સ્પોર્ટસ

શુભમન ગિલે કેમ પિતાથી મહત્ત્વની વાત છુપાવી હતી?

નવા ટેસ્ટ-સુકાનીએ ટીમના દરેક ખેલાડી વિશેના પોતાના અભિગમની પણ વાત કરી

લીડ્સઃ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો નવો યુગ શુક્રવાર, 20મી જૂને શરૂ થઈ રહ્યો છે જેમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટની સિરીઝમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળનાર યુવાન કૅપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) પોતાને મળેલી આ જવાબદારી વિશે પિતા સાથે ભાવુક સ્થિતિમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ જાણીતા બ્રૉડકાસ્ટરને આપેલી મુલાકાત (interview)માં કર્યો છે જેમાં ગિલે કહ્યું છે કે પોતાને કૅપ્ટન્સી મળી હોવાની વાત તેણે પિતાથી છુપાવી હતી અને સત્તાવાર જાહેરાત થયા પછી તેમની સાથે જરૂરી ચર્ચા થઈ હતી.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી 20મી જૂને શરૂ થશે. રોહિત શર્માએ સાતમી મેએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યાર પછી ટેસ્ટ ટીમનો કૅપ્ટન બનવા માટેની રેસમાં ગિલનું નામ અગ્રેસર હતું. જસપ્રીત બુમરાહના નામ પર પણ ચર્ચા થઈ હતી, પણ તે ફાસ્ટ બોલર હોવા ઉપરાંત ટીમનો મુખ્ય બોલર પણ છે એટલે તેને વર્કલૉડ મૅનેજમેન્ટને લક્ષમાં રાખીને સિલેક્ટરોએ ગિલ પર કળશ ઢોળ્યો હતો.

https://twitter.com/rushiii_12/status/1928522765230813333

ગિલના નેતૃત્વ (captaincy)ની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગિલે ઇન્ટરવ્યૂમાં કેટલાક ઇમોશનલ નિવેદનો આપ્યા છે. તેણે બ્રૉડકાસ્ટર માટે ઇન્ટરવ્યૂ લેનાર ભૂતપૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકને એક સવાલના જવાબમાં કહ્યું, `ખરું કહું, મને નથી લાગતું કે મારા પપ્પાએ હું ભારતીય ટીમનો કૅપ્ટન બનીશ એવું સપનું ક્યારેય જોયું હશે. મને ટેસ્ટ ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરવાનો મોકો મળશે એવું સપનું મેં પણ ક્યારેય નહોતું જોયું. મને જ્યારે પહેલી વાર જાણ થઈ કે મને ટેસ્ટ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે પહેલાં તો મેં એ વાત મારા પપ્પાથી છુપાવી હતી અને સત્તાવાર જાહેરાત સુધી રાહ જોઈ હતી. સત્તાવાર રીતે જયારે મારી કૅપ્ટન્સીની જાહેરાત કરવામાં આવી ત્યારે મને મારા પપ્પાનો ફોન આવ્યો અને ત્યાર બાદ અમારી વચ્ચે થોડી જરૂરી વાતચીત થઈ હતી.’ ગિલ સિખ સમુદાયનો છે. તેના પિતાનું નામ લખવિન્દર સિંહ છે. તેઓ ખેડૂત હતા અને નાનપણમાં તેમને ક્રિકેટર બનવાની ખૂબ ઈચ્છા હતી

ટીમમાં ખેલાડીને સલામત અને ખુશ જોવા માગે છે

શુભમન ગિલે પોતાને મળેલી ટીમ વિશે તેમ જ ટીમના ખેલાડીઓ પ્રત્યેના પોતાના અભિગમ વિશે ઇન્ટરવ્યૂમાં ભારપૂર્વક કહ્યું હતું કે ` અમારી પાસે બહુ સારા યુવા ખેલાડીઓ છે જેઓ ટીમને વિજય અપાવવા સક્ષમ છે. અમે અહીં જીતવા માટે જ આવ્યા છીએ. હું એવી ટીમ બનાવવા માગું છું જેમાં દરેક ખેલાડી પોતાને સલામત અને આનંદિત સ્થિતિમાં રાખે. જોકે હું એ પણ જાણું છું કે હું જે કંઈ કહી રહ્યો છું એ કરવું આસાન તો નથી, કારણકે અમે અલગ પ્રકારની હરીફ ટીમો સામે વર્ષ દરમ્યાન અનેક મૅચો રમતા હોઈએ છીએ અને હરીફાઈઓ પણ તીવ્ર હોય છે. એમ છતાં હું મારા ધ્યેય સિદ્ધ કરી શકીશ એવી મને ખાતરી છે. મારી દૃષ્ટિએ કૅપ્ટન માટે એ અત્યંત મહત્ત્વનું છે કે તે ખેલાડી પોતાની ક્ષમતા અને કાબેલિયતને આધારે ટીમમાં પોતાને સલામત અને ખુશ રાખી શકે.’

