સ્પોર્ટસ

મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં 8 માર્ચની ફાઇનલ અમદાવાદમાં

નવી દિલ્હીઃ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઇ (BCCI)એ ભારતમાં પાંચ સ્થળ શૉર્ટ-લિસ્ટ કર્યા છે અને ફાઇનલ આઠમી માર્ચે અમદાવાદમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચશે તો એ ફાઇનલ (Final) શ્રીલંકામાં રમાશે એવું નક્કી થયું હોવાનું ગુરુવારે પીટીઆઇના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

ભારતમાં જે પાંચ સ્થળ શૉર્ટ-લિસ્ટ કરવામાં આવ્યા છે એમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈનો સમાવેશ છે.

આપણ વાચો: ઇટલીએ હારવા છતાં રચ્યો ઇતિહાસ, `ઑસ્ટ્રેલિયાના’ જૉ બર્ન્સે ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું

થોડા મહિના પહેલાં એવું નક્કી કરાયું હતું કે 2027ની સાલ સુધી ભારત અને પાકિસ્તાન એકમેક વિરુદ્ધની મૅચ તટસ્થ સ્થળે રમશે. આ સંબંધમાં આઇસીસી તેમ જ બીસીસીઆઇ અને પાકિસ્તાન બોર્ડ દ્વારા સમજૂતી થઈ છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ જગતનું સૌથી મોટું સ્ટેડિયમ છે જ્યાં એક લાખથી વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. 2023માં વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના આ જ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

2023ની એ વન-ડે સ્પર્ધાની મૅચો કુલ મળીને 10 સ્થળે રમાઈ હતી. એવું મનાય છે કે આઇસીસી આગામી ટી-20 ટૂર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ એક અઠવાડિયાની અંદર જાહેર કરશે.

આપણ વાચો: કૅનેડાને ભારત-પાકિસ્તાની મૂળના ખેલાડીઓએ ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું

ટી-20 વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે અને આઠમી માર્ચે ફાઇનલ મુકાબલો થશે. શ્રીલંકામાં કૅન્ડી તથા કોલંબો સહિત ત્રણ સ્થળે વિશ્વ કપની મૅચો રમાશે.

ભારત આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે. ગયા વર્ષે જૂનમાં બાર્બેડોઝમાં ભારતે રોહિત શર્માના સુકાનમાં ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી. એ ટૂર્નામેન્ટને અંતે રોહિત ઉપરાંત વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button