સ્પોર્ટસ

બેંગલૂરુ સ્ટેડિયમની દુર્ઘટનાઃ કર્ણાટક ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખે મિયાંદાદ, મુદસ્સર, લૉઇડની વિકેટ લીધી હતી એ જાણો છો?

બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ મંગળવારે આઇપીએલના 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું, પરંતુ બુધવારે બેંગલૂરુના જ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક જમા થયેલા લાખો લોકોની સુરક્ષાની અવ્યવસ્થાને કારણે જે અરાજકતા ફેલાઈ તેમ જ લોકોમાં નાસભાગ અને ધક્કામુક્કી થઈ એ દુર્ઘટના સાથે સંકળાયેલા કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન (KSCA)ના પ્રમુખ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ પ્રેસિડન્ટ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડી છે તેમ જ એક સમયે ડોમેસ્ટિક ક્રિકેટમાં દક્ષિણ ભારત વતી રમનાર ટોચના સ્પિનર્સમાં તેમનું નામ લેવાતું હતું.

લેફ્ટ-આર્મ સ્પિનર રઘુરામ ભટ (RAGHURAM BHAT) કેએસસીએસના વર્તમાન પ્રમુખ છે. તેઓ 67 વર્ષના છે. ભારત વતી તેઓ 1983માં (ભારત વન-ડેનો વર્લ્ડ કપ જીત્યું એના ચાર મહિના પછી) બે ટેસ્ટ રમ્યા હતા. ઑક્ટોબર, 1983માં પહેલાં તેમને પાકિસ્તાન સામે એક ટેસ્ટ અને પછી એ જ મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ સામે એક ટેસ્ટ રમવા મળી હતી. ત્યાર પછી તેમને ભારત વતી ફરી રમવાનો ક્યારેય મોકો નહોતો મળ્યો.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેએસસીએના સેક્રેટરી એ. શંકર અને ખજાનચી ઈએસ જયરામે પ્રમુખ રઘુરામ ભટને રાજીનામાનો પત્ર સોંપ્યો હતો.

આ પણ વાંચો: બેંગલૂરુની દુર્ઘટનાના કિસ્સામાં વિરાટ કોહલી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ…

પ્રથમ વિકેટમાં મિયાંદાદને જાળમાં ફસાવ્યો

સ્પિનર (Spinner) રઘુરામ ભટની ક્રિકેટ-કરીઅરની વાત ફરી કરીએ તો 1983ની પાંચમી ઑક્ટોબરે નાગપુરમાં શરૂ થયેલી પાકિસ્તાન સામેની ટેસ્ટમાં રઘુરામ ભટે જાવેદ મિયાંદાદ (60 રન)ને એલબીડબ્લ્યૂ કર્યો હતો. મિયાંદાદ ત્યારે ટેસ્ટમાં રઘુરામ ભટનો પ્રથમ શિકાર બન્યો હતો. ત્યાર બાદ રઘુરામે મુદસ્સર નઝર (78 રન)ને વિકેટકીપર સૈયદ કિરમાણીના હાથે સ્ટમ્પ-આઉટ કરાવ્યો હતો. ઝહીર અબ્બાસ ત્યારે પાકિસ્તાનનો કૅપ્ટન હતો, જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓમાં કૅપ્ટન કપિલ દેવ, સુનીલ ગાવસકર, અંશુમાન ગાયકવાડ, દિલીપ વેન્ગસરકર, યશપાલ શર્મા, સંદીપ પાટીલ, રવિ શાસ્ત્રી, સૈયદ કિરમાણી, કીર્તિ આઝાદ અને મદન લાલ હતા. પાકિસ્તાન સામેની એ ટેસ્ટ ડ્રૉ થવાની સાથે સિરીઝ 0-0થી ડ્રૉમાં ગઈ હતી.

એક જ ઓવરમાં લૉઇડ-લૉગીની વિકેટ

1983ના ઑક્ટોબરમાં ક્લાઇવ લૉઇડના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને એમાં કાનપુરની પ્રથમ ટેસ્ટમાં રમવાનો મોકો રઘુરામ ભટને મળ્યો હતો. રઘુરામે કૅપ્ટન લૉઇડ (23 રન)ને કિરમાણીના હાથમાં કૅચઆઉટ કરાવ્યા બાદ ગસ લૉગી (0)ને એલબીડબ્લ્યૂ કર્યા હતા. રઘુરામે લૉઇડ અને લૉગીની વિકેટ એક જ ઓવરમાં લીધી હતી. એ ઇનિંગ્સના ભારતીય બોલર્સ (કપિલ દેવ, મદન લાલ, રવિ શાસ્ત્રી, રોજર બિન્ની, અંશુમાન ગાયકવાડ અને મોહિન્દર અમરનાથ) ઉપરાંત સાતમા બોલર રઘુરામ ભટ હતા. ભારત એ ટેસ્ટ એક દાવથી હારી ગયું હતું અને કૅરિબિયનોએ છ મૅચની એ શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ત્યારે કૅરિબિયનોએ ભારત સામેની વર્લ્ડ કપની હારનો ગુસ્સો ભારતમાં ભારતને ઉપરાઉપરી શ્રેણીઓ હરાવીને ઠાલવ્યો હતો.

આ પણ વાંચો: બેંગલૂરુની દુર્ઘટના, રાજ્ય સરકાર હાથ ખંખેરી ના શકે

મુંબઈ સામે લીધી હૅટ-ટ્રિક

રઘુરામ ભટ કર્ણાટક વતી રણજી ટ્રોફી સહિત પ્રથમ કક્ષાની કુલ 82 મૅચ રમ્યા હતા જેમાં તેમણે કુલ 374 વિકેટ લીધી હતી. તેમણે 24 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી. એક દાયકા સુધી રઘુરામ ભટ કર્ણાટકના મુખ્ય સ્પિનર હતા. 1981માં બૉમ્બે સામેની રણજી સેમિ ફાઇનલમાં રઘુરામ ભટે બે દાવમાં કુલ 13 વિકેટ લીધી હતી. એમાંથી આઠ વિકેટ તેમણે પ્રથમ દાવમાં લીધી હતી જેમાં હૅટ-ટ્રિક પણ સામેલ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button