ગિલ કદાચ વન-ડે સિરીઝમાં પણ નહીં રમે, કૅપ્ટન્સી માટે બોલાય છે આ બે નામ

ગુવાહાટીઃ ટેસ્ટ અને વન-ડેનો કૅપ્ટન શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટમાં નથી રમ્યો અને હવે તે આવતા રવિવારે (30મી નવેમ્બરે) આ જ હરીફ દેશ સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે (ODI) સિરીઝમાં પણ નહીં રમે એવી પાક્કી સંભાવના છે, કારણકે ગરદનની ઈજા ગંભીર હોવાથી તેણે વધુ આરામ કરવો પડશે. તેની આ ઇન્જરી ગરદન પૂરતી સીમિત નથી એવું લાગતાં ડૉક્ટરે તેને વધુ રેસ્ટ લેવાની સલાહ આપી છે.
ગુવાહાટીની વર્તમાન ટેસ્ટમાં રિષભ પંત સુકાન સંભાળી રહ્યો છે અને તેણે દેશના 38મા ટેસ્ટ-કૅપ્ટન બનવાની સિદ્ધિ પણ મેળવી છે, પરંતુ વન-ડે શ્રેણીમાં ગિલની ગેરહાજરીમાં કાર્યવાહક સુકાની તરીકે પંતની સાથે કે. એલ. રાહુલનું નામ પણ ચર્ચામાં છે.
આ પણ વાંચો : શુભમન ગિલને ગળામાં થયેલી ઈજા ગંભીર! પહેલી ટેસ્ટમાંથી બહાર, બીજીમાં રમવું પણ મુશ્કેલ!
ઉલ્લેખનીય છે કે પીઢ ખેલાડી રોહિત શર્મા પણ વન-ડે સિરીઝમાં રમશે એટલે તેને સુકાન સોંપાશે કે કેમ (અને સોંપાશે તો એ સ્વીકારવા તે રાજી થશે કે કેમ) એ જોવું રહ્યું.
ગિલ (Gill) હાલમાં મુંબઈમાં સારવાર હેઠળ છે. ડૉક્ટરે તેને કેટલાક પ્રકારના ચેક-અપ અને મેડિકલ ટેસ્ટ કરાવવા કહ્યું છે. એમાં એમઆરઆઇ (મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ)નો પણ સમાવેશ છે. આ તમામ પ્રકારના પરીક્ષણ પરથી બીસીસીઆઇના ડૉક્ટર નક્કી કરશે કે ગિલને ગરદનમાં માત્ર સ્નાયુઓમાં જ દુખાવો છે કે તેને નર્વ ટિસ્યૂની પણ સમસ્યા નડી રહી છે. જો એવું હશે તો તેણે વધુ સમય આરામ કરવો પડશે. સિલેક્ટરોને આશા છે કે ગિલ વન-ડે શ્રેણી પછીની ટી-20 સિરીઝ પહેલાં ફિટ થઈ જશે.



