સ્પોર્ટસ

આઇસીસીએ નિયમ બદલ્યોઃ ક્રિકેટરને હવે માથામાં બૉલ વાગે તો…

પાવરપ્લેને લગતા નિયમમાં પણ મોટો ફેરફાર થયો

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શુક્રવારે તમામ ફૉર્મેટ માટેના કેટલાક નવા નિયમો (RULES) જાહેર કર્યા હતા જે મુજબ ખાસ બે ફેરફારો કરવામાં આવ્યા છે. એક, જો કોઈ ખેલાડીને રમતી વખતે માથામાં બૉલ વાગશે (આવી ઈજા કંકશન તરીકે ઓળખાય છે) તો તેણે ફરજિયાત ઓછામાં ઓછા સાત દિવસ સુધી મેદાનથી દૂર રહેવું પડશે. બીજું, પુરુષોની ટી-20માં જો કોઈ કારણસર ઓવરની સંખ્યા 20થી ઘટાડવામાં આવશે તો પાવરપ્લેની ઓવરની સંખ્યાની ગણતરી ઓવરને આધારે નહીં, પણ બૉલને આધારે કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો ઓવર 20થી ઘટાડીને 15 કરવામાં આવી હશે તો પાવરપ્લે (POWERPLAY)ની સંખ્યા ચાર કે પાંચ ઓવરને બદલે 4.3 રહેશે. બીજી રીતે કહીએ તો પાવરપ્લે 4.3 ઓવર સુધીનો રહેશે.

અત્યાર સુધી એવો નિયમ એવો છે જેમાં 20-20 ઓવરની મૅચમાં પહેલી છ ઓવર પાવરપ્લેની છે. હવે કુલ ઓવરની સંખ્યા ઘટાડવામાં આવશે તો પાવરપ્લેની ઓવરની સંખ્યાને લગતી ગણતરી નવા નિયમ મુજબ કરવામાં આવશે. આ નવો નિયમ આગામી જુલાઈ મહિનાથી (બીજી જુલાઈએ શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝથી) લાગુ પડશે. કંકશન (CONCUSSION)નો શિકાર થનાર ખેલાડી ઓછામાં ઓછા સાત દિવસ ફરજિયાત આરામ કરીને પછી જ પાછો રમવા આવી શકશે. દરેક ટીમે પ્રત્યેક મૅચ માટે એક એવા ખેલાડીનું નામ ટીમની યાદી સાથે આપવું પડશે જે મૅચ દરમ્યાન કંકશનનો શિકાર થનાર ખેલાડીને બદલે રમી શકશે.

BBC

અગાઉ એવું બનતું જેમાં યજમાન ટીમ કંકશનનો શિકાર થનાર પોતાના ખેલાડીના સ્થાને અનેક ખેલાડીઓના ગ્રૂપમાંથી એકને સિલેક્ટ કરીને તેને રમવા બોલાવતી હતી. જોકે હવે ટીમ દ્વારા મૅચની પહેલાં જે પ્લેયરનું કંકશનના રિપ્લેસમેન્ટ તરીકેનું નામ અપાયું હશે એ જ ખેલાડી રમી શકશે. બીજો એક નવો નિયમ એ છે કે હવેથી વાઇડ બૉલ નક્કી કરવા માટે બૉલ જ્યારે ફેંકવામાં આવ્યો હોય ત્યારે બૅટ્સમૅનના પગ કઈ પૉઝિશનમાં હતા એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. બીજું, વાઇડ બૉલ સંબંધમાં અમ્પાયર માટે માર્ગદર્શક બની રહે એ હેતુથી પ્રૉટેક્ટેડ એરિયા માર્કર લાઇન હવે પૉપિંગ ક્રીઝ (બૅટ્સમૅન માટેની ફૉર્વર્ડ લિમિટ) સુધી લંબાવવામાં આવશે.

પાવરપ્લે માટેની ઓવરની ગણતરી હવે નવી રીતે

ઇનિંગ્સની કુલ ઓવર પાવરપ્લેની ઓવર
206.0
195.4
185.2
175.1
164.5
154.3
144.1
133.5
123.4
113.2
103.0
92.4
82.2
72.1
61.5
51.3

નોંધઃ આ નવા ફેરફાર હમણાં માત્ર પુરુષોની ટી-20 ક્રિકેટ માટેના જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button