ઇન્ટરનેશનલનેશનલસ્પોર્ટસ

રોહિત, ગિલ, શિવમ, વિરાટ, શ્રેયસ, રાહુલની વિકેટ લેનાર આ જાદુઈ સ્પિનર જેફ્રી વેન્ડરસે છે કોણ?

શ્રીલંકા ત્રણ વર્ષે ભારત સામે વન-ડે જીત્યું

કોલંબો: રવિવારે અહીં શ્રીલંકા સામે ભારત સિરીઝની બીજી વન-ડે આસાનીથી જીતી શકે એમ હતું. ઓપનર્સ રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે 97 રનની મજબૂત પ્રારંભિક ભાગીદારી પણ થઈ હતી. જોકે 14મી ઓવરમાં શ્રીલંકાનો 34 વર્ષની ઉંમરના લેગ-સ્પિનર જેફરી વેન્ડરસે (10-0-33-6)એ ત્રાટકવાનું શરૂ કર્યું અને તેણે ભારતીય બેટિંગના ટોપ-ઓર્ડરને ચીંથરેહાલ કરી નાખ્યો હતો.

‘નસીબથી’ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મેળવનાર વેન્ડરસેએ ટોચના તમામ છ બૅટરને પૅવિલિયનમાં પાછા મોકલીને શ્રીલંકાને વિજયનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

વેન્ડરસેએ 29 બૉલમાં રોહિત શર્મા (44 બૉલમાં 64 રન), શુભમન ગિલ (44 બૉલમાં 35 રન), શિવમ દુબે (0), વિરાટ કોહલી (19 બૉલમાં 14 રન), શ્રેયસ ઐયર (નવ બૉલમાં સાત રન) અને કેએલ રાહુલ (0)ની વિકેટ લીધી હતી. ભારતનો સ્કોર 14મી ઓવરમાં વિના વિકેટે 97 રન હતો એ 24મી ઓવરમાં 147/6માં ફેરવાઈ ગયો હતો.

વેન્ડરસેએ રોહિત તથા ગિલને કૅચઆઉટ કરાવ્યા હતા, દુબે અને વિરાટ તથા શ્રેયસના શિકાર એલબીડબલ્યૂમાં કર્યા હતા તેમ જ રાહુલને ક્લીન બોલ્ડ કર્યો હતો.

શ્રીલંકાના મુખ્ય સ્પિનર વનિન્દુ હસરંગાએ ઈજાને કારણે આ મૅચમાં રમવાની ના પાડી એટલે શનિવારે સાંજે નસીબવાળા વેન્ડરસેને હસરંગાના સ્થાને રમાડવાનું નક્કી થયું હતું. વેન્ડરસેએ 2015માં શ્રીલંકા વતી વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને નવ વર્ષમાં તેને માત્ર બાવીસ વન-ડે રમવા મળી હતી. હસરંગાના સ્થાને તેને ભારત સામે રમવાનો મોકો મળ્યો અને તેણે તરખાટ મચાવી દીધો હતો. ગયા વર્ષની એક મૅચમાં તેને ભારત સામે 59 રનમાં એક પણ વિકેટ નહોતી મળી પરંતુ રવિવારે 33 રનમાં તેણે 6 મોટા શિકાર કરી લીધા હતા અને શ્રીલંકાને સિરીઝમાં 1-0ની સરસાઈ અપાવી દીધી હતી.

2011-2024 દરમ્યાન 73 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 270 વિકેટ લઈ ચૂકેલો વેન્ડરસે ભારત સામે એક વન-ડેમાં છ કે વધુ વિકેટ લેનાર મુરલીધરન, અજંથા મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ પછીનો પાંચમો શ્રીલંકન બોલર બન્યો છે.

રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 240 રન બનાવ્યા પછી ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રનના સ્કોર પર આઉટ થઈ જતાં શ્રીલંકાએ 32 રનથી વિજય મેળવ્યો હતો.

જે પિચ પર ભારતના ત્રણ સ્પિનરે (વૉશિંગ્ટન ત્રણ, કુલદીપ બે, અક્ષર એક) કુલ છ વિકેટ દીધી એ જ પિચ પર શ્રીલંકાના લેગ-સ્પિનર વેન્ડરસેએ બૉલ પર સંપૂર્ણ ગ્રિપ મેળવીને અને સ્પિનના જાદુથી 33 રનમાં છ ભારતીય બૅટરને આઉટ કર્યા હતા અને કરીઅરમાં પહેલી જ વાર એક દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. પાર્ટ-ટાઈમ ઑફ-સ્પિનર અને કેપ્ટન ચરિથ અસલંકાએ 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

શ્રીલંકા ત્રણ વર્ષે ભારત સામે વન-ડે મેચ જીતી શક્યું છે.

હવે ભારતે સિરિઝની હારથી બચવા બુધવારની છેલ્લી વન-ડે (બપોરે 2.30 વાગ્યાથી) જીતવી જ પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button