![This decision of Rohit in the last over turned the fate of Mumbai](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Yogesh-Dave-2024-04-19T105740.457.jpg)
ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને ખૂબ જ રોમાંચક મેચમાં નવ રનથી હરાવ્યું હતું.આ મેચમાં છેલ્લી ઓવરમાં રોહિત શર્માએ એક્શનમાં આવીને લગભગ એક તરફી થઇ ગયેલી બાજી સંભાળી લીધી હતી. રોહિતે નબીને ડીપ કવરમાં મોકલ્યો હતો જેના કારણે મુંબઇને રનઆઉટ દ્વારા રબાડાની વિકેટ મળી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને મુંબઈને બેટિંગ માટે આમંત્રણ આપ્યું, ત્યારબાદ મુંબઈએ સૂર્યકુમાર યાદવની 53 બોલમાં 78 રનની આક્રમક ઈનિંગની મદદથી સાત વિકેટે 192 રન બનાવ્યા અને પંજાબને 19.1 ઓવરમાં 183 રન પર આઉટ કરી દીધું હતું. આ જીત સાથે મુંબઈ સાત મેચમાં ત્રણ જીત સાથે સાતમા સ્થાને પહોંચી ગયું છે જ્યારે પંજાબ સાત મેચમાં પાંચમા પરાજય બાદ નવમા સ્થાને સરકી ગયું છે.
મેચની છેલ્લી ઓવરમાં રોહિત શર્મા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. પંજાબ કિંગ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી અને 1 વિકેટ બાકી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિકે બોલિંગની જવાબદારી આકાશ માધવાલને સોંપી હતી. આ સમયે રોહિત શર્મા એક્શનમાં આવ્યા હતા અને ફિલ્ડિંગમાં ફેરફાર કર્યા હતા. રોહિત શર્માએ મોહમ્મદ નબીને ડીપ કવર પર મોકલ્યો અને ત્યાર બાદ છેલ્લી ઓવરના પ્રથમ બોલને વાઈડ જાહેર કરવામાં આવ્યો પરંતુ તેના બીજા જ બોલ પર રબાડાએ ડીપ કવર પર ઉભેલા નબી પાસે બોલ મોકલ્યો. રબાડાએ બે રન પણ લઇ લીધા અને ત્રીજા રન માટે ભાગ્યો, પરંતુ નબીએ બોલ ઈશાન કિશન તરફ ફેંક્યો અને રબાડા રનઆઉટ થયો અને મુંબઈએ 9 રનથી મેચ જીતી લીધી.
આ રોમાંચક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત પૂર્વ કેપ્ટન રોહિત શર્માને જ આભારી છે.