![MS Dhoni big revelation retirement from IPL](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Jignesh-MS-2024-04-20T201310.066.jpg)
IPL 2024માં જ્યારથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની સફર અટકી ગઈ છે ત્યારથી આ સવાલે વેગ પકડ્યો છે કે શું ધોની આગળ રમશે કે નહીં? શું આ ધોનીની છેલ્લી IPL હતી ? શું હવે ધોની IPLમાં જોવા નહીં મળે? દરેક લોકો દ્વારા વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ધોની છેલ્લી સિઝન એટલે કે 2023માં ઘૂંટણની ઈજા સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. તેઓ ઘણી વખત મેચ દરમિયાન લંગડાતા પણ જોવા મળ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની મેચમાં હાર બાદ 42 વર્ષીય મહાન ક્રિકેટર IPL છોડીને રવિવારે સવારે પોતાના ઘરે જવા રવાના થનાર પ્રથમ ક્રિકેટર હતા. જોકે, CSK કેમ્પમાં એવી લાગણી છે કે શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)સામેની હાર કદાચ ધોનીની છેલ્લી હાર ન હોય.
હવે CSK સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
આ અધિકારીએ જણાવ્યું હતું કે ધોનીએ મેનેજમેન્ટ સાથે વાત કરી છે. ધોનીને એ વાતનું દુઃખ છે કે આ વખતે તેઓ IPL ટ્રોફી ઉપાડવાનું ચૂકી ગયા, પરંતુ જ્યાં સુધી IPLમાંથી ધોનીની નિવૃત્તિની વાત છે, તો તેમણે આ વિશે કશું કહ્યું નથી. CSK અધિકારીએ કહ્યું હતું કે ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લેવા અંગે કોઈ સંકેત આપ્યા નથી. તેમણે CSKમાં કોઈને કહ્યું નથી કે તેઓ IPL છોડી રહ્યા છે. CSKના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે મેનેજમેન્ટને ચોક્કસપણે કહ્યું હતું કે તેઓ બે મહિનાની રાહ જોયા બાદ જ આ મુદ્દે અંતિમ નિષ્કર્ષ પર પહોંચશે.
CSK મેનેજમેન્ટે ધોનીના નિર્ણયની રાહ જોવાનું નક્કી કર્યું છે. ધોની જે પણ નિર્ણય લેશે તે ટીમના હિતમાં જ હશે એમ તેમનું માનવું છે. IPL 2024માં CSKની સફર પૂરી થઇ ગઇ છે. CSK પાંચમાં સ્થાને રહ્યું છે. CSKઅને RCBના બંનેના 14-14 પોઈન્ટ હતા, પરંતુ બહેતર રન રેટના આધારે RCBને પ્લેઓફની ટિકિટ મળી છે.
ધોનીએ આઈપીએલ સફરમાં અત્યાર સુધી કુલ 264 મેચ રમી છે, જેમાં તેમણે 39.13ની એવરેજથી 5243 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીએ 24 અડધી સદી ફટકારી છે. જોકે, તેઓ અત્યાર સુધી સદી ફટકારી શક્યા નથી. ધોનીએ IPLમાં 252 સિક્સ અને 363 ફોર ફટકારી છે. તેમની કેપ્ટન્સીમાં તેણે ચેન્નાઈની ટીમને 5 વખત ખિતાબ જીતાડ્યો છે.