સ્પોર્ટસ

ભારત સામેની મૅચનો મુદ્દો અમારા કાબૂમાં નથી, અમારી સરકારનો એ નિર્ણય છેઃ પાકિસ્તાનનો કૅપ્ટન

કોલંબોઃ ગુરુવારે બપોરે એક તરફ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આગામી 15મી ફેબ્રુઆરીની ટી-20 વર્લ્ડ કપની મૅચમાં પાકિસ્તાન રમે કે ન રમે, પણ ભારતીય ટીમ એ મૅચ માટે (આઇસીસીના નિયમને અનુસરીને) કોલંબો જશે જ એવું દૃઢપણે કહ્યું ત્યાં બીજી તરફ બપોરે કોલંબોમાં પાકિસ્તાનની ટીમના કૅપ્ટન સલમાન અલી આગાએ પત્રકારોના કેટલાક સવાલોના જવાબ આપતી વખતે શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું અને એમાંના એક પત્રકારના સવાલના જવાબમાં સલમાને કહ્યું, ` ભારત સામેની મૅચને લગતા નિર્ણય પર અમારો કોઈ અંકુશ નથી, અમારી સરકારે એ નિર્ણય લીધો છે.’

પાકિસ્તાને (Pakistan) બાંગ્લાદેશની હકાલપટ્ટીના સપોર્ટમાં 15મીએ ભારત સામેની કોલંબો (Colombo)ની મૅચ ન રમવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાનની સરકારે આ આકરો નિર્ણય લીધો છે. જોકે પાકિસ્તાન વર્લ્ડ કપની બાકીની મૅચોમાં રમવાનું છે અને એની તમામ મૅચો કોલંબોમાં રમાવાની છે. વર્લ્ડ કપ શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે.

આપણ વાચો: 15મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો ભારતીય વિમેન્સ ટીમ સામે આ મૅચ રમશે કે નહીં?

અમે તો સરકાર કહે એમ કરીએઃ સલમાન

સલમાન આગાએ એવું પણ કહ્યું કે ` ભારત સામેની મૅચને લગતો નિર્ણય પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નો છે અને અમે એ નિર્ણયનું સન્માન કરીએ છીએ. તેઓ જે કહેશે એ પ્રમાણે અમે કરીશું.’

સેમિ ફાઇનલ કે ફાઇનલ વિશે સલમાને શું કહ્યું?

પાકિસ્તાને ભારત સામેની 15મીની લીગ મૅચમાં ન રમવાનો નિર્ણય લીધો છે, પરંતુ જો આ જ બે દેશ સેમિ ફાઇનલ કે ફાઇનલમાં સામસામે આવશે તો શું? એવા એક પત્રકારના સવાલના જવાબમાં કહ્યું, ` અમારે જો તેમની (ભારત) સામે સેમિ ફાઇનલમાં કે ફાઇનલમાં રમવાનું હશે તો ત્યારે પણ અમે સરકારનો અને પીસીબીનો સંપર્ક કરીશું અને તેઓ જેમ કહેશે એમ કરીશું.’.

આપણ વાચો: પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપમાં રમશે, પણ ભારત સામેની મૅચનો બહિષ્કાર કરશેઃ ફાઇનલમાં ભારત સામે આવશે તો શું?

અમેરિકા સામેની હાર વિશે પૂછાયું

2024ના ટી-20 વર્લ્ડ કપમાં અમેરિકા સામે પાકિસ્તાનનો પરાજય થયો હતો. એ પરાજયની યાદ અપાવીને સલમાન આગાને કોલંબોમાં એક પત્રકારે એક સવાલ પૂછ્યો ત્યારે તેણે કહ્યું, ` હા, ગયા વિશ્વ કપમાં અમે અમેરિકા સામે હારી ગયા હતા, પણ એ હવે ભૂતકાળની વાત છે. આ નવો વર્લ્ડ કપ છે, ટીમ નવી છે અને ટીમના કૉમ્બિનેશન પણ નવા છે. અમે આ વખતની ટૂર્નામેન્ટ માટે ખૂબ રોમાંચિત છીએ. કૅપ્ટન તરીકે આ મારો પહેલો વર્લ્ડ કપ છે અને અમે બધા ખૂબ એક્સાઇટેડ છીએ.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button