ભારત સામે પાકિસ્તાનની કોઈ બરાબરી જ નથી, આપણી ટીમ સામે એ ટકવાને લાયક જ નથીઃ તિલક વર્મા...
T20 એશિયા કપ 2025નેશનલ

ભારત સામે પાકિસ્તાનની કોઈ બરાબરી જ નથી, આપણી ટીમ સામે એ ટકવાને લાયક જ નથીઃ તિલક વર્મા…

હૈદરાબાદઃ દુબઈમાં રવિવારે શત્રુ-રાષ્ટ્ર પાકિસ્તાન (Pakistan) સામેની એશિયા કપની ફાઇનલમાં અણનમ 69 રનની અદ્ભુત ઇનિંગ્સથી ભારત (India)ને યાદગાર અને ઐતિહાસિક વિજય અપાવનાર તિલક વર્મા સમગ્ર ક્રિકેટ જગતમાં છવાઈ ગયો છે અને તેણે કરોડો ચાહકોને ખુશ કરી દેતા નિવેદનો આપ્યા છે જેમાં ખાસ તો તેણે કહ્યું છે કે ` ભારત સાથે પાકિસ્તાનની કોઈ જ બરાબરી ન થાય. આપણી ટીમ સામે પાકિસ્તાન ટકવાને લાયક જ નથી.’

તિલકે (Tilak) 28મી સપ્ટેમ્બરના હાઈ-વૉલ્ટેજ મુકાબલામાં અને પાકિસ્તાન સામે પહેલી જ વખત રમાયેલી એશિયા કપ ફાઇનલમાં 53 બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોરની મદદથી 69 રન કર્યા હતા અને તેણે વિનિંગ-ફોર ફટકારનાર રિન્કુ સિંહ સાથે મળીને ભારતને બે બૉલ બાકી રાખીને વિજય અપાવ્યો હતો. પાકિસ્તાને 146 રન કર્યા બાદ ભારતે 19.4 ઓવરમાં પાંચ વિકેટે 150 રન કરીને વિજય મેળવ્યો હતો.

તિલક વર્મા સોમવારે રાત્રે દુબઈથી હૈદરાબાદ આવી પહોંચ્યો હતો અને ત્યાં તેનું ભવ્ય સ્વાગત થયું છે. તેણે પત્રકારો સાથે કૅપ્ટન સૂર્યકુમાર યાદવના કથનને સમર્થન આપતા કહ્યું હતું કે હાલમાં ટીમ ઇન્ડિયા સામે પાકિસ્તાની ટીમની કોઈ બરાબરી થઈ ન શકે. હું સૂર્યકુમારની વાત સાથે સહમત છું. તેમની વાત ખરી છે, હવે ભારત-પાકિસ્તાન વચ્ચે મોટી હરીફાઈ જેવું છે જ નહીં. એની ટીમ આપણી સામે ટકી જ ન શકે. ટકવાને લાયક પણ નથી.’

તિલકે એવું પણ કહ્યું કે ` 147 રનનો લક્ષ્યાંક મેળવતી વખતે આપણા પર પણ થોડું માનસિક દબાણ હતું, પણ અમે બધા માત્ર આપણા દેશને યાદ કરીને રમતા રહ્યા હતા. 140 કરોડ ભારતીયો માટે આ ફાઇનલ જીતવાની હતી અને એ જ અમારી પ્રાથમિકતા હતી.’

મોદીજીએ ` ઑપરેશન તિલક’ કહ્યું એ મારા માટે મોટી વાત

તિલક વર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું કે બૅટિંગમાં શરૂઆતમાં થોડું પ્રેશર હતું. જોકે મેં બધુ ભૂલીને માત્ર આપણા દેશને અને દેશની જનતાને યાદ કરીને પાકિસ્તાન સામે જીતવાના લક્ષ્યને જ નજર સમક્ષ રાખ્યું હતું. મેં વિચાર્યું કે જો હું પ્રેશરમાં આવી જઈશ તો વિકેટ ગુમાવી દઈશ તો પોતાને તો નિરાશ કરીશ જ, દેશની 140 કરોડની જનતાને પણ હતાશ કરીશ. આ બધુ વિચારીને મેં ખરાબ કે જોખમવાળા શૉટ રમવાનું ટાળ્યું હતું. વડા પ્રધાન મોદીજીએ ભારતના શાનદાર વિજય બાદ ઑપરેશન સિંદૂર’ ની જેમ ` ઑપરેશન તિલક’નું નામ લીધું એ મને બહુ ગમ્યું. મારા માટે આ બહુ મોટી વાત છે.’

પાકિસ્તાનના સ્લેજિંગનો એકમાત્ર જવાબ છે…

ભારતે 10 રનમાં બે વિકેટ (અભિષેક, સૂર્યકુમાર) ગુમાવી હતી ત્યારે મિડલ-ઑર્ડર તિલક વર્મા બૅટિંગમાં આવ્યો હતો. ત્યાર બાદ 20મા રને ત્રીજી વિકેટ (ગિલ) પણ પડી હતી. તિલકે જર્નલિસ્ટોને કહ્યું, ` આપણે એશિયા કપ જીત્યા એ જ આ આક્રમક હરીફ દેશને આપણે આપેલો સર્વશ્રેષ્ઠ જવાબ છે. ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાનીઓ વધુ ગુસ્સા અને ઝનૂનથી આપણી સામે રમ્યા. જોકે આપણે તેમને હરાવીને બરાબર જવાબ આપ્યો.’

મેં મૅચ પછી પાકિસ્તાનીઓને સંભળાવી દીધું

તિલકે કહ્યું, ` હું મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી રહ્યો એ દરમ્યાન તેઓ મને ઘણું બોલ્યા હતા. હું માત્ર મારી બૅટિંગ પર ધ્યાન આપતો હતો. મારે તેમને મેદાન પર બોલીને જવાબ નહોતો આપવો. ફક્ત બૅટથી બતાવી દેવું હતું. મેદાન પર ઘણું બધુ બની ગયું હતું અને એ બધુ હું જાહેર કરી શકું એમ નથી. ભારત-પાકિસ્તાન મૅચમાં એવું બનવું સ્વાભાવિક છે. આપણું ધ્યાન માત્ર વિજય મેળવવા પર જ હતું. મારે તેમને બોલીને જે પણ કહેવું હતું એ મેં મૅચ પછી તેમને સંભળાવી દીધું હતું.’

આ પણ વાંચો…ફાઈનલમાં ‘વિજયી’ પ્રદર્શન કરનારા તિલક વર્માએ પાકિસ્તાનના ખેલાડીઓ માટે શું કહ્યું, જાણો?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button