તરોતાઝા

સાવધાન! શ્ર્વાનો તણાવમાં છે! દેશમાં કેમ સતત વધી રહી છે શ્ર્વાન કરડવાની ઘટનાઓ?

વિશેષ – મજીદ આલમ

રાજધાની દિલ્હી પાસે આવેલ ગૌતમબુદ્ધ નગરમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં શ્ર્વાન કરડવાના ૯ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે દર મહિને આખા દેશમાંથી શ્ર્વાન કરડવાની આવી કેટલીય ઘટનાઓ બનતી હશે. શ્ર્વાનોમાં તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. તેઓ નવા પ્રકારના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. મુંબઇના ઉપનગરો મીરા રોડ, ભાયંદર, નાલાસોપારા અને થાણેમાં શ્ર્વાાનોનો જબરદસ્ત આતંક જોવા મળી રહ્યો છે. શ્ર્વાન કરડવાની દરરોજ અંદાજે ૪૦૦થી પણ વધુ ઘટનાઓ આ ચાર ઉપનગરમાંથી સામે આવી રહી છે.

વર્ષ ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે પશુકલ્યાણ બોર્ડને આદેશ આપતા જણાવ્યું હતું કે આ ગંભીર સમસ્યા છે. શ્ર્વાનોનું ખસીકરણ થવું જોઇએ. પરંતુ એવું લાગી રહ્યું છે જાણે સરકારી વિભાગો કોર્ટના આદેશને ઘોળીને પી ગયા છે. કારણકે કાગળો પર ભલે મોતના આંકડા ઘટ્યા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ દર વર્ષે અંદાજે ૨૦ હજારથી વધુ લોકો રેબીઝના કારણે મોતને ભેટે છે. ‘એસોસિએશન ઓફ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ રેબીઝ ઇન ઇન્ડિયા’ મુજબ ભારતમાં રેબીઝ વાઇરસથી જેટલા મોત થાય છે તેમાંથી ૯૬ ટકા મોત શ્ર્વાનના કરડવાથી થાય છે. સરકારે રખડતા શ્ર્વાન કરડવાથી થયેલા લોકોના મોતના આંકડા લોકસભામાં રજૂ કર્યા હતા. તે મુજબ વર્ષ ૨૦૨૦માં કુલ ૪.૩૧ લાખ લોકોને રખડતા શ્ર્વાન કરડ્યા હતા. જે ઘટીને વર્ષ ૨૦૨૧માં ૧.૯૨ લાખ થઇ અને વર્ષ ૨૦૨૨માં આ સંખ્યા હજુ પણ ઘટીને ૧.૬૯ લાખ થઇ ગઇ.

સરકારી આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૨માં રેબીઝથી ૩૪૨ લોકોના મોત થયાં જ્યારે એપીસીઆરઆઇના આંકડા મુજબ આ ઘટનાઓ ઘણી વધારે છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન પણ ભારતમાં રેબીઝના વધતા જતા સંક્રમણને ગંભીરતાથી લઇ રહ્યું છે. WHOનું કહેવું છે કે રેબીઝ એક સ્થાનીય બિમારીનું રૂપ લઇ ચુક્યું છે અને આંદામાન ટાપુઓને છોડીને સમગ્ર ભારત તેના સકંજામાં છે. સવાલ એ છે કે આટલો વિરોધાભાસ કેમ છે? રેબીઝ RNA વાયરસ સમૂહનો એક ભાગ છે અને આ સમૂહમાં ૧૨ જેટલા વાયરસ મળી આવ્યા છે. રેબીઝના વાયરસ શ્વાનની લાળમાં હોય છે. અને જ્યારે કોઇ વ્યક્તિને શ્ર્વાન કરડે ત્યારે તેની લાળમાં રહેલો એ વાયરસ મનુષ્યના શરીરમાં પહોંચી જાય છે. આ વાયરસ ધીમે ધીમે એન્ટી બોડીને નષ્ટ કરવા લાગે છે જેને કારણે નર્વસ સિસ્ટમ પર જોરદાર હુમલો થાય છે. અતિ ગંભીર સ્થિતિમાં તે મગજ અથવા સ્પાઇનલ કોડ સુધી પહોંચી જાય છે અને છેવટે માણસનું મોત થાય છે. વાયરસનો મગજમાં ચેપ લાગે તો તે લકવાગ્રસ્ત થઇ શકે છે અને આ આખી પ્રક્રિયા શ્ર્વાન કરડવાના ફક્ત ૪થી ૫ દિવસની અંદર થઇ શકે છે. આથી ચેપગ્રસ્ત વ્યક્તિએ તાત્કાલિક રેબીસનું ઇન્જેક્શન લઇ લેવું જોઇએ.

કેન્દ્રીય પશુધન વિભાગના વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ દેશમાં ૧.૬ કરોડ રખડતા શ્ર્વાન વસવાટ કરી રહ્યા હતા. જો કે આ સંખ્યા ૨૦૧૨ની તુલનાએ ઓછી હતી. કારણકે ૨૦૧૨માં ૧ કરોડ ૭૦ લાખથી પણ વધુ રખડતા શ્ર્વાન નોંધાયા હતા. તો બીજી બાજુ ખસીકરણના આંકડા સરકારી મંત્રાલયો જ્યારે રજૂ કરે છે ત્યારે તેઓ જણાવે કે દર વર્ષે ૨૦ લાખથી વધુ રખડતા શ્ર્વાનોનું તેઓ ખસીકરણ કરે છે. જો એ સત્ય હોય તો આ આંકડાઓ મુજબ તો શ્ર્વાનોની સંખ્યા વધવી જ ન જોઇએ. જે પ્રકારના દાવા અને વિગતો કાગળો પર રજૂ થાય છે તેના મુજબ તો લોકોને શ્ર્વાન કરડવા જ ન જોઇએ. જો ખરેખર કડક કાર્યવાહી થઇ રહી હોય તો રેબિઝને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા શૂન્ય થઇ જાય.
સ્થાનિક સ્તરે જોઇએ તો શહેરમાં નગરપાલિકા-મહાનગરપાલિકાઓ પાસે અને ગામડાઓમાં પણ સ્થાનિક તંત્ર પાસે રખડતા શ્વાનનો ત્રાસ ઓછો કરવાની જવાબદારી હોય છે. જો તેઓ ખરેખર ઇમાનદારી પૂર્વક કામ કરે તો દર વર્ષે લાખો લોકોના જીવ બચી જાય, હવામાન અનિયંત્રિત થવાની સૌથી વધુ અસર પણ રખડતા શ્વાન પર સૌથી વધુ થતી હોય છે. જ્યારે ઠંડી કે ગરમી વધી જાય ત્યારે શ્વાનોમાં ડર ફેલાય છે અને તેઓ આત્મરક્ષા માટે લોકો પર હુમલો કરી દે છે. સામાન્યપણે એવું જોવાયું છે કે શ્વાન તેના પર જ હુમલો કરે છે જે તેમને નુકસાન પહોંચાડતા હોય છે, આપણે રખડતા શ્વાનો પ્રત્યે દયાભાવના કેળવવી જોઇએ નહિ તો રેબીઝ આવનારા દિવસોમાં એક ગંભીર મહામારીનું સ્વરૂપ લઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…