Robin Uthappa Reacts to Arrest Warrant News

ધરપકડનું વૉરન્ટ બહાર પડ્યા પછી રૉબિન ઉથપ્પાએ મહત્ત્વનું નિવેદન બહાર પાડ્યું…

બેન્ગલૂરુઃ એમ્પ્લોઇઝ પ્રૉવિડન્ટ ફંડ (ઇપીએફ) સંબંધમાં થયેલી 23.36 લાખ રૂપિયાની છેતરપિંડીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રૉબિન ઉથપ્પાની ભૂમિકા હોવાના આક્ષેપને પગલે ઉથપ્પાની ધરપકડનું વૉરન્ટ બહાર પડ્યું હોવાના સમાચાર બહાર આવ્યા બાદ ઉથપ્પાએ ખુલાસો બહાર પાડ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તે તપાસ હેઠળની કંપનીઓમાં માત્ર ડિરેકટર હતો અને કંપની સાથેનો તેનો વ્યવહાર ખૂબ મર્યાદિત હતો.

Instagram

આ પણ વાંચો : ભારતીય ટીમના આ પૂર્વ બેટ્સમેન સામે અરેસ્ટ વોરંટ જાહેર, આ મામલે નોંધાયો કેસ

ઉથપ્પાના જણાવ્યા મુજબ સ્ટ્રૉબેરી લેન્સરિયા પ્રા. લિ., સેન્ટૉરસ લાઇફસ્ટાઇલ બૅ્રન્ડ્સ પ્રા. લિ. તથા બેરીઝ ફૅશન હાઉસ નામની કંપનીઓના કામકાજમાં એક્ઝિક્યૂટિવ તરીકેનો પોતાનો રોલ નહોતો, પોતે એમાં લોન આપી હોવાથી ફક્ત ડિરેકટર તરીકેની જ તેની એ કંપનીઓમાં ભૂમિકા હતી અને આ કંપનીઓના રોજબરોજના કામકાજ સાથે પોતાને કંઈ જ લેવાદેવા નહોતું. પોતે પ્રોફેશનલ ક્રિકેટર હોવા ઉપરાંત ટીવી-પ્રેઝન્ટર પણ છે અને કૉમેન્ટરી પણ આપે છે એટલે કંપનીના કામકાજમાં પોતે સમય આપી શકશે નહીં એવું તેણે આ કંપનીઓને પહેલાં જ જણાવી દીધું હતું.

ઉથપ્પાએ એવી પણ ચોખવટ કરી છે કે ઊલટાનું આ કંપનીએ તેને લોન ભરપાઈ નથી કરી જેને કારણે તેણે કાનૂની પગલાં ભરવા પડ્યા છે.

ઉથપ્પાએ પીએફ વિભાગના અધિકારીઓને કંપનીઓ સાથેના પોતાના મર્યાદિત સંબંધોને લગતા દસ્તાવેજો પૂરા પાડ્યા છે.
ઉથપ્પાએ મીડિયાને વિનંતી કરી છે કે હકીકતો જાણ્યા વિના સનસનાટીભરી ખબર પ્રગટ કરવાનું ટાળજો.

આ પણ વાંચો : Ravindra Jadeja ની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો, ઓસ્ટ્રેલિયન પત્રકારોએ નારાજગી વ્યક્ત કરી

ઉથપ્પા 39 વર્ષનો છે. તે 2006થી 2015 દરમ્યાન ભારત વતી 46 વન-ડે અને 13 ટી-20 રમ્યો હતો જેમાં તેણે કુલ 1,100 જેટલા રન બનાવ્યા હતા. તેણે રણજી ટ્રોફી સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 9,446 રન અને આઇપીએલ સહિતની ટી-20 મૅચોમાં 7,272 રન બનાવ્યા હતા.

Back to top button