પંજાબના રાજ્યપાલનું રાજીનામું
ચંડીગઢ: પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતે શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને અંગત કારણોસર પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
પુરોહિતે તેમના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, મારા અંગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક પદ પરથી મારું રાજીનામું આપું છું. પુરોહિતનું રાજીનામું દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યાના
એક દિવસ બાદ આવ્યું હતું. પુરોહિત પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે વિધાનસભા સત્રો યોજવા અને વાઇસ ચાન્સેલરની નિમણૂંક સહિતના અનેક મુદ્દાઓ પર વિવાદમાં હતા. પુરોહિતને ઓગસ્ટ ૨૦૨૧માં પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અગાઉ પુરોહિત ૨૦૧૬થી ૨૦૧૭ સુધી આસામના રાજ્યપાલ અને ૨૦૧૭થી ૨૦૨૧ સુધી તામિલનાડુના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પુરોહિત ૧૯૮૪, ૧૯૮૯ અને ૧૯૯૬માં નાગપુરથી ત્રણ વખત લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે અને મધ્ય ભારતના સૌથી જૂના અંગ્રેજી દૈનિક ધ હિતાવડાના મેનેજિંગ એડિટર રહી ચૂક્યા છે. નિષ્કલંક છબી ધરાવતા પુરોહિત એક પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી, પ્રખ્યાત સમાજસેવક, રાષ્ટ્રવાદી વિચારક તરીકેની પણ છાપ ધરાવે છે. તેમને જાહેર જીવનનો ચાર દાયકાથી વધુનો અનુભવ છે.