શિયાળામાં ગોળ ખાવાથી ફેફસાં સ્વસ્થ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/T-6.jpg)
જ્યારે ઘી અને ગોળને એકસાથે ભેળવીને શિયાળા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે આ મિશ્રણ કુદરતી સુપરફૂડ બને છે, જે પોષક તત્ત્વોથી ભરપૂર છે.
હેલ્થ વેલ્થ – રાજકુમાર દિનકર
દરેક ઋતુમાં ગોળ ખાવાના ફાયદા છે, પરંતુ ખાસ કરીને જ્યારે શિયાળો પુરજોશમાં હોય ત્યારે ગોળ ખાવાના કેટલાક જબરદસ્ત તાત્કાલિક ફાયદાઓ છે. શિયાળામાં વૃદ્ધ લોકોને તેમના ઘૂંટણ અને શરીરના અન્ય સાંધાઓમાં ખૂબ દુખાવો થાય છે, પરંતુ જો શિયાળામાં બપોરે અને સાંજે ગોળનો એક-એક ટુકડો નિયમિત રીતે ખાવામાં આવે તો દુખાવો ઘણો ઓછો થઈ જાય છે. આ દિવસોમાં ગોળ ખાવાથી ત્વચા પણ સ્વસ્થ રહે છે. આ દિવસોમાં સૌથી વધુ અને મહત્ત્વનો ફાયદો ગોળ ખાવાથી ફેફસાંને મળે છે.
ફેફસાં સ્વસ્થ અને સાફ રહે છે.
ગોળમાં અનેક ગુણ હોય છે. ફેફસાંને સાફ કરવા માટે તે વૈજ્ઞાનિક રીતે સૌથી અસરકારક ખાદ્ય પદાર્થ છે. હકીકતમાં ભારતનાં મોટા ભાગના શહેરોમાં ( આ દિવસોમાં ગામડાઓમાં પણ) હવાની ગુણવત્તા આ દિવસોમાં ખૂબ જ ખરાબ રહેલી છે. હવામાં પ્રદૂષણના સૂક્ષ્મ કણો રહેલા હોય છે, જેના કારણે આપણા ફેફસાંને સૌથી વધુ નુકસાન થાય છે.
કારણ કે ધૂળના સૂક્ષ્મ કણો અને વિવિધ ધાતુઓ શ્ર્વાસ દ્વારા આપણા ફેફસામાં જમા થાય છે. જો તેને સાફ કરવા માટે કોઈ ઉપાય કરવામાં ન આવે તો આખરે આ પ્રદૂષણ આપણા ફેફસાંમાં બીમારી લાવે છે. શિયાળામાં નિયમિત રીતે ગોળ ખાવાથી ફેફસાંની સફાઈમાં ઘણો ફાયદો થાય છે.
કારણ કે ગોળમાં કાર્બન કણોને એક જગ્યાએથી દૂર કરવાની અદભુત ક્ષમતા હોય છે. વાસ્તવમાં જ્યારે ધૂળ, માટી અને વિવિધ કણોના સૂક્ષ્મ કણો આપણા ફેફસાના વાયુના કોષોમાં તેની જગ્યા બનાવી છે, ત્યારે તે શ્ર્વાસનળીનો સોજો, અસ્થમા, અન્ય ઘણી શ્ર્વસન વિકૃતિઓ અને ગળામાં દુખાવાનું કારણ બને છે. આ તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ગોળ ખૂબ જ મદદગાર છે.
ગોળ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખાસ કરીને શિયાળામાં ગોળ ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. કારણ કે ગોળમાં તે તમામ ગુણો હોય છે, જે આપણા સ્વાસ્થ્યને આ ઋતુમાં થતા વિવિધ ચેપથી બચાવે છે. તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. સૌથી મોટી વાત એ છે કે આ ઋતુમાં મોટા ભાગના લોકો ઠંડા હવામાનને કારણે અપચાની સમસ્યાથી પીડાય છે, આથી ગોળ ખાવાથી
આપણું શરીર ગરમ રહે છે અને પાચનક્રિયા સુધરે છે. તેથી જ શિયાળામાં ગોળ અવશ્ય ખાવો જોઈએ.
હા, જો તમને સુગરની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા વગર ગોળ ન ખાવો, કારણ કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે ગોળ ખાવાથી સુગર વધતું નથી, પરંતુ ઘણા લોકોમાં સુગર વધતું જોવા મળે છે. તેથી જો તમને સુગરની સમસ્યા છે, તો ગોળ ખાતાં પહેલાં ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. ઘી સાથે મિક્સ કરવામાં આવે તો આ ગોળ સુપરફૂડ બની જાય છે.
તમે સાચું જ વાંચ્યું છે. જ્યારે ગોળ અને ઘી એક સાથે મિક્સ થાય છે, ત્યારે તે સુપરફૂડ બની જાય છે. ઘી અને ગોળ બંને શરીર માટે અલગ અલગ રીતે ખૂબ જ ઉપયોગી છે અને બંને જરૂરી ખાદ્યપદાર્થો છે. જ્યારે ઘી અને ગોળને એકસાથે ભેળવીને શિયાળા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે આ મિશ્રણ કુદરતી સુપરફૂડ બને છે, જે પોષક તત્ત્વોથી ભરપૂર છે. ખરેખર ઘીમાં ચરબી, વિટામિન એ, વિટામિન ડી હોય છે તેમ જ કેલ્શિયમ અને મિનરલ્સ પણ હોય છે. જ્યારે ગોળમાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન અને અનેક મિનરલ્સ હોય છે. શિયાળામાં જ્યારે આપણે આ બંને વસ્તુઓ એકસાથે ખાઈએ છીએ તો શરીરને ખૂબ જ ફાયદો થાય છે.
અન્ય ફાયદા
શિયાળામાં ગોળ ખાવાથી આપણું પાચન સ્વસ્થ રહે છે. કારણ કે ગોળમાં લૈક્સેટિવ ગુણ હોય છે, જે આપણું પાચન સુધારે છે. ગોળમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે, આનાથી આપણું પાચન પણ સુધરે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ઘીમાં એન્ટીઑકિસડન્ટ ગુણો હોવાથી, જ્યારે આપણે ગોળ ભેળવીને ખાઈએ છીએ, તો તે શરીરની સ્વસ્થ રહેવાની ક્ષમતામાં વધારો કરે છે, તો બીજી તરફ તે આપણને ઘણા પ્રકારના ઋતુઓમાં થતા ચેપથી બચાવે છે.
જ્યારે ગોળને ઘી સાથે ભેળવીને ખાવામાં આવે, ત્યારે તે શરીરને ઘણો ફાયદો થાય છે, કારણ કે ગોળમાં ભરપૂર માત્રામાં કેલેરી અને કાર્બોહાઇડ્રેટ હોય છે, આ બંને મળીને શરીરને ઘણી એનર્જી આપે છે. જેના કારણે આ દિવસોમાં વારંવાર લાગતો થાક અને નબળાઈની સમસ્યા દૂર થઈ જાય છે.