India – Pakistan T20 World Cup Match : ભારત-પાકિસ્તાન મૅચ માટે ન્યૂ યોર્કમાં સલામતી વધારી દેવાઈ

ન્યૂ યોર્ક: ક્રિકેટજગતની બે કટ્ટર હરીફ ટીમ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં પણ મૅચ રમાવાની હોય ત્યાં સલામતીનો અભૂતપૂર્વ બંદોબસ્ત કરવો પડતો હોય છે. પછી ભલે એ મૅચ દુબઈમાં હોય કે કોલંબોમાં હોય કે વિશ્વના બીજા કોઈ પણ દેશમાં રમાવાની હોય. આવતા બે અઠવાડિયા દરમિયાન આખા વિશ્વનું ધ્યાન અમેરિકાના ન્યૂ યોર્ક શહેર પર હશે. આગામી નવમી જૂને અમેરિકાના સમય મુજબ સવારે 10:30 વાગ્યે અને ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂ યોર્કમાં ટી-20 વર્લ્ડ કપનો હાઈ-વોલ્ટેજ મુકાબલો શરૂ થશે અને એ માટે શહેરના આઇઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં અને એની આસપાસ સલામતીનો અભૂતપૂર્વ કડક બંદોબસ્ત અત્યારથી જ કરવામાં આવી રહ્યો છે.
આ સ્ટેડિયમ મૅનહટન શહેરથી 25 માઈલ દૂર બનેલું છે અને ત્યાં 3-12 જૂન દરમિયાન વર્લ્ડ કપની કુલ આઠ મૅચ રમાવાની છે.
શહેરના ગવર્નરે જણાવ્યું છે કે “નવમી જૂનની ભારત પાકિસ્તાન મૅચ માટે અત્યારથી જ સલામતીની પાક્કી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ આ મૅચ પહેલાં સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. જોકે જાહેર જનતાને કે માલ-મિલકતને નુકસાન થાય એવો કોઈ જ ખતરો અત્યારે દેખાતો નથી. જાહેર જનતાની સલામતી મારો અગ્રક્રમ રહેશે.”
અમેરિકા ઉપરાંત પાડોશમાં આવેલા વેસ્ટ ઈન્ડિઝમાં પણ વર્લ્ડ કપની મૅચો રમાવાની છે એટલે ત્યાં પણ અત્યારથી જ સલામતી અને સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
Also Read –