સૂર્યકુમારે જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી, પોસ્ટમાં ચાહકોને સંદેશ આપ્યો કે…

નવી દિલ્હીઃ ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (SURYAKUMAR Yadav) જર્મનીના મ્યૂનિક શહેરમાં સ્પોર્ટ્સ હર્નિયા (Sports Hermia)નું ઑપરેશન કરાવ્યું છે. તેનું આ ઑપરેશન સફળ રહ્યું છે અને પોતાની તબિયત સારી હોવાનો સંદેશ તેણે સોશિયલ મીડિયામાં ચાહકોને આપ્યો છે.
સ્પોર્ટ્સ હર્નિયા પેડુના નીચલા ભાગમાં થાય છે. પેડુમાં આ તકલીફ મોટા ભાગે ઍથ્લીટો અને સ્પોર્ટ્સ પર્સન્સને થતી હોવાથી એ સ્પોર્ટ્સ હર્નિયા તરીકે વધુ ઓળખાય છે. એમાં દર્દીને પેડુ (abdomen)ના સ્નાયુઓ અને માંસપેશીમાં અસહ્ય દુખાવો થાય છે.
આપણ વાંચો: સૂર્યકુમાર યાદવે કોલકાતા પહોંચીને કઈ મનપસંદ ચીજ ખાધી?
સૂર્યકુમારે પેડુના જમણા ભાગમાં હર્ણિયા (સારણગાંઠ)ની સર્જરી કરાવવાનો નિર્ણય મીડિયામાં વ્યક્ત કર્યો હતો. તેણે સર્જરી બાદ મીડિયાના હૅન્ડલ પરની પોસ્ટમાં લખ્યું, ` આ સર્જરી ખૂબ જ સરસ રહી. મને કોઈ જ દુખાવો ન થયો અને હવે તો હું રિકવર પણ થવા લાગ્યો છું. ક્યારે મેદાન પર પાછો ઊતરું એની રાહ જોઈ રહ્યો છું.’
મુંબઈમાં રહેતો સૂર્યકુમાર જર્મનીમાં સર્જરી કરાવ્યા પછી સ્વદેશ પાછો આવશે ત્યારે બે અઠવાડિયા બેંગલૂરુમાં રિહૅબિલિટેશન (rehabilitation) માટે બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સમાં વીતાવશે અને જ્યાં ઑપરેશન પછીની રિકવરીની સારવાર શરૂ થશે.
મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ભારતની હવે પછીની સિરીઝ ઑગસ્ટમાં છે જેમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. ત્યાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમાશે.