મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સીમાં ફેરફાર સંભવ છે: હાર્દિકના સ્થાને ત્રણ નામ ચર્ચાય છે…

મુંબઈઃ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનના લીગ રાઉન્ડમાં લાગલગાટ છ મૅચ જીતીને પ્લે-ઑફમાં પહોંચનારી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચેન્નઈની જેમ પાંચ ટાઇટલ જીતી છે, પરંતુ આ વખતે વિક્રમજનક છઠ્ઠું ટાઇટલ જીતવાનો એને સારો મોકો હતો જે રવિવારે ટીમની કેટલીક કચાશને લીધે તેમ જ કૅપ્ટન હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)એ બોલિંગ ફેરફારમાં કરેલી અમુક ભૂલને લીધે મોકો મુંબઈની ટીમે ગુમાવ્યો હતો અને એના પરથી ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે આગામી સીઝન પહેલાં હાર્દિક પાસેથી મુંબઈ ઇન્ડિયન્સના નેતૃત્ત્વની જવાબદારી કદાચ પાછી લઈ લેવામાં આવશે અને જો પાછી લઈ લેવાશે તો કોને સુકાન સોંપાઈ શકે?
હાર્દિકના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સનો રવિવારે પંજાબ કિંગ્સ સામેની ક્વૉલિફાયર-ટૂમાં પાંચ વિકેટે પરાજય થયો હતો. હાર્દિકે પોતે ચારને બદલે માત્ર બે ઓવર બોલિંગ કરી હતી. ટીમના એકમાત્ર સ્પિનર અને ન્યૂ ઝીલૅન્ડના વિશ્વ કક્ષાના મિચલ સૅન્ટનરને પણ તેણે બે જ ઓવર આપી હતી. હાર્દિકે 19મી ઓવર બિન અનુભવી અશ્વની કુમાર (4-0-55-2)ને આપી હતી જેમાં પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર જે તેના સર્વોત્તમ ફૉર્મમાં રમી રહ્યો હતો એમાં તેણે ચાર સિક્સર ફટકારીને એ જ ઓવરમાં ખેલ ખતમ કરી નાખ્યો હતો. આ ભૂલ બદલ હાર્દિકની ટીકા થઈ રહી છે.
હાર્દિકની કૅપ્ટન્સી (CAPTAINCY)માં 2024માં મુંબઈની ટીમ છેક 10મા નંબરે રહી હતી અને આ વખતે પ્લે-ઑફમાં હારી ગઈ. જો હાર્દિક પાસેથી કૅપ્ટન્સી પાછી લઈ લેવાશે તો કોને સોંપાશે એ માટે ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં છે. એક અહેવાલ મુજબ રોહિત શર્માને ફરી સુકાન સોંપાશે એવી શક્યતા છે. મુંબઈએ રોહિતના નેતૃત્વમાં જ પાંચ ટાઇટલ જીત્યા છે. 2024માં રોહિત પાસેથી મુંબઈ ઇન્ડિયન્સનું સુકાન પાછું લઈ લેવાયું ત્યાર બાદ સાત મહિના પછી રોહિતની કૅપ્ટન્સીમાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. રોહિત હજી વન-ડેમાં ભારતનો સુકાની છે જ અને તે 2027નો વન-ડે વર્લ્ડ કપ રમશે એવી પાકી સંભાવના છે. મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વર્ષથી ટ્રોફી નથી જીત્યું એટલે રોહિતને ફરી નેતૃત્ત્વની જવાબદારી સોંપશે તો નવાઈ નહીં લાગે.
ભારતની ટી-20 ટીમનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ છે, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં તે હાર્દિકના સુકાનમાં રમ્યો છે. ભારત વતી સૂર્યાએ સુકાન સારી રીતે સંભાળ્યું છે અને હાર્દિકના સ્થાને મુંબઈનું સુકાન પણ સારી રીતે સંભાળી શકે એવું ઘણાનું માનવું છે.ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટમાં અને ટી-20 ઇન્ટરનૅશનલમાં ભારતની કૅપ્ટન્સી સંભાળી છે, પણ આઇપીએલમાં ક્યારેય નેતૃત્ત્વનો લાભ તેને નથી મળ્યો. બની શકે મુંબઈની ટીમના નવા સુકાની તરીકે તેના નામ પર પણ ચર્ચા થશે.