ચેન્નઈ: 2023માં આઇપીએલની 16મી સીઝનની ફાઇનલનું પરિણામ વરસાદ અને બૅડ લાઇટને કારણે ત્રીજા દિવસે આવ્યું હતું અને ત્યારે છેલ્લી પળોનો હીરો હતો આપણો ‘બાપુ’ રવીન્દ્ર જાડેજા. ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલની અંતિમ ઓવર મોહિત શર્માએ કરી હતી જેના છેલ્લા બૉલમાં જાડેજાએ ચાર રન બનાવવાના હતા અને તેણે ફોર ફટકારીને ચેન્નઈને અને ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોનીને યાદગાર વિજય અપાવ્યો હતો.
જાડેજાને ત્યારે (મે 2023માં) મૅન ઑફ ધ મોમેન્ટ જરૂર હતો, પરંતુ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર પચીસ બૉલમાં 47 રન બનાવનાર ડેવૉન કોન્વેને અપાયો હતો. જોકે સોમવારે જાડેજાએ એ અવૉર્ડ મેળવવાની ઇચ્છા પૂરી કરી હતી. એ તો ઠીક, પણ તેણે તેના જ ભૂતપૂર્વ કૅપ્ટન એમએસ ધોનીના વિક્રમની બરાબરી પણ કરી હતી.
આઇપીએલના ઇતિહાસમાં સોમવારે પહેલાં સૌથી વધુ 15 મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ ધોનીના નામે હતા. સોમવારે જાડેજા 15મો પુરસ્કાર જીતીને તેની હરોળમાં આવી ગયો હતો.
આ પણ વાંચો : IPL CSK VS KKR: કોલકાતા સામે ચેન્નઈ હોમ ગ્રાઉન્ડ પર જીત્યું, કેપ્ટન ઋતુરાજે રંગ રાખ્યો
હવે આઇપીએલમાં સૌથી વધુ મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીતનારાઓની યાદી આ મુજબ છે: (1) ધોની-15 (2) જાડેજા-15 (3) રૈના-12 (4) ગાયકવાડ-10 અને (5) માઇક હસી-10.
સોમવારે ચેન્નઈની ટીમ વિજયની નજીક હતી ત્યારે 17મી ઓવરમાં શિવમ દુબે આઉટ થતાં હજારો પ્રેક્ષકો તેમનો સૌથી લોકપ્રિય ખેલાડી એમએસ ધોની મેદાન પર ઊતરશે એવી આશા રાખીને બેઠા હતા. જોકે જાડેજા ડગઆઉટમાંથી બહાર આવીને બૅટ સાથે મેદાન પર ઊતર્યો ત્યારે પ્રેક્ષકોએ નિરાશાનો સૂર કાઢ્યો હતો. જોકે જાડેજાએ માત્ર મજાક માટે જ મેદાન પર આવ્યો હતો. તે તરત જ હસતો હસતો પાછો વળ્યો અને ડગઆઉટમાં જતો રહ્યો હતો અને બે-ચાર ક્ષણ બાદ ધોની દોડીને મેદાન પર ઊતર્યો હતો જેને જોઈને પ્રેક્ષકોએ આનંદના આવેશમાં બૂમાબૂમ કરી મૂકી હતી. એક્સ પર આ વીડિયો ખૂબ વાઇરલ થયો છે.
આ પણ વાંચો : IPL Playing-11 : આજે PBKS અને SRH વચ્ચે ટક્કર, જાણો શું છે હેડ-ટૂ-હેડ રેકોર્ડ
સોમવારે ચેન્નઈએ કોલકાતાને સાત વિકેટના માર્જિનથી હરાવીને આ સીઝનમાં હોમ ગ્રાઉન્ડ પર રેકૉર્ડ ક્લીયર રાખ્યો હતો. ચેપૉકમાં ચેન્નઈની ટીમ આ સીઝનમાં તમામ ત્રણ મૅચ જીતી છે. કોલકાતાએ આપેલો 138 રનનો ટાર્ગેટ ચેન્નઈએ 17.4 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે 58 બૉલમાં નવ ફોરની મદદથી અણનમ 67 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 28 રન, ડેરિલ મિચલે પચીસ રન અને ઓપનર રાચિન રવીન્દ્રએ પચીસ રન બનાવ્યા હતા. ચેન્નઈની ત્રણ વિકેટમાંથી બે વૈભવ અરોરાએ અને એક સુનીલ નારાયણે લીધી હતી.
ચેન્નઈએ આ સીઝનમાં પાંચમાંથી ત્રણ મૅચ જીતી છે, જ્યારે શ્રેયસ ઐયરના સુકાનમાં કોલકાતાએ પહેલી હાર જોઈ છે. ચેપૉકના મેદાન પર કોલકાતાનો રેકૉર્ડ ખરાબ છે. કોલકાતાએ 14માંથી માત્ર ચાર મૅચ જીતી છે અને દસમાં પરાજય જોયો છે.
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing
Celebrate Akshay Tritiya with the sacred Tulsi plant! Discover powerful remedies for prosperity, good health, and overall well-being.