મુંબઈ મેઘરાજાના વિઘ્ન પછી પણ પંજાબને 200-પ્લસનો મોટો ટાર્ગેટ આપવામાં સફળ

અમદાવાદ: અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ પંજાબ કિંગ્સ (PBKS) સામેની આઈપીએલ (IPL-2025)ની ક્વૉલિફાયર-ટૂમાં મેઘરાજાના સવાબે કલાકના લાંબા પ્રારંભિક-વિઘ્ન પછી પણ નિર્ધારિત થયેલી 20 ઓવરમાં છ વિકેટે 203 રન બનાવીને પંજાબને 204 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપવામાં સફળ થઈ હતી.
સાંજે 7.30 વાગ્યાની આસપાસ વરસાદ પડવાનો શરૂ થયો અને વારંવાર ધીમો પડ્યા પછી મુશળધાર વર્ષા થઈ ત્યારે લાગતું હતું કે આ મૅચમાં 20 ઓવરની મૂળ મર્યાદા રાખી જ નહીં શકાય. જોકે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ વરસાદ થંભી જતાં 9:45 વાગ્યે રમતની શરૂઆત થઈ શકી હતી અને વિઘ્ન વગર મુંબઈની ઇનિંગ્સ પૂરી થઈ હતી. મુંબઈને બૅટિંગ અપાઈ એનો મુંબઈને લાભ થયો એવું લાગ્યું હતું.

તિલક વર્મા (44 રન, 29 બૉલ, 2 સિક્સર, 2 ફોર) અને સૂર્યકુમાર યાદવ (44 રન, 26 બૉલ, 3 સિક્સર, 4 ફોર) મુંબઈના ટૉપ સ્કોરર હતા. 200-પ્લસ રનમાં નમન ધીર (37 રન, 18 બૉલ, 7 ફોર)નું પણ સારું યોગદાન હતું.

ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા (આઠ રન) અને વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા (15 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા જ્યારે રાજ બાવા આઠ રન પર અને સેન્ટનર શૂન્ય પર અણનમ રહ્યા હતા.
શ્રેયસ ઐયરના નેતૃત્વમાં રમી રહેલી પંજાબની ટીમ વતી ઓમરઝાઈએ સૌથી વધુ બે વિકેટ તેમ જ વૈશાક, જેમીસન, ચહલ અને સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી હતી.