જી-20 બાદ મોદી સરકારે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ: કૉંગ્રેસ
નવી દિલ્હી: જી-20 શિખર પરિષદ પૂરી થઈ ગઈ હોવાથી મોદી સરકારે હવે ફુગાવા, બેરોજગારી અને મણિપુર હિંસા જેવા સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ, એમ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે કહ્યું હતું.
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળની સરકારને વિદાય આપવાનો લોકોએ માર્ગ મોકળો કરી લીધો હોવાનો દાવો તેમણે કર્યો હતો.
સોશિયલ મીડિયા પર કરેલી પૉસ્ટમાં ખડગેએ મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.
તેમણે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર સત્ય છુપાવવા સઘન પ્રયાસ કરી રહી છે, પરંતુ લોકો ધ્યાન અન્ય તરફ દોરતા મુદ્દાઓને બદલે સત્ય જોવા અને સાંભળવા માગે છે.
હવે જી-20 શિખર પરિષદ પૂરી થઈ ગઈ છે ત્યારે મોદી સરકારે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
ઑગસ્ટ મહિનામાં ભોજનની સામાન્ય થાળીને કિંમતમાં 24 ટકાનો વધારો થયો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે દેશમાં બેરોજગારીનો આંક આઠ ટકા પર પહોંચ્યો હોવાને કારણે દેશના યુવાનોનું ભાવિ અંધકારમય બન્યું છે.
મોદી સરકારના ગેરવહીવટ હેઠળ દેશમાં ભ્રષ્ટાચારનું પૂર આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. (એજન્સી)