સચિન તેન્ડુલકરે કરી આ વિનંતી, ભારત અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ તરત સંમત થઈ ગયા

નવી દિલ્હીઃ દાયકાઓથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝ પટૌડી ટ્રોફી’ના નામે રમાતી હતી, પરંતુ તાજેતરમાં ટ્રોફી પરથી પટૌડી નામ હટાવીને હવે પછી બન્ને દેશ વચ્ચેની શ્રેણીનેઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી’ નામ આપવાનું નક્કી થઈ જતાં ઘણાને નવાઈ લાગી હતી તેમ જ આંચકો પણ લાગ્યો હતો અને આ નિર્ણયની ટીકા પણ થઈ હતી. જોકે ખુદ સચિન તેન્ડુલકરે (SACHIN TENDULKAR) પટૌડી નામની પરંપરા આ સિરીઝ સાથે જાળવી રાખવાની વિનંતી ભારતના ક્રિકેટ બોર્ડ (BCCI) તથા ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ (ECB)ને થોડા દિવસ પહેલાં કરી હતી જે માન્ય રાખવામાં આવી હોવાનું મનાય છે.
પટૌડી ટ્રોફી નામ ભૂતપૂર્વ કૅપ્ટનો ઇફ્તિખાર અલી ખાન પટૌડી તથા ‘ ટાઇગર પટૌડી તરીકે ઓળખાતા તેમના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ઇફ્તિખાર અલી ખાન પટૌડી 1932થી 1946 દરમ્યાન ત્રણ ટેસ્ટ ઇંગ્લૅન્ડ વતી અને ત્રણ ટેસ્ટ ભારત વતી રમ્યા હતા. તેમના પુત્ર મન્સૂર અલી ખાન (એમએકે) પટૌડી ભારતના મહાન કૅપ્ટન હતા.
એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ ઇસીબી હવે ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ માટેના મેડલને પટૌડી નામ આપશે. આઇસીસીના ચૅરમૅન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહની પણ ટ્રોફીના નામ સંબંધમાં થયેલા આ સકારાત્મક ફેરફારમાં મહત્ત્વની ભૂમિકા રહી છે.
ઇસીબીના એક અધિકારીએ વેબસાઇટને એવું કહ્યું હોવાનું મનાય છે કે ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝ સાથે પટૌડીનું નામ કોઈને કોઈ રીતે જોડાયેલું રાખવાનું નક્કી કરાયું છે. એવું મનાય છે કે હવે પછી સિરીઝના વિજયી કૅપ્ટનને એમએકે પટૌડી નામનું મેડલ અપાશે.’ દરમ્યાન શનિવાર, 14મી જૂને લૉર્ડ્સમાં પૂરી થયેલી સાઉથ આફ્રિકા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ વખતે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી’ના નામકરણને લગતો કાર્યક્રમ રાખવાનું નક્કી કરાયું હતું, પરંતુ અમદાવાદમાં પ્લેન-ક્રૅશની જે હૃદયદ્રાવક કરુણાંતિકા બની એને ધ્યાનમાં લઈને ટ્રોફીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ભારતનાં આર્યા-અર્જુનની `ગોલ્ડન જોડી’ ચીનના ઑલિમ્પિક-વર્લ્ડ ચૅમ્પિયનોને ભારે પડી