ગિલને જયપુરમાં રાત્રે એવું તે શું થઈ ગયું કે સવારે રમ્યો જ નહીં?

જયપુરઃ ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમનો કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill) હજી માંડ ગરદનની અને પગના અંગૂઠાની ઈજામાંથી મુક્ત થયો છે ત્યાં તેને એક નાની બીમારી નડી જેને લીધે તે શનિવારે સવારે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટની સિક્કિમ સામેની મૅચમાં નહોતો રમી શક્યો. તે આ મૅચમાં પંજાબ (Punjab) વતી રમવાનો હતો, પણ હવે તેની તબિયત સારી છે અને છઠ્ઠી જાન્યુઆરીએ ગોવા સામેની મૅચમાં તે રમશે.
બન્યું એવું કે ગિલ શુક્રવારે બપોરે જયપુર આવી પહોંચ્યો હતો. તે શનિવારે સિક્કિમ સામેની મૅચમાં રમવાનો જ હતો, પરંતુ ખોરાકી ઝેરની અસર (Food Poisioning)ને કારણે તેની તબિયત બગડી ગઈ હતી.

ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી
શુક્રવારે રાત્રે ખોરાકી ઝેરની અસરને કારણે ગિલ બીમાર પડી ગયો હતો. ગિલને શનિવાર સવારની મૅચમાં રમવું હતું, પણ ડૉક્ટરે તેમ જ પંજાબની ટીમના મૅનેજમેન્ટ (કૅપ્ટન પ્રભસિમરન સિંહ તથા કોચ અને ટીમના અન્ય વરિષ્ઠ ખેલાડીઓ)એ ગિલને આરામ કરવાની સલાહ આપી હતી.
11મી જાન્યુઆરીએ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝ માટે શનિવારે જાહેર કરવામાં આવેલી ટીમનું સુકાન ગિલને સોંપાયું છે. સલાહ મળ્યા બાદ ખુદ ગિલે આ શ્રેણીને ધ્યાનમાં રાખીને જયપુરની મૅચમાં ન રમવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો…શુભમન ગિલ વિશે ગુજરાત ટાઇટન્સે મોટું નિવેદન આપ્યું…
ગિલ વિના પણ પંજાબ જીત્યું
જોકે ગિલની ગેરહાજરી પંજાબને નડી નહોતી, કારણકે પંજાબે સિક્કિમને 262 બૉલ બાકી રાખીને 10 વિકેટે હરાવી દીધું હતું. ખાસ કરીને અર્શદીપ સિંહની પાંચ વિકેટને કારણે સિક્કિમની ટીમ 75 રનમાં આઉટ થઈ હતી અને કૅપ્ટન પ્રભસિમરન સિંહ (53 અણનમ, 26 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) તથા હરનૂર સિંહ (22 અણનમ, 13 બૉલ, ચાર ફોર)ની જોડીએ માત્ર 6.2 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 81 રન કરીને પંજાબને વિજય અપાવ્યો હતો.



