બોલિંગને આક્રમક બનાવવા કુલદીપ ટીમમાં હોવો જ જોઈએઃ માંજરેકર
શાર્દુલની બાદબાકી કરવાનું પનેસરનું પણ સૂચન, તે કહે છે ` કુલદીપને ટર્નિંગ પિચની જરૂર જ નથી હોતી'

નવી દિલ્હીઃ ઇંગ્લૅન્ડ (ENGLAND) સામેની લીડ્સની પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ સિવાય બીજો કોઈ પેસ બોલર વખાણવાલાયક બોલિંગ ન કરી શક્યો અને ટીમનો એકમાત્ર સ્પિનર રવીન્દ્ર જાડેજા સદંતર ફ્લૉપ ગયો, કારણકે એ મૅચમાં કુલ 172 રનમાં તે ફક્ત એક વિકેટ લઈ શક્યો હતો જેને લીધે ક્રિકેટ જગતમાં જોરદાર ચર્ચા છે કે હવે રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ (KULDEEP YADAV)ને કોઈ પણ ભોગે બીજી ટેસ્ટ (SECOND TEST)માં રમાડવો જ જોઈએ. કુલદીપને ઇલેવનમાં સમાવવા માટે ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પડતો મૂકવાનું પણ સૂચન થયું છે.
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં બુધવાર, બીજી જુલાઈથી રમાશે. ત્યાર પછીની ત્રણ ટેસ્ટ અનુક્રમે લૉર્ડ્સ, મૅન્ચેસ્ટર અને ઓવલમાં રમાશે. પેસ બોલર શાર્દુલ પ્રથમ ટેસ્ટમાં કુલ ફક્ત પાંચ રન કરી શક્યો હતો અને બોલિંગમાં પણ તેણે નિરાશ કર્યા હતા. પ્રથમ દાવમાં 38 રનમાં તેને વિકેટ નહોતી મળી અને બીજા દાવમાં બે બૉલમાં બેન ડકેટ (149 રન) તથા હૅરી બ્રૂક (0)ની વિકેટ લીધી હતી, પરંતુ તેને એ બે વિકેટ 51 રનના ખર્ચે મળી હતી.
આ પણ વાંચો: બુમરાહ બીજી ટેસ્ટમાં નહીં રમે? સાઇ સુદર્શનને વળી શું થયું?
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન સંજય માંજરેકરે મૅચ સેન્ટર લાઇવ’ નામના શૉમાં કહ્યું હતું કે કુલદીપ યાદવને ફરી ટીમમાં સમાવવો જ જોઈએ. મને કહેવું ગમતું તો નથી, પણ શાર્દુલ ઠાકુરને પડતો મૂકવો જોઈએ. ભારતે બીજી ટેસ્ટ માટેની ટીમમાં આ એક ફેરફાર તો કરવો જ જોઈએ. પ્રથમ ટેસ્ટ માટે મેં નીતીશ કુમાર રેડ્ડીની તરફેણ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તેનો જે પર્ફોર્મન્સ હતો એને આધારે કરી હતી. જોકે તે ચોથા રેગ્યુલર સીમ બોલર જેવી બોલિંગ તો ન જ કરી શકે એટલે ટીમ ઇન્ડિયાએ ક્વૉલિટી બોલરને ઇલેવનમાં સમાવવો જોઈએ પછી ભલે બે સ્પિનર પણ લેવા પડે તો પણ વાંધો નહીં. ટૂંકમાં, બેસ્ટ બોલર ટીમમાં હોવા જ જોઈએ. મોહમ્મદ શમી સહિત પેસ બોલર્સની પૂરી તાકાત આપણી પાસે અત્યારે નથી એટલે ટીમમાં એક સીમ બોલર ઓછો હશે તો પણ ચાલશે, પણ કુલદીપ તો હોવો જ જોઈએ.’
કુલદીપને બીજી ટેસ્ટમાં લેવામાં આવશે જ એવું તેની કરીઅરના આંકડા પરથી નકારી ન શકાય. આ લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનરે માત્ર 13 ટેસ્ટમાં 56 વિકેટ લીધી છે અને 22.16 તેની બોલિંગ ઍવરેજ છે. તેની તુલનામાં પેસ બોલર શાર્દુલ 12 ટેસ્ટમાં 33 વિકેટ 29.36ની સરેરાશે લઈ શક્યો છે.
આ પણ વાંચો: ભારત હાર્યા પછી યશસ્વી જયસ્વાલ પર ચાહકો થયા ગુસ્સે, કારણ શું?
માંજરેકરે બીજો ખાસ મુદ્દો એ કહ્યો કે ઇંગ્લૅન્ડમાં હવામાન હવે પહેલાની જેમ સીમ બોલર્સને જ અનુકૂળ હોય એવું જ નથી હોતું એટલે ભારતે બે સ્પિનરને ઇલેવનમાં સમાવે તો કંઈ જ ખોટું નથી. ગ્લોબલ વૉર્મિંગને કારણે થોડા વર્ષોથી ઇંગ્લૅન્ડનો ઉનાળાનો સમય મોટા ભાગે ડ્રાય હોવાથી સ્પિન બોલરને વધુ ફાયદો થઈ શકે છે.’ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્પિનર અને ભારતીય મૂળના મૉન્ટી પનેસરે પીટીઆઇને કહ્યું હતું કે એજબૅસ્ટનની પિચ પર બૉલ થોડા ટર્ન થશે એટલે રવીન્દ્ર જાડેજા ઉપરાંત કુલદીપ યાદવને પણ રમાડવો જોઈએ. મારું માનવું છે કે કુલદીપને શાર્દુલ ઠાકુરના સ્થાને રમાડવો જ જોઈએ. કુલદીપને ટર્નિંગ પિચની જરૂર જ નથી હોતી. તાજેતરની આઇપીએલમાં આપણે જોયું કે બૉલ વધુ પડતો ટર્ન ન કરીને પણ તે બૅટ્સમૅન માટે ક્રીઝમાં ટકવું મુશ્કેલ બનાવી દેતો હતો.’