`મને ડર છે, બુમરાહે એક દિવસમાં 50 ઓવર બોલિંગ ન કરવી પડે તો સારું…’ શોએબ અખ્તરે સિલસિલાબંધ ટકોર કરી

કરાચીઃ લીડ્સ (LEEDS)માં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો પાંચ વિકેટથી પરાજય થયો, પણ એ મૅચના પહેલા દાવમાં પાંચ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH) વિશે પાકિસ્તાનના એક સમયના ફાસ્ટેસ્ટ બોલર શોએબ અખ્તરે (SHOAIB AKHTAR) કેટલાક મહત્ત્વના નિવેદનો કર્યા છે અને તેના વર્કલૉડ મૅનેજમેન્ટ (WORKLOAD MANAGEMENT)ની બાબતમાં અમુક ટકોર પણ કરી છે. આખી મૅચમાં ભારતે કુલ 835 રન અને ઇંગ્લૅન્ડે 838 રન કર્યા હતા અને કુલ મળીને 1,673 રનવાળી આ ટેસ્ટમાં એકમાત્ર બુમરાહની બોલિંગ સૌથી કપરા સમયની અને સૌથી વધુ અસરદાર હતી.
રાવલપિંડી એક્સપ્રેસ’ તરીકે જાણીતા શોએબ અખ્તરે એક મુલાકાતમાં બુમરાહને દુનિયાના સૌથી કર્તવ્યનિષ્ઠ બોલર તરીકે ઓળખાવતા કહ્યું છે, જે ટેસ્ટમાં 1600-પ્લસ રન બન્યા એમાં બુમરાહે કમાલની બોલિંગ કરી. તેની સામે બાકીના તમામ બોલર ઍવરેજ બોલર લાગતા હતા. પહેલા દાવમાં બુમરાહે 24 ઓવર બોલિંગ કરી જેમાં તેણે 83 રનના ખર્ચે પાંચ વિકેટ લીધી હતી. જરા વિચારો, બુમરાહે પીઠની સમસ્યા છતાં એક ઇનિંગ્સમાં 24 ઓવર બોલિંગ કરી અને પાંચ વિકેટ લીધી. તેણે શાનદાર બોલિંગ કરી. રિયલી રિયલી ગુડ. એક દાવમાં 24 ઓવર બોલિંગ કરવી આસાન કામ નથી અને એમાં પણ પાંચ વિકેટનો તરખાટ મચાવવો. કપરા કાળમાં અને શારીરિક સમસ્યા છતાં આવી બોલિંગ કરવા માટે શક્તિ જોઈએ. આ કોઈ જેવીતેવી વાત નથી.’
ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર બુમરાહને વર્તમાન ક્રિકેટના સૌથી ઑનેસ્ટ બોલર તરીકે ઓળખાવતા શોએબ અખ્તરે કહ્યું, આ બોલર પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવાની બાબતમાં ઑનેસ્ટ છે. તે જવાબદારી ઉપાડી લે છે અને પર્ફોર્મ કરીને બતાવે છે. લીડ્સની ટેસ્ટમાં બુમરાહને છોડીને બીજો કોઈ બોલર પ્રભાવ નહોતો પાડી શક્યો. એકંદરે બુમરાહને બાદ કરતા બાકીનું બોલિંગ-સ્તર ઊતરતી કક્ષાનું હતું. આ ટેસ્ટ મૅચ હતી અને એમાં દુનિયાની બે ટોચની ટીમ રમી રહી હતી અને એમાં બોલર્સનો નબળો પર્ફોર્મન્સ જોઈને મને ખૂબ દુઃખ થયું.’ ભારતના બે દાવમાં કુલ પાંચ સેન્ચુરી થઈ છતાં ભારતે પરાજય જોવો પડ્યો જે નવો અણગમતો વિક્રમ છે. બ્રિટિશ ઓપનર બેન ટકેટ (62 રન અને 149 રન)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. શોએબે ખાસ કરીને બુમરાહ (પહેલા દાવમાં 24.4-5-83-5 અને બીજા દાવમાં 19-3-57-0))ના વર્કલૉડ મૅનેજમેન્ટના મુદ્દે સવાલ ઉઠાવતાં કહ્યું, શું આને વર્કલૉડ મૅનેજમેન્ટ કહેવાય? બુમરાહે એક ઇનિંગ્સમાં 24 ઓવર બોલિંગ કરવી પડી. વર્કલૉડ મૅનેજમેન્ટ એને કહેવાય જેમાં સામા છેડેથી પણ એક કે બે બોલર હરીફ બૅટ્સમેનો પર માનસિક દબાણ ચાલુ રાખે. ભારત પાસે સિરાજ અને શાર્દુલ પણ હતા, પરંતુ એવો બીજો એક બોલર પણ ટીમમાં હોવો જોઈએ જેનામાં મૅચ જિતાડવાની તાકાત હોય. બુમરાહનું વર્કલૉડ મૅનેજ કરવું છે તો તેની સાથે બીજા બે અસરદાર બોલર પણ રાખો. બુમરાહ પાસે એક દિવસમાં વધુમાં વધુ કેટલી ઓવર બોલિંગ કરાવવાની છે એ પણ નક્કી હોવું જોઈએ. તમારે બુમરાહને કહી દેવું જોઈએ કે જો જસ્સી, તારે એક દિવસમાં વધુમાં વધુ 16 ઓવર બોલિંગ કરવાની છે. એનાથી વધુ નહીં. એને જ વર્કલૉડ મૅનેજમેન્ટ કહેવાય. લીડ્સ જેવું જ ચાલુ રહેશે તો થઈ રહ્યું વર્કલૉડ મૅનેજમેન્ટ. મને તો ડર છે કે એક દિવસ બુમરાહ પાસે ક્યાંક 50 ઓવર બોલિંગ ન કરાવાય તો સારું.’
આપણ વાંચો આ વખતની વિમ્બલ્ડનના ટેનિસ કપલ કોણ છે, જાણો છો?
ઉલ્લેખનીય છે કે બુમરાહે આ સિરીઝમાં તમામ પાંચ ટેસ્ટ નહીં રમવાનું અને કુલ ફક્ત ત્રણ ટેસ્ટ રમવાનું જ જે નક્કી કર્યું છે એના ભાગરૂપે તે બુધવાર, બીજી જુલાઈએ શરૂ થનારી બીજી ટેસ્ટમાં કદાચ નહીં રમે. તેના સ્થાને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ઇલેવનમાં કદાચ સમાવવામાં આવશે. એ ટેસ્ટ એજબૅસ્ટનમાં રમાશે જ્યાં ભારત અત્યાર સુધીમાં એક પણ ટેસ્ટ નથી જીતી શક્યું.