ટેસ્ટમાં અવગણાયેલો પ્લેયર ફરી મુંબઈનો કૅપ્ટન, પણ બે મૅચ-વિનિંગ બૅટર્સની ગેરહાજરી
![The player overlooked in Tests again captained Mumbai, but the absence of two match-winning batsmen](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/88877118-780x470.webp)
મુંબઈ : ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્ર્વર પુજારાની જેમ હવે તો ભૂતપૂર્વ સિરીઝ-વિનિંગ કૅપ્ટન અજિંક્ય રહાણેને પણ ટેસ્ટની ટીમમાંથી પોતાની બાદબાકી જોવાની જાણે આદત પડી ગઈ હશે. જુઓને, સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં આપણી ટીમ બૅટિંગમાં કેવી ફ્લૉપ ગઈ અને એક દાવથી આપણે હારી ગયા. હાસ્તો, એમાં પુજારા અને રહાણેની ખોટ જરૂર વર્તાઈ હતી. પુજારાની જેમ રહાણેએ કોણ જાણે ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલી પરીક્ષા પાસ કરીને ટેસ્ટ ટીમ માટેનો દાવો મજબૂત કરવો પડશે. મુંબઈએ આગામી રણજી સીઝન માટેની ટીમનું સુકાન ફરી રહાણેને સોંપ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં તેણે ગજબનું અપ-ડાઉન જોયું છે.
2022માં સાઉથ આફ્રિકા સામેની ટૂર પછી ટેસ્ટ ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો. એક વર્ષ સુધી તેને ટીમ ઇન્ડિયાથી દૂર રખાયો અને ડોમેસ્ટિક મૅચો તેમ જ આઇપીએલ-2023માંના સારા ફૉર્મને લીધે તેને જૂનની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં તેને ફરી ટીમમાં બોલાવાયો હતો જેમાં પ્રથમ દાવના તેના 89 રન ભારતના તમામ બૅટર્સમાં હાઇએસ્ટ હતા. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની ટીમમાં તે હતો, પણ એમાં સંતોષજનક ન રમ્યો હોવાથી ફરી પડતો મુકાયો હતો. મુંબઈ વતી ત્યાર પછી તે વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં સારું રમ્યો છે, પણ રણજીમાં તેનું ફૉર્મ કેવું રહે છે એ જોવું રહ્યું. આ તો રહાણેની વાત થઈ. પૃથ્વી શો ઈજાને લીધે સપ્ટેમ્બર મહિના પછી નથી રમી શક્યો એટલે તેને મુંબઈની પ્રારંભિક રણજી ટીમમાં નથી સમાવવામાં આવ્યો. સૂર્યકુમાર યાદવ પગની ઘૂંટીની ઇન્જરીને કારણે રણજી ટ્રોફીની શરૂઆતની ઘણી મૅચો નહીં રમી શકે.