રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનાં સનસનાટીભર્યા આક્ષેપ સાથે સહમત છો?

`બાપુ’ તરીકે ઓળખાતા ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા (Rivaba)એ જાહેરમાં ભારતના ક્રિકેટરો વિશે સનસનાટીભર્યો આક્ષેપ કરીને નવો વિવાદ સરજ્યો છે. સામાન્ય રીતે કોઈ ખેલાડી પણ આવો આક્ષેપ ન કરે, પણ જ્યારે કોઈ ફેમસ ક્રિકેટરના પત્ની આવા ગંભીર આક્ષેપનું તીર છોડે ત્યારે કોઈને પણ આંચકો લાગે જ.
આપણે સૌથી પહેલાં તો જાણી લઈએ કે ભાજપના જામનગરના વિધાનસભ્ય અને ગુજરાતના પ્રધાન રિવાબા જાડેજા (Jadeja)નું શું કહેવું છે. તેમણે સનસનાટીભર્યા નિવેદનોમાં કહ્યું છે કે ` મારા પતિ (રવીન્દ્ર જાડેજાએ) રમવા માટે લંડન, દુબઈ જેવા શહેરો તથા ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં જવું પડતું હોય છે, પરંતુ આજ સુધી તેમણે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કર્યું, કારણકે તેઓ પોતાની જવાબદારી સમજે છે.
તેમણે હંમેશાં શિસ્તબદ્ધ લાઇફસ્ટાઇલ જાળવી રાખી છે અને પોતાના મૂલ્યોને તેઓ વળગી રહ્યા છે. જોકે આપણા કેટલાક ક્રિકેટરો વિદેશ (overseas)માં જઈને ખોટા કામો કરતા હોય છે, ખોટા વ્યસને ચડી જતા હોય છે અને તેઓ બધા પર તેમના પરિવારના કોઈ નિયંત્રણો પણ નથી હોતા.’
પ્રખ્યાત ક્રિકેટરનાં પ્રધાન સ્તરના પત્ની આવું બોલે એ શૉકિંગ તો કહેવાય જ, પરંતુ તેમની વાત વિચારવા જેવી પણ છે. શું કહો છો તમે? તમે રિવાબા જાડેજાના મંતવ્યો સાથે સંમત છો? શું ભારતીય ક્રિકેટરોની વિદેશોમાં આવી છાપ હશે? કોઈક કહે છે કે આઇપીએલમાં કરોડો રૂપિયા કમાતા અમુક ખેલાડીઓને વ્યસન તરફ વળતા વાર નથી લાગતી. તમે સહમત છો?



