ફોકસ : ગરમી હાય તોબા! આંખો પર હિટ વેવની અસર વિશે જાણો

- રશ્મિ શુકલ
બળબળતો ઉનાળો શરૂ થતાં જ આપણે અકળાઈ જઈએ છીએ. ઉનાળાનો તીવ્ર તડકો અને હિટ વેવ આંખો માટે હાનિકારક હોઈ શકે છે. હિટ વેવ દરમિયાન આંખોનું રક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હિટ વેવ આંખોને વધુ નુકસાન પહોંચાડી શકે છે, જાણો તેનાથી બચવાના ઉપાયો શું છે…
ઉનાળાની ઋતુ શરૂ થતાં જ દેશના ઘણા ભાગોમાં તાપમાન ઝડપથી વધવા લાગે છે. આ સમય દરમિયાન ગરમીની લહેર ફક્ત શરીરને જ નહીં, પણ આંખોને પણ દઝાડે છે. નિષ્ણાતોના મતે વધુ પડતી ગરમી અને તીવ્ર સૂર્યપ્રકાશ આંખો માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે. જો કાળજી ન લેવામાં આવે તો આંખોમાં બળતરા, શુષ્કતા અને લાલાશ પણ થઈ શકે છે.
આંખો પર હિટ વેવની અસર
હિટ વેવ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે વધી જાય છે. ગરમ પવન અને તીવ્ર સૂર્યપ્રકાશ આંખોમાં ભેજને ઝડપથી સૂકવી નાખે છે. જેના કારણે આંખો સૂકી થઈ જાય છે. જ્યારે આંખોમાં ભેજનો અભાવ હોય છે, ત્યારે બળતરા, ખંજવાળ અને ડંખ જેવી સમસ્યાઓ શરૂ થાય છે. આ ઉપરાંત તીવ્ર સૂર્યપ્રકાશમાં રહેલાં અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખોને સીધું નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી કોર્નિયા બળી શકે છે, જેને ફોટોકેરાટાઇટિસ કહેવાય છે. આ એક પીડાદાયક સ્થિતિ છે જેમાં આંખોમાં તીવ્ર બળતરા થાય છે અને પ્રકાશ સહન ન કરી શકવા જેવી સમસ્યાઓ થાય છે.
હિટ વેવથી કોને વધુ જોખમ છે
હિટ વેવ દરમિયાન વૃદ્ધો, બાળકો અને પહેલાથી જ આંખોની સમસ્યાઓથી પીડાતા લોકો વધુ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો લાંબા સમય સુધી બહાર રહે છે અથવા ખુલ્લામાં કામ કરે છે તેમની આંખો પર તેની વધુ અસર પડે છે.
હિટ વેવથી આંખને બચાવવાના ઉપાયો
સનગ્લાસ પહેરો – સારી ગુણવત્તાવાળા યુવી પ્રોટેક્શન સનગ્લાસ પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ યુવી કિરણોથી રક્ષણ આપશે.
તડકામાં બહાર જવાનું ટાળો- જ્યારે સૂર્ય સૌથી વધુ પ્રખર હોય છે, એટલે કે બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે, તમારે બહાર જવાનું ટાળવું જોઈએ.
આંખ ધોતા રહો – હિટ વેવથી તમારી આંખોને બચાવવા માટે, તમારે દિવસમાં 2-3 વખત ઠંડા પાણીથી તમારી આંખો ધોવી જોઈએ. આનાથી તમને તાજગી પણ મળશે.
હાઇડ્રેટેડ રહો – શરીરમાં પાણીની ઊણપથી આંખો પણ સૂકી થઈ જાય છે, તેથી ઉનાળામાં દરરોજ 6 લિટર સુધી પાણી પીવું જોઈએ.
આપણ વાંચો: વિશેષ : પરિવારના સાથ સાથે સ્વાદ પિરસતી…
જો તમને તમારી આંખોમાં કોઈ સમસ્યા હોય તો – આંખનાં ટીપાંનો ઉપયોગ કરો. તેથી તમારે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ અને આંખના ટીપાં લેવા જોઈએ.
ઉનાળાનો તીવ્ર સૂર્ય અને હિટ વેવ આંખો માટે હાનિકારક હોઈ શકે છે. થોડી સાવધાની અને યોગ્ય કાળજીથી આંખોનું રક્ષણ કરી શકાય છે. જો કોઈને આંખોમાં અતિશય બળતરા, લાલાશ અથવા દુખાવો લાગે, તો તાત્કાલિક આંખના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.