`તો કોહલી ટેસ્ટની નિવૃત્તિ પાછી ખેંચી લેશે…’: માઇકલ ક્લાર્ક કેમ આવું ખાતરીથી કહે છે?

નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક (Michael Clarke) દૃઢપણે માને છે કે જો ઇંગ્લૅન્ડમાં ભારતીય ટેસ્ટ ટીમ આગામી સિરીઝ 0-5થી હારી જશે અને ત્યાર બાદ જો વિરાટ કોહલી (Virat Kohli)ને ટેસ્ટની નિવૃત્તિ પાછી ખેંચી લેવાનો આગ્રહ કરવામાં આવશે તો તે જરૂર પાછી ખેંચી લેશે.
ક્લાર્કનું કહેવું છે કે કોહલીને ટેસ્ટ-ક્રિકેટ બેહદ પ્રિય હતી અને હજી પણ હશે એટલે જો ટીમ ઇન્ડિયાનો બ્રિટિશ ધરતી પર 0-5થી વાઇટ-વૉશ (White Wash) થશે અને જો કૅપ્ટન, ટીમ મૅનેજમેન્ટ તથા સિલેક્ટર્સ ખૂબ આગ્રહ કરશે તો કોહલી રિટાયરમેન્ટમાંથી બહાર આવીને ફરી ટેસ્ટ રમવા લાગશે.
તાજેતરમાં રોહિત શર્માએ ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યાર બાદ પાંચ જ દિવસ પછી કોહલીએ પણ ટેસ્ટની નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. કોહલીએ 123 ટેસ્ટમાં 30 સેન્ચુરી સહિત કુલ 9,230 રન કર્યા હતા. ક્લાર્કે શુક્રવારે એક પૉડકાસ્ટને આપેલી મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે `ટીમ ઇન્ડિયા ઇંગ્લૅન્ડમાં 0-5થી શ્રેણી હારી જશે તો કોહલીના ચાહકો જ માગણી કરશે કે તેણે ટેસ્ટનું રિટાયરમેન્ટ પાછું ખેંચીને ફરી રમવું જોઈએ. કોહલીના ટેસ્ટ પ્રત્યેના પૅશનની જે વાતો ભૂતકાળમાં તેણે કરી હતી એ ઘણાએ સાંભળી હશે અને તેમને યાદ પણ હશે. ફરી કોહલીની વાત કરું તો તેણે જ્યારે ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે હું ચોંકી ગયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ ચૅમ્પિયન બૅટસમૅનની ખોટ ખૂબ વર્તાશે.’

રોહિતની કૅપ્ટન્સી પર ક્લાર્ક ફિદા
માઇકલ ક્લાર્કે એવું કહ્યું છે કે `હું તો કહું છું કે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા રોહિત શર્માની સમજદારીપૂર્વકની કૅપ્ટન્સી પણ ગુમાવશે. ટેસ્ટના નેતૃત્વમાં અજબની વ્યૂહરચના બનાવવામાં રોહિતમાં બહુ સારી કાબેલિયત હતી.’

સાઇ સુદર્શનના ભરપેટ વખાણ કર્યા
આઇપીએલ-2025માં સૌથી વધુ 759 રન કરનાર ગુજરાત ટાઇટન્સના લેફ્ટ-હૅન્ડ ઓપનર સાઇ સુદર્શન વિશે ક્લાર્કે પૉડકાસ્ટમાં કહ્યું કે `હું દૃઢપણે માનું છું કે આ છોકરો ભવિષ્યનો સુપરસ્ટાર છે. ટેસ્ટમાં તે ત્રીજા નંબરે બૅટિંગ કરશે, પરંતુ લખી રાખજો…ભવિષ્યમાં ભારતની ટી-20 ટીમમાં તેને ઓપનિંગમાં જ મોકલવામાં આવશે. તે તમામ પ્રકારના શૉટ મારી શકે છે. ખાસ કરીને ફાસ્ટ બોલરના શૉર્ટ બૉલમાં તે બહુ સારું રમી જાણે છે.’
બેંગલૂરુની દુર્ઘટના વિશે ક્લાર્કે શું કહ્યું?
બુધવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ના પ્રથમ વિજેતાપદની ઉજવણી દરમ્યાન બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક થયેલી ધક્કામુક્કીમાં 11 જણના જીવ ગયા એ બનાવ સંદર્ભમાં પૂછાતાં માઇકલ ક્લાર્કે કહ્યું, `આ ઘટના વિશે સાંભળીને મને ખૂબ આઘાત લાગ્યો હતો. ભવિષ્યમાં ફરી ક્યાંય આવું ન બનવું જોઈએ. ખેલાડીઓનું ચાહકો સાથે વિજેતાપદનું સેલિબે્રશન થવું જ જોઈએ એવું હું મક્કમપણે માનું છું અને એવું કહું છું કે આવું સેલિબે્રશન સ્ટેડિયમની અંદર થાય એ જ સૌના હિતમાં છે. પોતાના ફેવરિટ ખેલાડીઓ સાથે ઉજવણી કરવાનો ચાહકોનો પણ અધિકાર છે. જોકે આવી દુર્ઘટના કદી ન બનવી જોઈએ.’