પાકિસ્તાન જીત્યું, રવિવારે ફરી ભારત સાથે ટકરાવું પડશે | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

પાકિસ્તાન જીત્યું, રવિવારે ફરી ભારત સાથે ટકરાવું પડશે

દુબઈઃ અહીં એશિયા કપની બહુચર્ચિત મૅચમાં પાકિસ્તાને યજમાન યુએઇને હરાવીને સુપર-ફોરમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, આગામી રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે અને કોણ જાણે કેવા નવા વિવાદો સર્જાશે. યુએઇની ટીમ 147 રનના નાના છતાં પડકારરૂપ લક્ષ્યાંક સામે 17.4 ઓવરમાં 105 રનમાં આઉટ થઈ ગઈ હતી. યુએઇની 85 રનમાં ચાર વિકેટ હતી, પણ પછીથી પત્તાનાં મહેલની જેમ બૅટિંગ લાઇન-અપ તૂટી પડી હતી.

એ પહેલાં, પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચમા જ બૉલમાં ઓપનર સઇમ અયુબની વિકેટ ગુમાવી દીધી હતી. ડુ ઑર ડાય જેવા આ મુકાબલામાં પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 146 રન કર્યા હતા.

પાકિસ્તાને ખરાબ શરૂઆત કર્યા બાદ એક તબક્કે 93 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પછી પૂંછડિયાઓની ફટકાબાજીને લીધે યુએઇને 147 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકાયો હતો.

ફખર ઝમાનના 50 રન બાદ ખાસ કરીને શાહીન શાહ આફ્રિદીએ 14 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી અણનમ 29 રન કર્યા હતા. યુએઇના જુનૈદ સિદ્દીકીએ ચાર, સિમરનજિતે ત્રણ અને ધ્રુવ પરાશરે એક વિકેટ લીધી હતી.

આજે (ગુરુવારે) અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button