર પ્રકારો
18 : શીતલી
19 : સીત્કારી
20 : પ્લાવિની
21 : મૂર્છા
22 : ભ્રામરી
23 : ક્રિયાકુંડલિની પ્રાણાયામ
24 : સગર્ભ પ્રાણાયામ
25 : સપ્રણવ સગાયત્રી પ્રાણાયામ
26 : ત્રિબંધ પ્રાણાયામ
27 : શીતલી, ગાયત્રી, પ્રણવ સહિત ત્રિબંધ પ્રાણાયામ
28 : મહત્ પ્રાણાયામ
29 : હસ્તિમર્દન પ્રાણાયામ
30 : સિંહમર્દન પ્રાણાયામ
નોંધ :- આ ઉપરાંત પ્રાણાયામના અન્ય પ્રકારો પણ છે.
રામાનંદ (થોરિયાળી)ના પ્રાણાયામ
આયંગરના પ્રાણાયામ
ઘરોટેજીએ સંપાદિત સંસ્કૃતપુસ્તકના પ્રાણાયામ
ગીતાનંદના પ્રાણાયામ
- પ્રાણાયામનું પ્રદાન:
(અ) આધ્યાત્મિક ક્ષેત્રે:
પ્રાણાયામ મૂલત: અધ્યાત્મવિદ્યા છે, તેથી તેનું પ્રધાન પ્રદાન આધ્યાત્મિક ક્ષેત્રે જ હોય, તે સ્વાભાવિક છે.
હઠયોગની સૌથી પ્રધાન ઘટના કુંડલિની શક્તિ જાગરણ છે. હઠયોગમાં યૌગિક ક્રિયાઓનો અભ્યાસ કુંડલિનીના જાગરણને કેન્દ્રમાં અને દૃષ્ટિ સમક્ષ રાખીને કરવામાં આવે છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તે જ રીતે એમ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ યૌગિક ક્રિયા પ્રાણાયામ છે. કુંડલિની જાગરણ સુષુમ્ણા માર્ગે થતું પ્રાણોત્થાન છે. પ્રાણના પ્રવાહોનું સંયમન પ્રાણાયામથી થાય છે. એ જ અભ્યાસમાં આગળ વધતાં પ્રાણોત્થાનની ઘટના ઘટે છે.
કુંડલિની જાગરણ આખરે સમાધિમાં પરિણમે છે. આ ઘટનાથી સાધકના સમગ્ર જીવનનું રૂપાંતર સિદ્ધ થાય છે. આ દૃષ્ટિથી જોતાં પ્રાણાયામનું આધ્યાત્મિક મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે.
શરીર અને મનથી પરની ચેતનામાં જેનો કોઈ વાર પણ પ્રવેશ થયો નથી, જેને ધ્યાનાવસ્થાની આછી-પાતળી ઝલક પણ મળી નથી તેને માટે આધ્યાત્મિક ક્ષેત્રની હકીકતો સમજવાનું અને અધ્યાત્મની મહત્તા સમજવાનું કાર્ય ઘણું દુષ્કર છે. એટલું જ નહિ પણ જ્યાં સુધી એકાદ વાર પણ મનસાતીત ક્ષેત્રમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી સાધક સાધનાના પથ પર દૃઢતાપૂર્વક પગ મૂકી શકતો નથી, પરંતુ સમસ્યા એ છે કે આ પ્રથમ પ્રવેશ થાય કેવી રીતે? અધ્યાત્મજગતનું દ્વાર ખૂલે કેવી રીતે? ધ્યાનની અવસ્થામાં પ્રવેશનું કાર્ય પ્રાણાયામ સારી રીતે કરી શકે તેમ છે. લાંબા સમય સુધી, યોગ્ય પદ્ધતિથી, મનોયોગપૂર્વક અને ઉચિત આહારવિહાર સાથે પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે તો સાધકને મનસાતીત ક્ષેત્રની કાંઈક ઝલક અવશ્ય જોવા મળે છે.
આ પ્રથમ પ્રવેશથી જ પ્રાણાયામનું કાર્ય પૂરું થતું નથી. ધારણ-ધ્યાન સાથે પ્રાણાયામનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તો સાધકની અધ્યાત્મયાત્રા વધુ સુકર બને છે.
