આજે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, જાણો ક્યારથી લાગશે સૂતક કાળ?
નેશનલ

આજે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, જાણો ક્યારથી લાગશે સૂતક કાળ?

ગણેશોત્સવ બાદ નવરાત્રિ શરૂ થાય છે અને બંને હિંદુઓ માટેના ખૂબ જ મહત્ત્વના તહેવારો છે. આ બંને તહેવારો વચ્ચે 15 દિવસ શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ શરૂ થાય છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરથી એટલે કે આજથી પિતૃ પક્ષ શરૂ થશે અને 21મી સપ્ટેમ્બરના પૂરું થશે.

આ વખતનો આ પિતૃ પક્ષ કે જેને આપણે શ્રાદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ એ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત ચંદ્ર ગ્રહણથી શરૂ થશે અને સૂર્ય ગ્રહણ પણ સમાપ્ત થશે.

આજે સાતમી સપ્ટેમ્બરના ચંદ્ર ગ્રહણ રાતે 9.58 કલાકથી શરૂ થશે અને મોડી રાતે 1.27 કલાક સુધી રહેશે. ત્યાર બાદ 21મી સપ્ટેમ્બરના રોજ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ લાગશે.

જોકે, આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય, એટલે તેની અસર અહીં નહીં દેખાય. ચંદ્ર ગ્રહણની વાત કરીએ તો ચંદ્ર ગ્રહણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં દેખાશે, એટલે કે તેની અસર દેશ પર જોવા મળશે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યારે એક જ પક્ષમાં બે ગ્રહણ લાગે છે ત્યારે એને શુભ નથી માનવામાં આવતું, પરંતુ ગ્રહોની આ સ્થિતિ કેટલીક રાશિના જાતકો માટે ખૂબ શુભ સાબિત થવાની છે. સાતમી સપ્ટેમ્બરના ચંદ્ર ગ્રહણ કુંભ રાશિમાં લાગશે, જેને કારણે મિથુન, કર્ક, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોને લાભ થવા જઈ રહ્યો છે.

ક્યારે લાગશે સૂતક કાળ?
સાતમી સપ્ટેમ્બરના ભારતમાં દ્રશ્યમાન ચંદ્ર ગ્રહણનું સૂતક કાળ 9 કલાક પહેલાં લાગશે. એટલે ચંદ્ર ગ્રહણનું સૂતક કાળ બપોરે 12.57 કલાકથી શરૂ થશે.

સૂતક દરમિયાન આટલું ધ્યાનમાં રાખો:
સૂતક કાળ દરમિયાન શુભ અને માંગલિક કાર્ય કરવાનું વર્જ્ય છે. આ સમયે ગર્ભવતી મહિલાઓ, બાળકો, વડીલો અને પીડિત લોકોએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. ગ્રહણ સમયે ભોજન વગેરે બનાવવાનું કે ખાવાનું ટાળવું જોઈએ.

એટલું જ નહીં આ સમયે ભગવાનને ધરાવેલો થાળ પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય નહીં એટલે તે થાળ ગાયને ખવડાવવો જોઈએ.

ગ્રહણ સમયે શક્ય એટલું ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને સૂવાનું ટાળવું જોઈએ. ગ્રહણ બાદ શક્ય એટલું દાન પુણ્ય કરવું જોઈએ.

સૂતક અને ગ્રહણનો સમય:

  • ગ્રહણ વેધની શરૂઆત 7મી સપ્ટેમ્બરના બપોરે 12.57 કલાકથી
  • ગ્રહણ સ્પર્શની શરૂઆત 7મી સપ્ટેમ્બરના રાતે 9.57 કલાકથી
  • ગ્રહણ મુક્તિ 8મી સપ્ટેમ્બર 1.27 કલાકે

આ પણ વાંચો…500 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ પર બનશે શુભ યોગ, આ રાશિના જાતકો બનશે માલામાલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button