રોહિત વિશે ગિલનું શું માનવું છે?

રોહિત શર્માએ વન-ડે ફૉર્મેટમાં રમવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ તે ટી-20 અને ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. શુભમન ગિલે રોહિત વિશે કહ્યું કે તેનો માર્ગ તેના થકી જ સરળ થયો છે. ગિલે કહ્યું, `અભિગમ પરથી રોહિત ભલે આક્રમક નથી લાગતો, પરંતુ બૅટિંગ ટેક્નિકની બાબતમાં તેનો અપ્રોચ અગે્રસિવ રહ્યો છે. સિરીઝ પહેલાં કે શ્રેણી પછી તે સાથી ખેલાડીઓને મનની જે વાત કહેવા માગતો હોય એ સ્પષ્ટ શબ્દોમાં કહી દેતો હોય છે. હું રોહિતભાઈના માર્ગે જવા માગું છું. તે ભલે સાથી ખેલાડીને ગુસ્સામાં કંઈક બોલી દે તો પણ ખેલાડીઓ દિલ પર નથી લેતા. એ જ રોહિતના પ્રભાવ અને વ્યક્તિત્વ છે. તે દરેક વાતે મક્કમ હોય છે. તે ટીમમાં કોઈના પ્રત્યે કઠોર વલણ અપનાવે તો તેનું એ વલણ તેના દિલમાંથી નથી આવતું હોતું, પણ તે ટીમના દૃષ્ટિકોણથી જ એવો અભિગમ રાખતો હોય છે. આ બધી બાબતો પર રોહિતભાઈ સાથે મારી ઘણી વાતચીત થઈ ચૂકી છે.’

વિરાટ કોહલી પાસેથી પણ ઘણું શીખ્યો

શુભમન ગિલે વિરાટ કોહલી વિશે કહ્યું, ` હું ટીમની લિડરશિપની બાબતમાં વિરાટભાઈ પાસેથી પણ ઘણું શીખ્યો છું. યોજના વિચારવી અને એ મુજબના ધ્યેય સિદ્ધ કરવાનું હું તેની પાસેથી શીખ્યો છું. ફીલ્ડિંગ ગોઠવવાથી માંડીને પોતાની વિચારધારા મુજબની યોજના નક્કી કરીને એ હાંસલ કરવાનું કૅપ્ટન તરીકે તેનું વલણ હતું. તેનો અભિગમ એવો હતો જેમાં તે જો કોઈ યોજના વિચારતો અને એ જો સાર્થક નહોતી નીવડતી તો તરત જ તે બીજો પ્લાન નક્કી કરી લેતો અને બોલરને જણાવી દેતો કે તે તેની પાસેથી શું ઇચ્છે છે.’

ગંભીર અને આગરકર વિશે શું કહ્યું?

કૅપ્ટન શુભમન ગિલે હેડ-કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકર વિશે સવાલ પૂછવામાં આવતાં કહ્યું હતું કે ` તેમના તરફથી કોઈ જ અપેક્ષા નથી. તેઓ ઇચ્છે છે કે ટીમના લીડર તરીકે હું મારી રીતે છૂટથી કામ કરું. હું જે માટે કાબેલ નથી એ વિશે કોઈ અપેક્ષા રાખવાનો તેમનો કોઈ જ અભિગમ નથી. હા, ગૌતમભાઈ ખૂબ દૃઢ સ્વભાવના છે અને પોતે ખેલાડીઓ પાસેથી શું ઇચ્છે છે એ સ્પષ્ટ કહી દેનારા પણ છે. તેઓ ખાસ કરીને ખેલાડીઓના અભિગમ અને માનસિકતાને ખાસ ધ્યાનમાં લેતા હોય છે.’

આ પણ વાંચો…ત્રણ-ત્રણ કૅચ છોડો પછી ક્યાંથી જીતાયઃ શુભમન ગિલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button