સ્પોર્ટસ

આઇસીસી પર પાકિસ્તાન ભડ્કયુંઃ ` વર્લ્ડ કપના પોસ્ટરમાં અમારા કૅપ્ટન સલમાન આગાને કેમ ન સમાવ્યો?’

નવી દિલ્હીઃ સપ્ટેમ્બરમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતની મેન્સ ટીમે એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ જીતી લીધી હોવા છતાં ભારતીય ટીમને ટ્રોફીથી વંચિત રાખનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવીએ નવો વિવાદ ઊભો કર્યો છે જેમાં તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા ટી-20ના વર્લ્ડ કપ માટે તમે જે પ્રમોશનલ પોસ્ટર બહાર પાડ્યું છે એમાં અમારા ટી-20 કૅપ્ટન સલમાન આગાને કેમ નથી સમાવ્યો?

પીટીઆઇના અહેવાલ અનુસાર પીસીબીના એક આધારભૂત સૂત્રએ એવું કહ્યું હતું કે ` પ્રમોશનલ પોસ્ટરમાં માત્ર પાંચ કૅપ્ટન (ભારતનો સૂર્યકુમાર યાદવ, સાઉથ આફ્રિકાનો એઇડન માર્કરમ, ઑસ્ટ્રેલિયાનો મિચલ માર્શ, શ્રીલંકાનો દાસુન શનાકા અને ઇંગ્લૅન્ડનો હૅરી બ્રૂક)ને સમાવવામાં આવ્યા છે. થોડા મહિના પહેલાં એશિયા કપ વખતે પણ અમારી સાથે આવું જ બન્યું હતું. ત્યારે બ્રૉડકાસ્ટર્સે અમારા કૅપ્ટનનો સમાવેશ કર્યા વગર ટૂર્નામેન્ટનું પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું. એ તો અમે ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે અમને ન્યાય મળ્યો હતો.’

આ પણ વાંચો: ભારત સામે કેમ ત્રણ-ત્રણ પછડાટ ખાવી પડી, બોલ? કૅપ્ટન સલમાન આગાને પાકિસ્તાન બોર્ડ સજા કરવાની પેરવીમાં…

પીસીબીએ એવું પણ જણાવ્યું છે કે ` આ વખતે અમે આઇસીસી સમક્ષ રજૂઆત કરી છે કે તમે વર્લ્ડ કપની ટિકિટોના વેચાણ માટે જે પોસ્ટર બહાર પાડ્યું છે એમાં અમારા કૅપ્ટન આગાને કેમ નથી સમાવ્યો?’

પીસીબીનું કહેવું છે કે ભલે, અમારી ટીમ ટી-20ના રૅન્કિંગ્સના ટૉપ-ફાઇવમાં નથી, પરંતુ આ ફૉર્મેટમાં અમારા દેશનો ઇતિહાસ ખૂબ સારો છે જ.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button