કૅચ છોડનાર યશસ્વી, જાડેજાને સચિનની ટકોર, ‘ બુમરાહને નવ વિકેટ ન મળી શકી’
ખુદ બુમરાહે પણ નારાજગી બતાવી

લીડ્સ: જસપ્રીત બુમરાહ (24.4-5-83-5)ના પાંચ વિકેટના તરખાટને કારણે રવિવારે ભારત સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ સરસાઈ નહોતી મેળવી શકી જેને પગલે સોશિયલ મીડિયામાં સચિન તેંડુલકરે બુમરાહના ખૂબ વખાણ કર્યા હતા, પરંતુ તેણે યશસ્વી જયસ્વાલ અને રવીન્દ્ર જાડેજા વિશે આડકતરી ટકોર પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ સિરીઝ એન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના નામે રમાઈ રહી છે એટલે સચિનની પ્રતિક્રિયા આવે એ સ્વાભાવિક છે.
યશસ્વી (Yashasvi Jaiswal) અને જાડેજા (Ravindra Jadeja)એ કૅચ છોડ્યા એને લીધે બુમરાહ (JASPREET Bumrah)ને પાંચ કરતાં વધુ વિકેટ નહોતી મળી શકી. બુમરાહની બોલિંગમાં કુલ મળીને ચાર કૅચ છૂટ્યા (catches dropped) હતા.
મીડિયાની પોસ્ટમાં સચિનનું કહેવું એમ હતું કે કૅચ છૂટ્યા એને લીધે બુમરાહને કુલ નવ વિકેટ નહોતી લેવા મળી.
સચિને બુમરાહને સોશિયલ મીડિયામાં આપેલા અભિનંદનવાળી પોસ્ટમાં છૂટેલા કૅચનો ઉલ્લેખ કર્યો છે. સચિને પોસ્ટમાં લખ્યું કે ‘ બુમરાહ, તને અભિનંદન. તને એક નો-બૉલને કારણે વિકેટ ન મળી શકી અને તારી બોલિંગમાં કૅચ પણ છૂટ્યા. આને કારણે તારી અને તારી નવ વિકેટ વચ્ચે અંતર રહી ગયું.’
હૅરી બ્રુક આઉટ પછી નોટ આઉટ
શનિવારે બુમરાહના એક બૉલમાં હૅરી બ્રુક ઇનિંગ્સની શરૂઆતમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ બુમરાહનો એ નો-બૉલ હતો જેને લીધે હૅરી બ્રુકને જીવતદાન મળ્યું હતું. ત્યાર પછી તેને કૅચ છૂટવાને કારણે વધુ જીવતદાનો મળ્યા હતા. જોકે તે 99 રનના પોતાના સ્કોર પર પ્રસિધ્ધ ક્રિષ્નાના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
સિરાજ-ક્રિષ્ના ભારતીય ટેસ્ટ ક્રિકેટની બૅડ બૂકમાં
ઇંગ્લૅન્ડના પહેલા દાવમાં રવિવારે પ્રસિદ્ધ ક્રિષ્ના (20-0-128-3) અને મોહમ્મદ સિરાજ (27-0-122-2)ની બોલિંગમાં કુલ 250 જેટલા રન બન્યા હતા. કોઈ એક જ ટેસ્ટ ઇનિંગ્સમાં ભારતના કોઈ બે પેસ બોલરની બોલિંગમાં 120 કરતાં વધુ રન બન્યા હોય એવું છેલ્લા દસ વર્ષમાં (2015 પછી) પહેલી વાર બન્યું છે. રવિવારે જાડેજા અને શાર્દુલને વિકેટ નહોતી મળી.
બુમરાહે શું નિવેદન આપ્યું
ખુદ બુમરાહ પોતાની બોલિંગમાં કૅચ છૂટવાના બનાવોને કારણે નારાજ હતો. તેણે રવિવારની રમત પછી જણાવ્યું હતું કે ‘ અમારા ઘણા બોલર પહેલી વાર અહીં ઇંગ્લૅન્ડમાં રમી રહ્યા છે. અમને ભારતમાં સપાટ પિચ પર રમવાની આદત છે, જયારે અહીંની પિચ ઘણી અલગ અને વિચિત્ર ઉછાળ અપાવનારી છે. જોકે મને ક્રિકેટ રમવી ખૂબ ગમે છે અને હું હંમેશાં ખુશ મિજાજમાં રમતો હોઉં છું એટલે ક્યારેક હસતો પણ દેખાઉં છું. કૅચ છૂટ્યા એ વિશે કહું તો ક્યારેય કોઈ ફીલ્ડર જાણી જોઈને કૅચ ન છોડે. અહીં ઠંડીમાં વાતાવરણ ઘણું અલગ છે એટલે ક્યારેક તત્કાળ બૉલ જોવામાં મુશ્કેલી પડતી હોય છે. જોકે કેટલીક બાબતો રમતનો હિસ્સો હોય છે એવું હું માનું છું. હું મારા પર કે મારી ભાવિ બોલિંગ પર ખરાબ અસર નથી પડવા દેવા માગતો એટલે હું બધું ભૂલી જઈને આગળ વધવામાં માનું છું.’
આ પણ વાંચો…..હૅરી બ્રૂકની બે જીવતદાન બાદ વળતી લડત, જૅમી સ્મિથનો કૅચ પકડવામાં જાડેજા-સુદર્શનનું ટીમ-વર્ક