IPL 2025

શ્રેયસ ઐયરે મને ગાળ આપી, જો તેણે થપ્પડ મારી હોત તો…: પંજાબના આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

ચંડીગઢઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની 18મી સીઝન ભલે પૂરી થઈ ગઈ, પણ એની ચર્ચા હજી થંભી નથી અને એમાં પણ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની ગયા રવિવારની સેમિ ફાઇનલ સમાન મૅચની એક ઘટના ખૂબ ચર્ચામાં છે. અમદાવાદની એ ક્વૉલિફાયર-ટૂમાં પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે (SHREYAS IYER) માત્ર 41 બૉલમાં અણનમ 87 રન કરીને પંજાબને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. આપણે જે ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ એ શ્રેયસ અને પંજાબના બૅટ્સમૅન શશાંક સિંહ (SHASHANK SINGH) વચ્ચેની છે.

બન્યું એવું કે મુંબઈ (20 ઓવરમાં 203/6) સામે પંજાબે (19 ઓવરમાં 207/5) છ બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો ત્યાર બાદ પંજાબના ખેલાડીઓ એકમેકને ભેટી રહ્યા હતા અને હાથ મિલાવી રહ્યા હતા ત્યારે કૅપ્ટન શ્રેયસ સાથી-ખેલાડી શશાંકને ગાળ આપી રહેલો સંભળાયો હતો.

આ પણ વાંચો: Video: શ્રેયસ ઐયરે શશાંક સિંહને ગાળો આપી? હાથ પણ ના મિલાવ્યો! જાણો કેપ્ટનનો ગુસ્સો કેમ ફાટી નીકળ્યો?

શશાંક સિંહ એ મૅચમાં ફક્ત બે રનના પોતાના સ્કોર પર રનઆઉટ થયો હતો. તે હજી માંડ ત્રીજો બૉલ રમ્યો ત્યાં તો વિકેટ ગુમાવી બેઠો હતો. ટ્રેન્ટ બૉલ્ટનો ચોથો બૉલ ઑફ સ્ટમ્પની બહારનો નીચો ફુલટૉસ હતો જેમાં શશાંકે બૉલને મિડ-ઑન તરફ મોકલતાની સાથે જ દોડવાનું શરૂ કરી દીધું હતું. સામા છેડે કૅપ્ટન શ્રેયસ ઐયર હતો. હાર્દિક પંડ્યાએ નૉન-સ્ટ્રાઇક એન્ડ પર સીધા થ્રોમાં શશાંકને રનઆઉટ કરી દીધો હતો. શશાંક ત્યારે થોડું ધીમું દોડ્યો હતો. શશાંકની એ પાંચમી વિકેટ પડી ત્યારે પંજાબે જીતવા 35 રન કરવાના બાકી હતા અને ફક્ત 20 બૉલ બાકી રહ્યા હતા. જોકે પછીથી માર્કસ સ્ટોઇનિસ સાથે મળીને ખાસ કરીને શ્રેયસે લાજવાબ ઇનિંગ્સથી પંજાબને જિતાડીને ફાઇનલમાં મોકલ્યું હતું. શ્રેયસે ત્યારે સતત બીજી આઇપીએલમાં પોતાની ટીમને ફાઇનલમાં મોકલી હતી. 2024માં શ્રેયસના સુકાનમાં કોલકાતાની ટીમ ફાઇનલમાં પહોંચ્યા બાદ હૈદરાબાદને હરાવીને ચૅમ્પિયન બની હતી.

મુંબઈ સામેની મૅચની ઘટના વિશે શશાંકે હવે ખુલાસો કર્યો છે કે એ મૅચમાં લાપરવાહી બદલ તેને કૅપ્ટન શ્રેયસની ગાળ પડી હતી અને તેની લાપરવાહી એવી હતી જેને લીધે પંજાબે પરાજય જોવો પડી શક્યો હોત. શશાંકે એક મુલાકાતમાં એવું પણ કહ્યું છે કે કૅપ્ટને તેને અપશબ્દો સાથે ઠપકો આપ્યો હતો, પણ પછી બન્નેએ સાથે ડિનર કર્યું હતું.

આ પણ વાંચો: શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાને બીસીસીઆઈએ ફટકાર્યો દંડ, જાણો કારણ?

શશાંકે સ્પષ્ટતામાં વધુમાં કહ્યું કે હું ડિઝર્વ કરું છું. ઐયરે મને થપ્પડ જ મારી દેવી જોઈતી હતી. મારા પપ્પાએ પણ ફાઇનલ સુધી મારી સાથે વાત જ નહોતી કરી. હું એ મૅચમાં ખરા સમયે બેફિકર હતો. ઐયરે મને સાફ શબ્દોમાં કહી દીધું કે તેને મારી પાસે આવી આશા નહોતી. જોકે પછીથી ઐયરે મારી સાથે ડિનર કર્યું હતું.’ શશાંકે શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીની ભરપૂર પ્રશંસા કરી છે. તેણે કહ્યું છે કેવર્તમાન ક્રિકેટ જગતમાં શ્રેયસથી ચડિયાતો બીજો કોઈ કૅપ્ટન નથી. ડ્રેસિંગ-રૂમમાં બધા ખેલાડીઓને તે ભરપૂર ઉત્સાહ અપાવતો હોય છે અને બધા સાથે શાંતિથી વાત કરતો હોય છે. તે અમને પૂરતી આઝાદી પણ આપતો હોય છે. શ્રેયસ યોગ્ય વ્યક્તિ પાસેથી યોગ્ય સલાહ લેવામાં ક્યારેય પાછીપાની નથી કરતો. કોઈ એવું ન કહી શકે કે શ્રેયસ ઍટિટ્યૂડવાળો છે. મેં તેના જેવો કૅપ્ટન આજ સુધી જોયો નથી. તે અમને કહેતો હોય છે કે જો મૅચ દરમ્યાન કોઈની પાસે કંઈ પણ સલાહ-સૂચન હોય તો તે તેની પાસે આવીને કહી શકે છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button