યોગવિદ્યા પ્રમાણે ધારણા, ધ્યાન અને સમાધિના અભ્યાસ માટે સાધકનું નાડીશોધન થયું હોય તે આવશ્યક છે. નાડીશોધનનું મહત્ત્વ જણાવતાં હઠપ્રદીપિકાકાર કહે છે-
मलाकुलासु नाडीसु मारुतो नैव मध्यग: |
कथं स्यादुन्मनीभाव: कार्यसिद्घि कथं भवेत् ॥
“જ્યાં સુધી નાડીઓ મળથી વ્યાપ્ત થયેલી હોય ત્યાં સુધી પ્રાણ મધ્યનાડી (સુષુમ્ણા)માં પ્રવેશતો જ નથી, તો પછી ઉન્મનિભાવ કેવી રીતે થાય? અને કાર્યસિદ્ધિ કેવી રીતે થાય?”
નાડીશોધન વિના સાધકનો સાધનપથ પ્રશસ્ત થતો નથી, એટલું જ નહિ પણ નાડીશોધન વિના જ જો સાધક અધ્યાત્મની છલાંગ લેવાનો પ્રયત્ન કરે તો તેનાથી શરીર-મનને નુકસાન થવાનો સંભવ છે.
નાડીશોધનનું આ મહત્ત્વપૂર્ણ કાર્ય પ્રાણાયામથી સારી રીતે સિદ્ધ થઈ શકે છે. આ માટે યૌગિક ગ્રંથોમાં ખાસ પ્રકારનો પ્રાણાયામ પણ બતાવવામાં આવેલ છે, જેને નાડીશોધન કે અનુલોમવિલોમ પ્રાણાયામ કહેવામાં આવે છે. યૌગિક ગ્રંથોમાં એવું ભારપૂર્વક કહેવામાં આવેલ છે કે નાડીશોધન પ્રાણાયામ (સાથે યોગાસન અને યૌગિક શોધનકર્મ)ના પર્યાપ્ત અભ્યાસ દ્વારા નાડીશોધન સિદ્ધ કરીને પછી જ અંતરંગ યોગના અભ્યાસમાં આગળ વધવું જોઈએ.
આધુનિક પરિભાષામાં કોઈકવાર આ હકીકતને જુદી રીતે પણ મૂકવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિના અભ્યાસ વખતે સાધકના શરીર પર અને ખાસ કરીને જ્ઞાનતંત્ર તથા શ્ર્વસનતંત્ર પર ખૂબ બોજો પડે તેવો સંભવ છે, તેથી સાધક અંતરંગ યોગના અભ્યાસમાં આગળ વધે તે પહેલાં આવશ્યક છે કે તે જ્ઞાનતંત્ર અને શ્ર્વસનતંત્રને મજબૂત બનાવી લે. આ કાર્ય પ્રાણાયામથી સારી રીતે થઈ શકે તેમ છે, આ હકીકત વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ ચૂકી છે.
આપણ વાંચો: આજના સમયમાં… સુપર ટોપ અપ પોલિસી કેવી રીતે ઉપયોગી થાય?
(રૂ) માનસિક ક્ષેત્રે:
મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે. એટલું જ નહિ પરંતુ આ અર્થહીન વિચારપ્રવાહ માનસિક સ્વાસ્થ્ય માટે પણ હાનિપ્રદ છે, એ હકીકત સર્વમાન્ય છે. જો વિચારોના આ પ્રવાહને બંધ કે મંદ કરી શકાય તો તો તેનાથી આધ્યાત્મિક વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે તેનાથી ઘણી મૂલ્યવાન મદદ મળી રહે. પ્રાણાયામનો ઉચિત રીતે અભ્યાસ કરવામાં આવે તો તેનાથી આ કાર્ય સારી રીતે સિદ્ધ થઈ શકે છે. આપણા સૌનો અનુભવ છે કે ચિત્તની વૃત્તિઓ અને શ્ર્વાસની ગતિને સંબંધ છે. ‘હઠપ્રદીપિકા’માં સ્વાત્મારામ કહે છે –
चले वाते चलं चितं निश्चले निश्चलं भवेत् |
“વાયુ ચંચળ બનતાં ચિત્ત ચંચળ બને છે અને વાયુ સ્થિર થતાં ચિત્ત પણ સ્થિર થાય છે.”
શ્ર્વાસની ગતિ અને મનના વિચારોની ગતિની એકબીજા પર અસર પડે છે.
પૂરક અને રેચકમાં શ્ર્વાસની ગતિ ખૂબ મંદ બને છે અને કુંભકમાં આ ગતિ બંધ પડે છે એટલે પ્રાણાયામના મનોયોગપૂર્વકના અભ્યાસથી વિચારોનો પ્રવાહ મંદ પડે છે અને કયારેક બંધ પણ પડી જાય છે.
થોડી ક્ષણો પણ વિચારોનો આ પ્રવાહ મંદ પડતાં સાધકને ઊંડી આરામપ્રદ અવસ્થા અને પ્રગાઢ શાંતિનો અનુભવ થાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે આ અવસ્થાનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે. (ક્રમશ:)