
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2023 વન-ડે વર્લ્ડ કપમાં ખૂબ જ ખરાબ હાલતમાં છે. ખરાબ પ્રદર્શનના કારણે સુકાની બાબર આઝમ સહિત આખી ટીમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો તેઓ શનિવારે 4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
પાકિસ્તાને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. જોકે, પ્રથમ બે મેચ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમ સતત ચાર મેચ હારી ગઇ છે. હવે પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન વચ્ચે કોચ મિકી આર્થરે ભારતની કડક સુરક્ષાને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું છે કે અમારા ખેલાડીઓ મુક્તપણે રમવા માટે ટેવાયેલા છે, પરંતુ અમે એટલી કડક સુરક્ષા વચ્ચે છીએ કે અમે એકબીજા સાથે અમારો નાસ્તો પણ કરી શકતા નથી.
મિકી આર્થરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા પ્રી-મેચ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘અમારા માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે અમે આટલી કડક સુરક્ષા વચ્ચે છીએ. મને આ પરિસ્થિતિ મુશ્કેલ લાગી રહી છે. એવું લાગે છે કે અમે પાછા કોવિડ સમયગાળામાં પ્રવેશી ગયા છીએ. અહીં અમે અમારા ગંતવ્ય સ્થાન અને અમારી હોટેલના રૂમ સુધી મર્યાદિત થઇ ગયા છીએ. એટલી કડક સુરક્ષા છે કે અમે લોકો નાસ્તો પણ એકલા કરીએ છીએ. અમે અમારા ખેલાડીઓ સાથે વધુ વાત પણ કરી શકતા નથી.
જોકે, ભારતની ટીકા કરવામાં કોચ મિકી આર્થર એકલા નથી. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે. આખી દુનિયા આ વાતથી વાકેફ છે. માત્ર પાકિસ્તાનના કેટલાક ખેલાડ઼ીઓએ વાત માનવા તૈયાર નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર હસન રઝા પણ ટીમ ઈન્ડિયાના સારા પ્રદર્શનને જોઈને ખુશ નથી.
તેણે આઈસીસી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ભારતીય ટીમને મેચ દરમિયાન અલગ પ્રકારનો બોલ આપવામાં આવે છે. હસન રજાએ મોહમ્મદ શમી અને સિરાજની બોલિંગ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, તેના આ નિવેદનની દરેક જગ્યાએ ટીકા થઈ હતી. વસીમ અકરમે પણ તેના નિવેદનથી ટીકા કરી હતી.
એમ લાગે છે કે ભારતીય ટીમના ઓવર ધ ટોપ પ્રદર્શનથી પાકિસ્તાનને હડહડતા મરચા લાગ્યા છે અને તેઓ તેમના ખરાબ પ્રદર્શનનો દોષનો ટોપલો ભારત પર ઢોળી દેવા માગે છે. લાગે છે કે પાકિસ્તાની ખેલાડીઓ પણ ડરમાં છે કે તેમના કંગાળ પ્રદર્શનને કારણે તેમને સેમી ફાઇનલમાં તો ઠીક પણ પાકિસ્તાનમાં પણ પરત આવવાની એન્ટ્રી નહીં મળે. લોકો તેમની એવી ધુલાઇ કરશે.