ભારતીય ક્રિકેટ ટીમનું આગમન વિલંબમાં મુકાયું, કારણકે…

બ્રિજટાઉન: ટી-20ના વર્લ્ડ ચેમ્પિયન રોહિત શર્મા અને તેના સાથી ખેલાડીઓ, કોચિંગ સ્ટાફના સભ્યો તેમ જ ફેમિલી મેમ્બર્સનું વેસ્ટ ઇન્ડિઝથી ભારત પાછા આવવાનું વિલંબિત થયું છે. એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્દભવેલા ‘બેરીલ’ નામના વાવાઝોડાના ભયને કારણે બ્રિજટાઉનનું એરપોર્ટ કલાકો સુધી બંધ રાખવામાં આવતા તેમ જ સમગ્ર બાર્બડોઝ ટાપુમાં હાઈ અલર્ટ હોવાથી ખેલાડીઓને હોટલમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી.
રવિવારે બ્રિજટાઉનમાં કલાકે 210 kmની ઝડપે પવન ફૂંકાયો હતો.
ભારતીય ખેલાડીઓ ન્યૂ યોર્કથી એમિરેટ્સની ફ્લાઈટમાં દુબઈ થઈને ભારત પાછા આવવાના હતા. જોકે પછીથી પ્લાન બદલવામાં આવ્યો હતો અને તેમને ચાર્ટર ફ્લાઇટમાં સીધા બ્રિજટાઉનથી દિલ્હી પહોંચાડવાનું નક્કી થયું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના પૂરા કાફલામાં ફુલ 70 મેમ્બર છે.
ભારતીય ખેલાડીઓ ભારત આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે એવો અહેવાલ પણ હતો.